વેકેશન કરવા બહારગામથી આવતા લોકો માટે ત્રણેય પર્યટન સ્થળ ફેવરિટ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટના મુખ્ય પર્યટન સ્થળોમાં ઇશ્વરિયાપાર્ક અને પ્રદ્યુમનપાર્ક ઝૂમાં રજાના દિવસોમાં સહેલાણીઓ ઉમટી પડે છે. દીવાળીનો તહેવાર હોય કે પછી રજાના અન્ય દિવસો હરવાફરવાના આ મુખ્ય સ્થળમાં હવે નવા એક આકર્ષણનું કેન્દ્ર ગાંધી મ્યુઝિયમનો ઉમેરો થયો છે. બહારથી તહેવાર કરવા માટે રાજકોટ આવનારા લોકો માટે ગાંધી મ્યુઝિયમ એક લ્હાવો બની રહેવાનું છે. દીવાળીના તહેવારના દીવસોમાં આ ત્રણેય સ્થળ ચાલુ રહેશે.
શહેરની ભાગોળે આવેલા ઇશ્વરિયાપાર્કમાં ડાયનોસોર પાર્ક, બગીચા, બાલક્રિડાંગણ ઉપરાંત બોટિંગ વિશેષ આકર્ષણ છે. જ્યારે પુર્વ ઝોનમાં ત્રણેય બાજુ તળાવ અને વચ્ચે વિશાળ ટેકરી પર ૧૨૭ એકરમાં પથરાયેલુ પ્રદ્યુમનપાર્ક ઝૂ પણ સહેલાણીઓ માટે પ્રિય છે. દીવાળીના તહેવારમાં જે પરિવાર બહાર ફરવા નથી જતા તેઓ આ બન્ને સ્થળે જવા માટે ખાસ એક દિવસ કાઢે છે.
ફરવાના આ બે સ્થળ ઉપરાંત નઝરાણુ ગાંધી મ્યુઝિયમ છે. જે રાજકોટ દીવાળી કરવા આવનાર માટે નિહાળવા મળશે. ગાંધી મ્યુઝિયમને જે વિશ્વકક્ષાની પ્રસિધ્ધિ મળી છે એ જોતા રાજકોટ આવનાર અચુક ગાંધી મ્યુઝિયમની મુલાકાત લેતા થયા છે. આ ત્રણેય સ્થળ દીવાળીના તહેવારમાં પણ ચાલુ રાખવાનો નિર્ણય મહાપાલિકા અને કલેકટર તંત્રે લીધો છે.