વધુ 13 ડેમમાંથી 6501 હેક્ટર ખેતી માટે પાણી છોડવામાં આવશે
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ જિલ્લામાં પાછોતરા વરસાદના અભાવે આ વર્ષે અનેક સ્થળોએ શિયાળા પૂર્વે જ પાણીની સમસ્યા સર્જાવાનું શરૂ થતા ખેડૂતોએ રવી સિઝન માટે પાણી છોડવા રજૂઆત કરી હતી જેના પગલે રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા સિંચાઇ વિભાગની બેઠક બોલાવવામાં આવ્યા બાદ 77 ગામ માટે પાંચ ડેમની કેનાલમાંથી પાણી છોડવાની મંજૂરી અપાતા ખેડૂતોને હવે શિયાળુ પાક માટે પાણની સમસ્યા નહીં રહે તેમ સૂત્રોએ જણાવ્યું છે.
રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા સિંચાઇ હસ્તકના 18 ડેમમાંથી રવી સિઝન માટે પાણી છોડવા માટે આદેશ કરાયા છે જેમાંથી પાંચ ૧ ડેમ ભાદર, છાપરવાડી-2, મોજ, ફોફળ, વેણુ-2માંથી 77 ગામની 14800 હેક્ટર ખેતીની જમીનમાં શિયાળુ પાક લેવા 2થી 7 વખત પાણ છોડવા નિર્ણય કરાયો છે.
રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સિંચાઇ માટે પાણી છોડવાનો નિર્ણય કરાતા ખેડૂતોએ રાહતની લાગણી અનુભવી છે. રાજકોટ સિંચાઇ વિભાગ દ્વારા અન્ય 13 ડેમમાંથી 6501 હેક્ટર ખેતીની જમીન માટે ટૂંક સમયમાં પાણી છોડાશે અને તેના માટે કેનાલની સફાઇ સહિતની કામગીરી પણ પૂર્ણ કરી લેવામાં આવ્યાનું સૂત્રોએ અંતમાં જણાવ્યું છે.