શૈક્ષણિક સંસ્થાઓ, યુનિવર્સિટીઓ, કોલેજોમાં ધર્મ-જાતિના ભેદભાવ ખતમ કરવાની પ્રક્રિયા
વિદ્યાર્થીઓ દ્વારા સમાનતા લાવવા ઇકવલ અપોર્ચ્યુનિટી સેલની રચના કરવા UGCનો આદેશ
અગ્ર ગુજરાત, રાજકોટ
યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી) દ્વારા દરેક યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ વચ્ચે એકરૂપતા, સમાનતા જળવાઇ રહે અને દરેકને સમાન તક મળે તે માટે ખાસ સમતા સેલ એટલે કે ઇકવલ અપોર્ચ્યુનિટી સેલ રચના કરવાની તાકીદ કરવામાં આવી છે. જેના માધ્યમથી કોઇપણ વિદ્યાર્થી સાથે ધર્મ, નસ્લ, જાતિ, લિંગ કે જન્મ સ્થાનના આધારે કોઇ ભેદભાવ ન થાય તેની તકેદારી રાખવામાં આવશે.
યુજીસી દ્વારા તાજેતરમાં દરેક યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને સમાન તક મળે કોઇપણ વિદ્યાર્થીની ઉપેક્ષા ન થાય, ધર્મ, નસ્લ, જાતિ, લિંગ કે જન્મસ્થાનના આધારે કોઇપણ વિદ્યાર્થી સાથે ભેદભાવ કરવામાં ન આવે અને દિવ્યાંગ વિદ્યાર્થી સાથે પણ કોઇપણ પ્રકારનો ભેદ રાખવામાં ન આવે તે માટે ખાસ ઇકવલ અપોર્ચ્યુનિટી સેલ એટલે કે સમતા સેલ બનાવવાની તાકીદ કરવામાં આવી છે. આ સેલમાં યુનિવર્સિટીના કુલપતિ ઉપરાંત કોણ સભ્યો રહેશે તેની પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. કોઇપણ વ્યક્તિ કે વિદ્યાર્થી સાથે કોઇ ભેદભાવ થતો હોય તો ઓનલાઇન પોર્ટલ પર, લેખિતમાં સમતા સેલ સમક્ષ ફરિયાદ કે રજૂઆત કરી શકશે.
ઇ-મેઇલથી પણ ફરિયાદ કરી શકશે. સેલ દ્વારા જે તે વિદ્યાર્થીની ઓળખ ગોપનીય રાખવામાં આવશે. પીડિત વ્યક્તિ ઇચ્છે તો સમગ્ર ફરિયાદ પોર્ટલ કે હેલ્પલાઇન પર જ આપી શકશે. ઘટનાની ગંભીરતા સમજીને સેલ દ્વારા પોલીસ ફરિયાદ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે. સેલ પાસે ફરિયાદ આવ્યા બાદ 24 કલાકમાં બેઠક યોજવામાં આવશે. સમતા સમિતિ 15 દિવસની અંદર પોતાનો અહેવાલ સંસ્થાના પ્રમુખને સુપ્રત કરશે. સમતા સેલ દ્વારા આ અહેવાલની કોપી પીડિત વ્યક્તિને પણ સોંપવામાં આવશે. સેલના પ્રમુખ દ્વારા 7 દિવસમાં કાર્યવાહી શરૂ કરવામાં આવશે. દંડ કે પોલીસ સંબંધી મામલો હોય તો તાકીદે જાણ કરવામાં આવશે. સમતા સેલમાં પ્રમુખ વિરુદ્ધ પણ ફરિયાદ હોય તો કરી શકાશે. સમતા સેલમાં આપવામાં આવેલા ચુકાદાથી સંતોષ ન હોય તો પીડિત વ્યક્તિ 30 દિવસની અંદર લોકપાલ સમક્ષ અપીલ કરી શકશે. લોકપાલ દ્વારા 30 દિવસમાં જે તે ફરિયાદનો નિકાલ કરવાનો રહેશે. યુજીસી દ્વારા પણ આ તમામ કાર્યવાહી યોગ્ય રીતે થઇ રહી છે કે નહીં તેની દેખરેખ માટે એક કમિટી રાખવામાં આવશે. કોઇ શૈક્ષણિક સંસ્થા કે યુનિવર્સિટી યુજીસીના આ નિયમ કે આદેશનું પાલન ન કરે તો યુજીસીની યોજનાઓમાંથી ભાગ લેતાં રોકવામાં આવશે. આ ઉપરાંત ડિગ્રી કાર્યક્રમ ચલાવવાની મનાઇ પણ કરવામાં આવશે. આ ઉપરાંત ઓનલાઇન પ્રોગ્રામ ચલાવવાની મંજૂરી આપી હોય તો પરત ખેંચવામાં આવશે.આ ઉપરાંત જરૂર પડે જે તે યુનિવર્સિટી કે સંસ્થાની માન્યતા રદ કરવા સુધીના પગલાં લેવાની પણ ચીમકી આપવામાં આવી છે.


