- ડેમની જળ સપાટી ઘટતા એન્યુઅલ મેન્ટેનન્સ માટે સરવે કરાયું
- હાલ અદેપુર જૂથ પાણી પુરવઠા યોજના માટે કરાડ ડેમમાંથી પાણી લેવાય છે
- ઘોઘંબાના પાલ્લા ખાતે આવેલા કરાડ ડેમ નજરે પડે છે.
ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે હાલ જળાશયો અને તળાવોમાં પાણીનો જથ્થો ઓછો થઈ રહ્યો છે જે સંજોગોમાં ઘોઘંબાના પાલ્લા ખાતે આવેલા કરાડ ડેમમાં પણ હાલ પાણીનો માત્ર દશ જ ટકા જથ્થો રહ્યો છે જેને એટલે કે 1.75 એમસીએમ પાણીના જથ્થાને પીવાના પાણીની યોજના માટે રિઝર્વ કરી દેવાયો છે. આ ડેમ માંથી હાલ માત્ર એક જ અદેપુર જૂથ પાણી પુરવઠા યોજના કાર્યરત છે. બીજી તરફ્ ડેમમાં પાણીનો જથ્થો ઓસરતાં સંલગ્ન વિભાગે એન્યુઅલ મેન્ટેનન્સ માટે સરવે કામગીરી શરૂ કરી છે.
ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પંચમહાલ જિલ્લાના કરાડ ડેમની જળ સપાટીમાં નોંધપાત્ર ઘટાડો જોવાયો છે. ડેમ ની જળ સપાટીમાં ઘટાડો થતાં જ ડેમના ગેટ સહિત જરૂરી એન્યુઅલ મેન્ટેનન્સ કરવા માટે હાલ સરવે કામગીરી શરૂ કરવામાં આવી છે. કરાડ ડેમમાંથી ઘોઘંબા તાલુકાના 11 અને કાલોલ તાલુકાના 14 મળી કુલ 25 ગામની 6400 હેકટર જમીનમાં શિયાળુ પાક માટે સિંચાઈનું પાણી આપવામાં આવે છે. આ ઉપરાંત ઉનાળામાં પણ પાણીનો જથ્થો ડેમમાં ઉપલબ્ધ હોય તો ઉનાળામાં પણ આપવામાં આવતો હોય છે. આ વર્ષે પાણીનો જથ્થો ડેમમાં ઉપલબ્ધ હોવાથી ખેડૂતોની માંગણીને અનુલક્ષી આપવામાં આવ્યો હતો. પાનમ સિંચાઈ વિભાગના કાર્યપાલક આર.બી માલે જણાવ્યું હતું કે હાલ જિલ્લાના તમામ ડેમ માં પીવાના પાણીનો જથ્થો પર્યાપ્ત છે. કેનાલના ગેટ સહિત અન્ય જરૂરી મરામત માટે સરવે ના ભાગરૂપે મુલાકાત લીધી છે અને આગામી પખવાડિયામાં એન્યુઅલ મેન્ટેનન્સની કામગીરી પુરી કરી દેવામાં આવશે.
કરાડ ડેમ સંપૂર્ણ ભરાતો હોવાની તાસીર
કરાડ ડેમની એક તાસીર રહી છે કે પાંચ કે તેથી વધુ વર્ષે જ સો ટકા પાણી ડેમમાં ભરાયું હોય એવી સ્થિતિ જોવા મળી રહી છે. વર્ષ 2007 અને 2019માં ડેમ છલકાયો હતો.હાલ ડેમનો કેચમેન્ટ વિસ્તારમાં પાણી સુકાઈ જતાં જ સ્થાનિકો પશુઓ ચરાવતા પણ જોવા મળી રહ્યા છે આમ હાલ કેટલીક જગ્યાએ ડેમનું તળિયું જોવા મળી રહ્યું છે.


