- ચાંદખેડામાં પ્લોટના અંદાજે 550 કરોડ મળવાની ધારણા
- થલતેજના પ્લોટની સૌથી વધુ ચો.મી. દીઠ રૂ. 2,78,000ની કિંમત આંકવામાં આવી
- ચાંદખેડાના પ્લોટનું સૌથી વધુ 66,168 ક્ષેત્રફળ, દુબઈની અગ્રણી કંપનીને વધુ રસ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં 10 પ્લોટની ઈ-ઓક્શનથી હરાજી કરવા માટે કવાયત હાથ ધરી છે અને આ પ્લોટ હરાજીથી વેચાણ મારફતે AMCને અંદાજે રૂ. 1,200થી રૂ. 1,500 કરોડની આવક થવાની ધારણા છે. ચાંદખેડામાં પ્લોટના વેચાણ મારફતે અંદાજે રૂ. 550 કરોડ જેટલી આવક મળવાની ધારણા છે. સૂત્રોના જણાવ્યાનુસાર, ચાંદખેડાના પ્લોટ માટે દુબઈની અગ્રણી કંપનીએ રસ દર્શાવ્યો છે. ચાંદખેડામાં રિંગરોડ પર આવેલા 66,168 ચો.મી.ના સૌથી મોટા પ્લોટનાં વેચાણમાંથી જ AMCને અંદાજે રૂ. 550 કરોડથી વધુની આવક થવાની શક્યતા છે. ચાંદખેડામાં પ્લોટ સંપાદન કર્યા પછી આંતરરાષ્ટ્રીય કક્ષાનો મોલ બનાવવાનું દુબઈની કંપનીનું આયોજન હોવાનું જાણવા મળે છે. જ્યારે બાકીનાં નવ પ્લોટનાં વેચાણ મારફતે પણ કરોડોની આવક એકત્રિત થશે. આ પ્લોટ પૈકી થલતેજમાં આવેલા પ્લોટની સૌથી વધુ ચો.મી. દીઠ રૂ. 2,78,000ની કિંમત નક્કી કરાઈ છે. જ્યારે ચાંદખેડામાં સૌથી વધુ 66,168 ચો.મી.નું ક્ષેત્રફળ ધરાવતા પ્લોટ માટે ચો.મી. દીઠ રૂ. 76,000ની કિંમત નક્કી કરાઈ છે. AMC દ્વારા શહેરમાં વિવિધ વિસ્તારોમાં રેસીડેન્શિયલ અને કોમર્શિયલ હેતુ માટેના પ્લોટો હરાજીથી વેચવા માટેની એક દરખાસ્ત આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરાશે.
અમદાવાદમાં કરોડોના ખર્ચે માળખાકીય સુવિધાઓ વિકસાવવા અને સાબરમતી રિવરફરન્ટ સહિતના વિવિધ પ્રોજેક્ટો હાથ ધરવા માટે જંગી નાણાંકીય ખર્ચને પહોંચી વળવા માટે AMC દ્વારા 10 જેટલા પ્લોટ હરાજીથી વેચવાની હિલચાલ હાથ ધરી છે અને આ હેતુસર આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ થનારી દરખાસ્તને લીલીઝંડી આપવામાં આવે તેવી શક્યતા છે. AMC દ્વારા હરાજી મારફતે પ્લોટ ખરીદનારને નાણાં ચૂકવવા માટે ત્રણ મહિનાની મુદત આપવા અને વ્યાજમાં રાહત આપવાની પણ જોગવાઈ કરાઈ હોવાનું જાણવા મળે છે.
શહેરનાં વિવિધ વિસ્તારોમાં પાણી, ગટર, રોડ, લાઇટ, સ્ટોર્મ વોટર લાઇન, બાગબગીચા, લાયબ્રેરી, સિવિક સેન્ટર, ફયર સ્ટેશન વગેરે પ્રકારનાં કામો પાછળ થતાં જંગી ખર્ચને પહોંચી વળવા માટે ટીપી સ્કીમ અન્વયે પ્રાપ્ત થતાં સેલ ફેર કોમર્શિયલ અને સેલ ફેર રેસિડેન્શિયલ હેતુનાં પ્લોટ વેચાણ કરવામા આવે છે.મ્યુનિ. દ્વારા જે પ્લોટ નક્કી કરવામાં આવે તેનુ ઇ- ઓકશન કરતાં પહેલાં ઔડાની પ્રાઇસ ફ્કિસીંગ કમિટી દ્વારા તેની તળીયાની કિંમત નક્કી કરવામાં આવે છે. આ કમિટીની ઔડા ખાતે મળેલી બેઠકમાં પ્લોટ વેચાણ બાદ નાણાં ભરવા માટે 30 દિવસનો સમય આપવામાં આવે છે. તેમજ પ્લોટ લેનાર રજૂઆત કરે તો નાણાં ભરવાની મુદત વધારી આપવામાં આવે છે, પરંતુ તેની સામે 15 ટકા વાર્ષિક વ્યાજ વસુલ કરવાની જોગવાઇનાં કારણે પ્લોટ લેનાર ખચકાય છે. આવા કારણોસર મ્યુનિ.નાં પ્લોટ જલદી વેચાતા ન હોવા અંગે આ કમિટીમાં ચર્ચા-વિચારણા થઈ હતી. આ બાબતને ધ્યાનમાં લઈને આ કમિટીએ વ્યવહારૂ અભિગમ અપનાવીને લેન્ડ ડિસ્પોઝેબલ પોલીસી 2002ની જોગવાઇમાં સુધારો કરી પ્લોટ વેચાણ રાખનારને નાણાં ચૂકવવા 3 મહિનાની મુદત આપવા તેમજ ખાસ કિસ્સામાં મુદત વધારવામાં આવે તો એક ટકો માસિક વ્યાજ વસુલવા અને વધુમાં વધુ નવ મહિના સુધીની મુદત વધારી આપવાની દરખાસ્ત મંજૂર કરીને રાજ્ય સરકારને મોકલવાનો નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળે છે. ઔડાની કમિટીએ ચાંદખેડામાં બે, મોટેરામાં બે, નિકોલમાં બે, મકરબામાં બે, થલતેજમાં એક અને મુઠીયામાં એક એમ કુલ 10 પ્લોટનાં વેચાણ માટે તળીયાનાં ભાવ નક્કી કરી આપ્યા હતા.
ગિફ્ટી સિટીમાં રહેણાંકના પ્લોટનો
રૂ. 3,870 પ્રતિ ચો.વા.નો ભાવ બોલાયોતાજેતરમાં જ ગિફ્ટ સિટીમાં રહેઠાણના વપરાશ માટેના એક પ્લોટનો વિક્રમજનક ભાવે બોલી બાલાઈ હતી. 9,400 ચોરસ મીટરના પ્લોટ પર આવી રહેલા પ્લોટ માટે 14 ડેવલપરે બિડ કરેલી. જેમાં ખાસ જાણીતી ન હોય તેવી યોગી કન્સ્ટ્રક્શન કંપનીએ બિડ જીતી હતી અને તેણે ચોરસ મીટરના રૂ. 3,870ના ભાવે (6 ટકા સ્ટેમ્પ ડયુટી વધારાની) આ પ્લોટ મેળવ્યો હતો. આ પ્લોટ કંપનીને રૂ. 450 કરોડના ભાવે પડયો હતો.


