- એક દિવસ પ્રજ્વલિત કર્યા બાદ એક મહિના સુધી સળગતો રહેશે
- 1100 કિલોનો દીવો ગુજરાતના વડોદરાથી કોટા પહોંચ્યો
અયોધ્યામાં રામ મંદિરના અભિષેકને લઈને ઉત્સાહ અને ભક્તિનો માહોલ છે. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને ભવ્ય બનાવવા માટે રામ ભક્તો દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આવા જ પ્રયાસની ઝલક મંગળવારે અજમેરમાં જોવા મળી, જ્યારે 1100 કિલોનો દીવો ગુજરાતના વડોદરાથી કોટા પહોંચ્યો. દીવાનું સર્વત્ર ભાવપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. તો જાણીએ કે દીવો કોણે બનાવ્યો અને શું છે તેની વિશેષતાઓ?
કોને બનાવ્યો દીવો અને કઈ રીતે આવ્યો વિચાર?
ગુજરાતના વડોદરામાં રહેતા રામભક્ત અરવિંદ ભાઈ પટેલ વ્યવસાયે ખેડૂત છે. તેમણે 1100 કિલો વજનનો દીવો બનાવ્યો છે. 7 જાન્યુઆરીએ એક મિની ટ્રકમાં આ દીવાને રાખીને અયોધ્યા મોકલવામાં આવ્યો હતો. મંગળવારે 9 જાન્યુઆરીએ આ દીવો કોટા પહોંચ્યો. હવે 12 જાન્યુઆરી સુધીમાં તે અયોધ્યા રામ મંદિર પહોંચશે, જ્યાં તેને સ્થાપિત કરવામાં આવશે. અરવિંદ પટેલે જણાવ્યું કે વડોદરાથી અયોધ્યા મોકલવામાં આવી રહેલી 108 ફૂટની અગરબત્તીના સમાચાર સાંભળીને તેમને આ વિશાળ દીવો બનાવવાનો વિચાર આવ્યો. તેમણે કહ્યું કે જ્યારે મને ખબર પડી કે રામ મંદિર માટે અહીંથી અગરબત્તી મોકલવામાં આવી છે ત્યારે મને લાગ્યું કે એક દીવો પણ હોવો જોઈએ.
પંચ ધાતુમાંથી બનાવાયો 1100 કિલોનો દીવો
વિચાર આવ્યા બાદ અરવિંદે દીવો બનાવવાની પ્રક્રિયા શરૂ કરી. તેમણે વડોદરા સ્થિત મકરપુરા જીઆઈડીસી ફેક્ટરીમાં દીવો બનાવવાની વાત કરી હતી. એન્જિનિયરો સાથે ચર્ચા કર્યા બાદ અરવિંદે ડિઝાઇન તૈયાર કરી અને પંચ ધાતુ માંથી દીવો બનાવવાનું નક્કી કર્યું. 1100 કિલો વજનનો દીવો લગભગ એક મહિનામાં તૈયાર થઈ ગયો. આ દીવો બનાવવા માટે સોનું, ચાંદી, તાંબુ, જસત અને સીસાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. દીવાની ઊંચાઈ 9.15 ફૂટ અને પહોળાઈ 8 ફૂટ છે.
મશાલ સાથે પ્રગટાવવામાં આવશે દીવો
આ દીવામાં એક સમયે 500 કિલોથી વધુ ઘી પૂરી શકાશે. દીવો પ્રગટાવવા માટે એક સમયે 15 કિલો કપાસની વાટનો ઉપયોગ કરવામાં આવશે. તેમજ મશાલ વડે દીવો પ્રગટાવવામાં આવશે, આ માટે ટોચ પર જવા માટે સીડી પણ બનાવવામાં આવી છે. એકવાર પ્રગટાવવામાં આવ્યા બાદ આ દીવો એક મહિના કરતાં વધુ સમય સુધી પ્રજ્વલિત રહેશે.
પોતાની સાથે 501 કિલો ઘી લઈને જઈ રહ્યા છે અરવિંદ પટેલ
રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અરવિંદ પહેલે કહ્યું કે સનાતનનું સપનું પૂરું થવા જઈ રહ્યું છે. અમે અમારી સાથે 501 કિલો ઘી લઈ જઈ રહ્યા છીએ. દીવો સ્થાપિત કર્યા બાદ આપણે તેને આ ઘીથી પ્રગટાવીશું. જોકે, અરવિંદ પટેલે આ દીવો કેટલા રૂપિયામાં તૈયાર થયો તે કિંમત જણાવવાનો ઈન્કાર કર્યો હતો.


