- રાજ્યમાં વ્યાજખોરો સામે ડ્રાઈવ યથાવત
- અત્યાર સુધી 226 વ્યાજખોરો સામે 134 FIR
- 21 જૂનથી અત્યાર સુધીમાં 568 લોક દરબાર કર્યા
ગુજરાતમાં વ્યાજખોરોના ત્રાસમાંથી નાગરિકોને મુક્ત કરાવવાના હેતુથી સરકારની સુચનાને લઈને પોલીસે ખાસ ઝુંબેશ શરૂ કરી છે. જેના ભાગરુપે ગુજરાતમાં 226 વ્યાજખોરો સામે 134 એફઆઈઆર દાખલ થઈ છે. ગુજરાતમાં 21 જુનથી યોજાયેલી વ્યાજખોરો સામેની ખાસ ઝુંબેશમાં 568 લોકદરબાર યોજવામાં આવ્યા હતા. જેમા 32 હજારથી વધુ નાગરિકોએ ભાગ લીધો હતો.
રાજ્યમાં વ્યાજખોરો સામે ડ્રાઈવ યથાવત
મળતી માહિતી મુજબ, ગુજરાતમાં વ્યાજખોરોના ત્રાસમાંથી નાગરિકોને મુક્ત કરાવવાના હેતુથી સરકારની સુચનાને લઈને પોલીસે ખાસ ઝુંબેશ શરૂ કરી છે. જેના ભાગરુપે ગુજરાતમાં 226 વ્યાજખોરો સામે 134 એફઆઈઆર દાખલ થઈ છે. ગુજરાતમાં 21 જુનથી યોજાયેલી વ્યાજખોરો સામેની ખાસ ઝુંબેશમાં 568 લોકદરબાર યોજવામાં આવ્યા હતા. જેમા 32 હજારથી વધુ નાગરિકોએ ભાગ લીધો હતો.
નાણાં ધીરધાર અધિનિયમ 2011 અંગે ખાસ ડ્રાઇવ શરૂ
વ્યાજખોરો અને તેના વિષચક્રમાં ફસાઈ ચૂકેલા સામાન્ય નાગરિકોને આ ચુંગાલમાંથી મુક્ત કરાવવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સુચનાથી ગુજરાત પોલીસ દ્વારા તારીખ 26 જૂન રોજ રાજ્યભરમાં તમામ શહેર અને જીલ્લા ખાતે નાણાં ધીરધાર અધિનિયમ 2011 અંગે ખાસ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. 31 જુલાઇના રોજ સુધી ચાલનાર આ ડ્રાઇવ અંતર્ગત તમામ જિલ્લાઓમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા લોક દરબાર યોજી તલસ્પર્શી તપાસ સાથે કડક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
રાજ્યભરમાં વ્યાજખોરો વિરુદ્ધ ચાલી રહેલી આ સ્પેશિયલ ડ્રાઇવમાં અત્યાર સુધીમાં ૧૩૪ એફ.આઇ.આર દાખલ કરવામાં આવી છે. જેમાં ૨૨૬ આરોપીઓ સામે ગુનાઓ દાખલ થયા છે. પોલીસે શરૂ કરેલી કાર્યવાહીથી અનેક નાગરિકોના જીવન બચ્યાં છે તો અનેકને પોતાની ફસાઈ ચૂકેલી જીવનભરની મૂડી પરત મળી છે. અનધિકૃત એકપણ વ્યાજખોર પોલીસની કડક કાર્યવાહીથી બચે નહિ અને કોઈ નિર્દોષ વ્યક્તિ સામે ખોટો કેસ ન થઇ જાય તેની ખાસ તકેદારી સાથે સમગ્ર કાર્યવાહી કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા ગુજરાત પોલીસને સૂચના આપવામાં આવી છે.
568 લોકદરબારમાં 32 હજારથી વધુ નાગરિકો જોડાયા
મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રી દ્વારા પોલીસ અધિકારીઓને સ્પષ્ટ સુચના આપવામાં આવી છે કે, આ ડ્રાઇવનો ઉદ્દેશ માત્ર ફરિયાદોની સંખ્યા કરવાનો નથી. પરંતુ ગ્રાહ્ય ફરિયાદોને જ નોંધવામાં આવે અને તેના આધારે કડકપણે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. સાથે સાથે જે અરજદાર પાસેથી વ્યાજખોરે ખોટી રીતે નાણા પડાવ્યા હોય તે નાણા પણ પરત અપાવવાનો અભિગમ છે.
21 જુનથી અત્યાર સુધીમાં રાજ્યભરમાં યોજાયેલા 568 લોકદરબારમાં 32 હજારથી વધુ નાગરિકો જોડાયા છે. આ લોક દરબારમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા નિર્દોષ લોકોએ પોલીસ સમક્ષ પોતાની વ્યથા ઠાલવી છે. આ લોકદરબારમાં પોલીસ મહાનિરીક્ષક, પોલીસ અધિક્ષક તથા નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના ઉચ્ચ અધિકારીઓએ વ્યાજખોરોના દબાણથી પરેશાન નાગરિકોની વેદના ખૂબ જ ધ્યાનથી સાંભળી અને તેઓ લોકોની વચ્ચે ગયા ને તેમની ફરિયાદોના નિકાલ માટે તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરી છે.
જાગૃતિના અભાવનો ફાયદો ઉઠાવે છે વ્યાજખોરો
દેશમાં કેન્દ્ર સરકાર જનસામાન્ય માટે અનેક ઉપયોગી યોજનાઓ ચલાવે છે. આ તમામ યોજનાઓની જાણકારીના અભાવે જ ઘણીવાર જનતા લેભાતુ તત્વોના ચુંગાલમાં ફસાય છે. નાણાં ધીરધાર કરનારાઓ આવી જ જાગૃતિના અભાવનો ફાયદો ઉઠાવે છે. લઘુથી માંડીને મોટા વેપાર માટે પણ કેન્દ્ર સરકારની સ્વનિધિ કે મુદ્રા યોજનામાં સાવ નજીવા દરે અને સબસિડીના લાભ સાથે નાણાં આપવામાં આવે છે પરંતુ જાણકારીના અભાવે લોકો વ્યાજખોરો પાસેથી નાણાં લે છે.
તેથી સામાન્ય પ્રજાને લોન ધિરાણ મેળવવામાં મદદરૂપ થવા માટે રાષ્ટ્રીયકૃત બેન્કો અને સહકારી બેન્કોના પ્રતિનિધીઓ તથા જીલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારીઓ તથા જીલ્લામાં આ પ્રકારની લોન સહાય આપતાં અન્ય સરકારી વિભાગોના પ્રતિનિધીઓ સાથે સંકલન કરી લોન ધિરાણ અપાવવામાં સહાયતા માટે કેમ્પનું આયોજન કરવાનું પણ નક્કી કરવામાં આવ્યુ છે.


