ભારતમાં અનેક પ્રાચીનતમ મંદિરો જોવા મળે છે, પરંતુ ઉત્તર પ્રદેશના લલિતપુર જિલ્લામાં આવેલા ગામ દેવગઢમાં બેતવા નદીના કિનારે આવેલું એક મંદિર છે જે ખૂબ જ પ્રાચીન મંદિર છે. આ મંદિરની ખાસિયત એ છે કે આ મંદિર 1500 વર્ષ કરતાં પણ જૂનું છે અને તેને ગુપ્ત શાસનકાળમાં બનાવવામાં આવ્યું હતું. આ મંદિરને લઇને તેથી પણ વિશેષ બાબત એ છે કે, આ મંદિર દશાવતાર ધરાવતું મંદિર છે. ભારતમાં દશાવતારનું મંદિર અન્ય કોઇ જગ્યાએ જોવા મળતું નથી.
ત્રીજી અને છઠ્ઠી શતાબ્દીની વચ્ચે ભારતના મોટાભાગના વિસ્તારોમાં ગુપ્ત શાસકોનું રાજ ચાલતું હતું. અલબત્ત, ઘણાંય ઇતિહાસકારો આ સમયને ભારતના સ્વર્ણિમ યુગ તરીકે પણ ગણાવી રહ્યા છે. આ સમયમાં ભારતમાં વૈજ્ઞાનિકો, રાજકારણ, પ્રશાસન ઉપરાંત સાંસ્કૃતિક ક્ષેત્રોમાં સારા એવા પ્રમાણમાં વિકાસ થવા લાગ્યો હતો. જેમાં વાસ્તુકલા, મૂર્તિકલા અને ચિત્રકળાનો પણ સમાવેશ થાય છે. આ વાસ્તુકલા, મૂર્તિકલા અને ચિત્રકળાની નોંધ આજે દુનિયાભરમાં પણ લેવાય છે. દશાવતારના આ મંદિરની નોંધ આજે પણ ઇતહાસકારો અને વિશ્વ લઇ રહ્યું છે. આટલાં વર્ષો વીત્યા છતાં પણ મંદિર સામાન્ય જર્જરિત હાલતમાં જોવા મળે છે, પરંતુ તેની કારીગીરી કોઇના પણ મોઢામાં આંગળાં નાખી દે તેવી છે.
પથ્થરો અને ચિનાઇ માટીથી નિર્માણ પામેલું આ મંદિર સન 500ની આસપાસનું છે. આ મંદિરનું મહત્ત્વ એટલું બધું આંકવામાં આવ્યું છે તેનો અંદાજો એ વાત પર લગાવવામાં આવે છે કે, ગુપ્તકાળમાં દેવગઢને એરણ, સાંચી, ઝાંસી, પ્રયાગરાજ, પટણા અને બનારસને જોડતા મુખ્ય રાજમાર્ગ પર સ્થાપિત કરવામાં આવ્યું હતું.
ગુપ્ત સામ્રાજ્યના પતન બાદ આ મંદિર થોડું ખંડિત થવા આવ્યું હતું, પરંતુ ઈ.સ. 1870-71માં ભૌગોલિક મોજણી સમયેે કેપ્ટન ચાર્લ્સ સ્ટ્રેહનની નજર આ મંદિર પર પડી હતી. ત્યારબાદ ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણના જનક સર એલેક્ઝાન્ડર કનિંઘમ ઈ.સ. 1857માં અહીં આવ્યા હતા અને તેમને ગુપ્તકાળના અભિલેખ મળ્યા હતા. જોકે, તેમને અહીં મંદિરને શું નામ આપવું તે વિશે માહિતી ન હોઇ કનિંઘમે તેનું નામ `ગુપ્ત મંદિર’ રાખી દીધું હતું.
ઈ.સ. 1899માં પુરાત્ત્વવિદ પી.સી. મુખર્જીએ આ વિસ્તારનું વ્યવસ્થિત અને ઊંડાણપૂર્વક સર્વેક્ષણ કર્યું હતું. તેમને આ મંદિરનું નકશીકામ જોતાં ભગવાન વિષ્ણુની છબી નજરે આવી. તેમજ તેમની જાણમાં આવ્યું હતું કે અહીંની દંતકથામાં પણ સાંભળવામાં આવ્યું હતું કે અહીં ભગવાન વિષ્ણુના દસ અવતાર કંડારવામાં આવ્યા છે. જોકે, અહીંના કેટલાક સ્થાનિક લોકો આ મંદિરને `સાગર મઢ’ તરીકે પણ બિરદાવે છે.
આ મંદિરને લઇને આશ્ચર્યની વાત એ છે કે, મંદિરની આસપાસ ખોદકામ કરતાં અહીં ભગવાન કૃષ્ણ, ભગવાન રામ, ભગવાન નૃસિંહ અને વામન રૂપમાં ભગવાન વિષ્ણુની મૂર્તિઓ પણ મળી હતી. ઇ.સ. 1918માં પુરાતત્ત્વવિદ દયારામ સાહનીને મંદિરના પાયાની પાસે કેટલીક પેનલ પણ મળી. અલબત્ત, વધુ ખોદકામ કરતાં મંદિરની ચારેય તરફ નાનાં નાનાં ચોરસ દેવાલયોના અસ્તિત્વનું પણ પ્રમાણ મળ્યું હતું. એક રીતે આ મંદિરને જોઇને ચોક્કસથી કહી શકાય કે, મુખ્ય મંદિરની સાથે સાથે ઉત્તર ભારતમાં પંચાયતન શૈલીનું પ્રારંભિક ઉદાહરણ છે, જે સાબિત કરે છે કે દશાવતાર મંદિર ઉત્તર ભારતમાં પંચાયતન પ્રકારનું સૌથી પહેલું મંદિર હતું.
દશાવતારના આ મંદિરમાં દેવી-દેવતાઓ ઉપરાંત અન્ય પુરુષ-મહિલાઓની કોતરણી કરેલી મૂર્તિઓ પણ જોવા મળે છે. કેટલીક મૂર્તિઓ મંદિરની દીવાલો પર પણ સ્પષ્ટપણે જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે, આ મંદિરની કેટલીક મૂર્તિઓ દિલ્હીના રાષ્ટ્રીય સંગ્રહાલયમાં અને અમદાવાદના લાલભાઈ દલપતરાય સંગ્રહાલયમાં પણ રાખવામાં આવી છે.
મંદિરના દ્વાર પર અન્ય કલાકૃતિઓ પણ જોવા મળે છે. જેમાં ગંગા, યુમના નદીઓની કૃતિઓ જોવા મળે છે. તેમની ઉપર છત્રી કે ઝુમ્મર જેવું જોવા મળે છે અને ગંગા દેવી મગર પર ઊભા છે તેમજ યમુના દેવી કાચબા પર સવાર જોવા મળે છે. મંદિરના નીચેના અને ઉપરના ગૃહમુખ પર બે પુરુષોની કલાકૃતિઓ પણ જોવા મળે છે. આ સિવાય પણ અહીં નૃત્ય કરતી અને સંગીતનાં વાજિત્રો વગાડતી કલાકૃતિઓ પણ જોવા મળે છે. આ કલાકૃતિઓ મંદિરમાં આવતી વ્યક્તિનું સ્વાગત કરવા હેતુ બનાવવામાં આવી હોય એવું અનુમાન લગાવવામાં આવે છે. મંદિરની અંદર બહાર અન્ય મૂર્તિઓ જોવા મળે છે, જે ભગવાન વિષ્ણુને સમર્પિત છે. ખાસ કરીને ગજેન્દ્ર (હાથ) મોક્ષ, નર અને નારાયણનું પ્રાયશ્ચિત્ત અને શેષનાગના સાત ફેણની નીચે સૂતેલા ભગવાન વિષ્ણુ જોવા મળે છે.
ગર્ભગૃહના સ્તંભ ઉપરની દીવાલો પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની મૂર્તિઓ કંડારવામાં આવેલી જોવા મળે છે. તેની પાસે જ ભગવાન શિવ-પાર્વતી અને ઈન્દ્રદેવની મૂર્તિઓ જોવા મળે છે. સાથે સાથે ભગવાન કાર્તિકેય, ભગવાન ગણેશ ઉપરાંત સૃષ્ટિ રચયિતા ભગવાન બ્રહ્મા અને અન્ય દેવી-દેવતાઓની મૂર્તિઓ પણ જોવા મળે છે.
આ મંદિરમાં મહાભારત, રામાયણની ઘટના દર્શાવતી પેનલ્સ પણ જોવા મળે છે. જેમાં લક્ષ્મણ દ્વારા સૂર્પણખાની નાક કાપતી ઘટના તેમજ અશોકવાટિકામાં સીતા સમક્ષ રાવણનો વાદ-સંવાદ જોવા મળે છે. આ સાથે અન્ય પેનલમાં ભગવાન કૃષ્ણજન્મ અને તેમના દ્વારા કંસને વાળથી પકડીને જતા ઉપરાંત સુદામાનું સ્વાગત કરતા ભગવાન કૃષ્ણ દૃશ્યમાન થાય છે.