- ધૂમ વેચાણથી આવકમાં 66 ટકાનો માતબર ઉછાળો
- કોરોનાકાળમાં 33.52 લાખ લિટર બિયર વેચાયો
- વર્ષ 2020-21માં 51.84 કરોડની આવક
દારૂબંધીવાળા ગુજરાતમાં છેલ્લાં ત્રણ વર્ષમાં વિદેશી દારૂ અને બિયરના વેચાણ માટે પરવાના અપાયા છે, દારૂના આ વેચાણથી છેલ્લા ત્રણ વર્ષમાં રૂ. 200 કરોડની આવક રાજ્ય સરકારને થઈ છે. વર્ષ 2020-21માં 51.84 કરોડની આવક થઈ હતી, જોકે છેલ્લે વર્ષ 2022-23માં 78.14 કરોડની આવક દારૂના વેચાણ મારફત થઈ છે. આમ વર્ષ 2020-21ની સરખામણીએ વર્ષ 2022-23માં દારૂની આવકમાં 66 ટકા જેટલો જંગી ઉછાળો નોંધાયો છે. આ તો પરવાનેદારો દ્વારા વેચાણના આંકડા છે, આ સિવાય પીવાયેલા દારૂના વેચાણનો આંક ખૂબ મોટા પાયે છે. રાજ્યના ગૃહ વિભાગના સૂત્રોના કહેવા પ્રમાણે, ગુજરાતમાં સ્પિરિટ, વાઈનની સરખામણીએ બિયરનું વેચાણ વધુ છે. વર્ષ 2022-23ના અરસામાં 7.73 લાખ લિટર સ્પિરિટનું વેચાણ થયું છે જ્યારે 78 હજાર લીટર વાઈન અને 49.21 લાખ લિટર બિયરના જથ્થાનું વેચાણ કરાયું છે. કોરોનાકાળના અરસામાં એટલે કે વર્ષ 2020-21માં 33.52 લાખ લીટર બિયરનું વેચાણ થયું હતું, જોકે વર્ષ 2022-23માં વેચાણ 49.21 લાખ લિટરને પાર થયું છે. વિદેશી દારૂનું વેચાણ સતત વધી રહ્યું છે. દારૂ પીવાની પરમિટ લેનારામાં મોટા ભાગના રાતે ઉંઘ આવતી ન હોવાનું કારણ બતાવે છે, આમ તબિયતના નામે ગુજરાતમાં ધૂમ દારૂ પીવાય છે.
ગુજરાતમાં 69 સંગ્રહના જ્યારે 76 વેચાણના પરવાનેદારો
ગુજરાતમાં માર્ચ 2023ની સ્થિતિએ વિદેશી દારૂ અને બિયરના વેચાણ પરવાનેદારોની સંખ્યા 76 છે, જ્યારે સંગ્રહના 69 પરવાનેદારો છે. સૌથી વધુ અમદાવાદ શહેરમાં 19 સંગ્રહ અને 19 વેચાણ પરવાનેદારો છે. વેચામ પરવાનેદારોમાં અમદાવાદ જિલ્લામાં 2, ગાંધીનગર શહેરમાં 2, ગાંધીનગર જિલ્લામાં 2, સુરત શહેરમાં 5, સુરત જિલ્લામાં 1, ભરૂચમાં 4, વડોદરા શહેર અને રાજકોટ શહેરમાં 7-7, રાજકોટ જિલ્લામાં 2, આણંદ શહેરમાં 3, આણંદ જિલ્લામાં 1, ભાવનગર શહેરમાં 2, ભાવનગર જિલ્લામાં 1, કચ્છ-ભૂજમાં 7 પરવાનેદારો છે.
અમદાવાદ સિવિલમાં પરમિટ ભલામણનું કામ કરાવી આપતાં એજન્ટોનો રાફડો
અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે તબીબી ચકાસણી પછી લિકર પરમિટની ભલામણ કરાતી હોય છે. સૂત્રો કહે છે કે, સિવિલ કેમ્પસમાં પરમિટની ભલામણનું કામ ફટાફટ પતાવી દેવા માટે 15થી વધુ એજન્ટો સક્રિય છે. એજન્ટનો સંપર્ક કરો તો ફાઈલ ફટાફટ આગળ વધતી હોય છે. અંદાજે એક ભલામણ મંજૂર કરાવવા માટે એજન્ટો 25 હજાર ખંખેરે છે. એજન્ટો બારોબાર બ્લડ રિપોર્ટ સહિતની વ્યવસ્થા કરી આપતાં હોવાનો ગણગણાટ સિવિલ કેમ્પસમાં છે.
કેવા કિસ્સામાં પરમિટને મંજૂરી અપાય છે
મેડિકલ ચેકઅપ બાદ યોગ્ય લાગે તેવા કિસ્સામાં પરમિટ માટે ભલામણ કરાતી હોય છે. કોઈ વ્યક્તિ સ્ટ્રેસમાં રહેતી હોય, રાતે ઊંઘ ના આવે, હાયપરટેન્શન હોય તેવા કિસ્સામાં તબીબી ચકાસણી પછી મંજૂરી અપાતી હોય છે. મેડિકલ રિપોર્ટસની ચકાસણી પછી મેડિકલ ટેસ્ટ કરાય છે. જે તે અરજદાર આઈટી રિટર્ન ભરતાં હોવા જોઈએ, ભલામણ વખતે આવક મર્યાદા ધ્યાને લેવાય છે.
ગુજરાતમાં દારૂની લતના કારણે 3 વર્ષમાં 216 આત્મહત્યા
ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સ સહિતના નશીલા પદાર્થોની લતના કારણે ત્રણ વર્ષમાં 216 લોકોએ આત્મહત્યા કરી છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોએ આ આંકડા જાહેર કર્યા હતા. વર્ષ 2018માં 64, 2019માં 75 અને વર્ષ 2020ના અરસામાં 77 આત્મહત્યાના કિસ્સા પોલીસ ચોપડે નોંધાયા હતા. દેશમાં વર્ષ 2020માં 9,169 લોકોએ નશાની લત સહિતના કારણસર આત્મહત્યા કરી છે.
અમદાવાદ શહેરમાં બે વર્ષમાં દારૂની નવી 3,433 પરમિટને મંજૂરી
અમદાવાદ શહેરમાં પહેલી જાન્યુઆરી 2023ની સ્થિતિએ બે વર્ષમાં દારૂની નવી પરમિટ માટે 3433 અરજીઓ મંજૂર કરાઈ છે જ્યારે 126 અરજી વિવિધ કારણસર નામંજૂર થઈ છે. જે અરજીઓ નામંજૂર થઈ છે તેમાં જે તે અરજદારો દ્વારા જરૂરી આધાર પુરાવા રજૂ કરાયા નથી એટલે અરજી નામંજૂર થઈ હતી.
ભારતની વસ્તીના 33% લોકો દારૂ પીવે છે
આલ્કોહોલના એક રિપોર્ટ મુજબ, ભારતમાં દારૂની વ્યક્તિગત વાર્ષિક ખપત 3.2 લીટરની છે. વિતેલા 17 વર્ષોમાં દેશમાં પર કેપીટા કન્ઝમ્પશન બમણાથી પણ વધારે થયું છે. રીપોર્ટના આંકડા પ્રમાણે 2021 સુધીમાં દેશની વસ્તીના 33% લોકો દારૂ પીવે છે અને આ ટકાવારી 2025 સુધીમાં વધીને 40% થઇ જવાનો અંદાજ છે. ભારતમાં જે લોકો આલ્કોહોલ લે છે તેમાંથી 63% લોકો બીયર પીવે છે જયારે 11% લોકો વાઈન અને 10% લોકો સ્પિરિટ (પ્યોર આલ્કોહોલ) પીવે છે. આ ઉપરાંત 16% લોકો અન્ય પ્રકારનો આલ્કોહોલ પીવે છે. રીપોર્ટના 2022ના અંદાજ પ્રમાણે ભારતમાં આલ્કો-બેવરેજનું માર્કેટ રૂ. 2.62 લાખ કરોડનું છે.
ભારતીય માર્કેટમાં દેશી દારૂનું વર્ચસ્વ
ભારતમાં દારૂનું વેચાણ થાય છે તેમાં ઇન્ડિયન મેડ ઇન્ડિયન લીકર (IMIL) અને દેશી દારૂ (કન્ટ્રી લીકર)નું આજે પણ વર્ચસ્વ છે. ભારતના કુલ 2.62 લાખ કરોડના માર્કેટમાં 67% હિસ્સો IMILનો છે જયારે 14% કન્ટ્રી લીકરનો શેર છે. આ ઉપરાંત બીયરનો 16% અને ઈમ્પોર્ટેડ દારૂનો 2% માર્કેટ શેર છે. IMIL એ પ્રાદેશિક સ્વાદ પસંદગીઓથી પ્રભાવિત ફ્લેવર્ડ આલ્કોહોલિક પીણું છે જ્યાં લોકપ્રિય ફ્લેવર્સ ફ્ળોના સ્વાદ, મસાલા ફ્લેવર્સ વગેરેમાંથી દારૂ બનાવવામાં આવે છે. ભારતમાં ઓછી આવક જૂથ અને ગ્રામીણ વિસ્તારમાં કન્ટ્રી લીકર અથવા દેશી દારૂ પીવાનું ચલણ સૌથી વધુ છે. ભારતની યંગ પોપ્યુલેશન બીયર પીવાનું વધારે પસંદ કરે છે.


