રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)એ 2000 રૂપિયાની નોટને લઈને એક મોટું અપડેટ આપ્યું છે. RBIના લેટેસ્ટ આંકડા મુજબ ભલે 2 વર્ષ પહેલા 2000ની નોટને ચલણમાંથી બહાર કરવાની જાહેરાત કરવામાં આવી હતી પણ હાલમાં પણ બજારમાં 6,099 કરોડ રૂપિયાની 2000 રૂપિયાની નોટ છે.
98.29 ટકા નોટ RBIમાં જમા થઈ
19 મે 2023એ RBIએ 2000 રૂપિયાની નોટને ચલણમાંથી હટાવવાની જાહેરાત કરી હતી. તે સમયે બજારમાં 3.56 લાખ કરોડ રૂપિયાની 2000 રૂપિયાની નોટ બજારમાં હતી, હવે બે વર્ષ બાદ 30 જૂન 2025 સુધીમાં આ નોટનું મુલ્ય ઘટીને 6,099 કરોડ રૂપિયા રહી ગયું છે. એટલે કે આ સમયની અંદર 98.29 ટકા નોટ પરત આવી ચૂકી છે પણ હજુ 6000 કરોડથી વધુની નોટો બજારમાં છે.
પોસ્ટ ઓફિસ દ્વારા નોટ RBIને મોકલી શકો છો
તમને જણાવી દઈએ કે RBIએ કહ્યું કે 2000 રૂપિયાની નોટને જમા કરવા કે બદલવાની સુવિધા અગાઉ 7 ઓક્ટોબર 2023 સુધી તમામ બેન્કોમાં ઉપલબ્ધ હતી પણ હવે તમે RBIની 19 ઈશ્યુ ઓફિસમાં જમા કરાવી શકો છો કે બદલાવી શકો છો. એઠલું જ નહીં 9 ઓક્ટોબર 2023થી RBIના ઈશ્યુ ઓફિસમાં લોકો આ નોટને પોતાના બેન્ક ખાતામાં જમા પણ કરાવી શકો છે. આ સિવાય તમે કોઈ પણ પોસ્ટ ઓફિસમાં 2000 રૂપિયાની નોટ RBIની ઈશ્યુ ઓફિસમાં પણ મોકલી શકો છો. ત્યાંથી આ નોટ તમારા બેન્ક એકાઉન્ટમાં જમા થઈ જશે.
કેમ નોટ પરત ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો?
2000 રૂપિયાની નોટને લઈ RBIનું કહેવું છે કે આ નોટ પોતાનો ઉદ્દેશ્ય પૂર્ણ કરી ચૂકી હતી. 2016માં નોટબંધ બાદ આ નોટને બજારમાં લાવવામાં આવી હતી, જેથી રોકડ રકમની અછતને પૂર્ણ કરી શકાય પણ હવે નાના મૂલ્યની નોટ પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ છે તો RBIએ 2000 રૂપિયાની નોટને ધીરે-ધીરે હટાવવાનો નિર્ણય લીધો.