- ગ્રામ્ય પંથકોનો સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં સમાવેશ થતા વેરા વધશે સામે સુવિધામાં પણ વધારો થશે
- ગ્રામ્ય વિસ્તારના લોકોને વધુ વેરો ભરવો પડશે
- સુરેન્દ્રનગર-વઢવાણ સંયુક્ત પાલિકાની અંદાજિત વસ્તી 3.60 લાખ
રાજય સરકારના વર્તમાન બજેટ સત્રમાં રાજયની 7 નગરપાલીકાને મહાનગરપાલીકા બનાવવાની જાહેરાત થઈ છે. જેમાં સુરેન્દ્રનગર-વઢવાણ નગરપાલીકાનો પણ સમાવેશ કરાયો છે. આ જાહેરાત બાદ હવે મહાનગરપાલીકામાં કયા કયા આસપાસના ગામોને ભેળવવામાં આવશે. તે અંગે અટકળો શરૂ થઈ છે. ત્યારે પાલીકાના આધારભુત સુત્રો પાસેથી મળતી માહીતી મુજબ પાલીકાની હદથી 10 કીમી વિસ્તારમાં આવતા કુલ 23 ગામોને મહાનગરપાલીકામાં ભેળવવામાં આવનાર હોવાની શકયતા વર્તાઈ રહી છે. રાજયની 7 નગરપાલીકાની સાથે સુરેન્દ્રનગર-વઢવાણને પણ મહાનગરપાલીકા જાહેર કરાઈ છે. ત્યારે હવે મહાનગરપાલીકામાં સુરેન્દ્રનગર-વઢવાણ સંયુકત પાલીકામાં પાલીકા વિસ્તાર ઉપરાંત આસપાસના કયા કયા ગામોનો સમાવેશ થાય છે તે અંગેની અટકળો શરૂ થઈ છે. ત્યારે આધારભુત સુત્રો પાસેથી મળતી માહીતી મુજબ મહાનગરપાલીકાની જાહેરાત કરતા પહેલા સરકાર દ્વારા સાતેય નગરપાલીકા પાસે આ અંગેની માહીતી મંગાવી હતી. જેમાં આસપાસના કયા ગામોનો તેમાં સમાવેશ કરી શકાય, તે ગામોની વસ્તી, નગરપાલીકાની હદથી તે ગામનું અંતર સહિતની માહીતીનો સમાવેશ થતો હતો. ત્યારે સુરેન્દ્રનગર-વઢવાણ સંયુકત પાલીકા દ્વારા 23 ગામોની યાદી રાજય સરકારમાં સુપ્રત કરાઈ હતી. હવે શહેરીજનો સરકાર તરફથી બહાર પડનાર નોટીફીકેશનની રાહ જોવાઈ રહી છે. જેમાં મહાનગરપાલીકામાં કેટલા ગામોનો સમાવેશ કરાય છે તેની સાચી માહીતી આવી શકે તેમ છે.સુરેન્દ્રનગર-વઢવાણ સંયુકત નગરપાલીકા આસપાસ આવેલા ગામોમાં હાલ ગ્રામ પંચાયત છે. આ ગામોના લોકોને વાર્ષીક રૂપીયા 400થી 500નો જ વેરો આવે છે. પરંતુ આ ગામો મહાનગરપાલીકામાં ભળતા આ ગામોના લોકોને અંદાજે 3 થી 4 ગણો વેરો ભરવો પડશે તેવી સ્થીતી સર્જાય તેમ છે. બીજી તરફ શહેરમાં પણ વેરો વધી શકે છે. પરંતુ શહેરમાં વેરો વધારવો કે ન વધારવો તે આગામી મહાનગરપાલીકાની પ્રથમ બોડી નીર્ણય કરશે રિયલ એસ્ટેટને વેગ મળશે જાણીતા બીલ્ડર કે.સી.શાહે જણાવ્યુ કે, મહાનગર પાલીકા બનતા શહેરમાં હાઈરાઈઝ ઈમારતોની વધુ પરમીશન મળશે. જેથી લોકોને સસ્તા ભાવે ફલેટ મળશે. મહાનગરપાલીકા વિસ્તારમાં રોડ 36 થી 40 મીટર સુધીના પહોળા બનશે. એકંદરે મહાનગરપાલીકા બનતા રીયલ એસ્ટેટને વેગ મળશે.
મહાનગરપાલિકાથી વહીવટમાં શું ફેર પડે ?
રાજયમાં મહાનગરપાલીકા માટે ગુજરાત પ્રોવીઝનલ મ્યુનીસીપલ કોર્પેરેશન એકટ અમલમાં છે. મહાનગરપાલીકામાં કમીશ્નરને વધુ પાવર હોય છે. મહાનગરપાલીકામાં સ્ટેન્ડીંગ કમીટી પાસે વધુ સત્તા હોય છે. તે અસરકારકતાથી કામ કરી શકે છે. મહાનગરપાલીકામાં સેક્રેટરી, ઓડીટરની સ્વતંત્ર પોસ્ટ હોય છે. જે મેયર, સ્ટેન્ડીંગ કમીટી કે કમીશ્નરની અંડરમાં આવતા નથી.
શહેરના ઓજી વિસ્તારને ફાયદો થશે શહેરના આઉટ ગ્રોથ (ઓજી) વિસ્તાર ખાસ કરીને શહેરના રાજકોટ રોડ, રતનપર બાયપાસ, લીંબડી રોડ, ધ્રાંગધ્રા રોડ, અમદાવાદ રોડ, પાટડી રોડ પર નવી સોસાયટીના લોકોને રસ્તા, પાણી, લાઈટની કાયમ ફરિયાદો રહેતી હતી. તેનો અંત આવશે.


