મહારાષ્ટ્રમાં બાંગ્લાદેશી નાગરિકોની ગેરકાયદેસર ઘૂસણખોરીના મુદ્દોએ જોર પકડ્યું છે. ત્યારે પોલીસ થાણે જિલ્લાના કલ્યાણ-ડોંબિવલી વિસ્તારમાં સતત દરોડા પાડી રહી છે. આ દરમિયાન સોમવારે કલ્યાણની મહાત્મા ફુલે પોલીસે ત્રણ બાંગ્લાદેશી મહિલાઓની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલી મહિલાઓના નામ પરવીન શેખ, ખાદીજા શેખ અને રીમા સરદાર છે. કહેવામાં આવી રહ્યું છે કે આ મહિલાઓ છેલ્લા ઘણા વર્ષોથી આ વિસ્તારમાં રહેતી હતી.
ત્રણેય મહિલા વિરૂદ્ધ ભારતીય દંડ સંહિતા અને વિદેશી નાગરિકતા અધિનિયમ હેઠળ કાર્યવાહી કરાશે
મહાત્મા ફૂલે પોલીસને આ મહિલાઓના રહેઠાણ વિશે માહિતી મળી હતી. આ માહિતીના આધારે પોલીસે તે સ્થળે દરોડો પાડ્યો અને ત્રણેય મહિલાઓને કસ્ટડીમાં લીધી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ ત્રણેય મહિલાઓ ઘણા વર્ષોથી ભારતમાં ગેરકાયદેસર રીતે રહી હતી. તેમની સામે ભારતીય દંડ સંહિતા અને વિદેશી નાગરિકતા અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્રના મંત્રી સંજય શિરસાટે કહ્યું છે કે છત્રપતિ શિવાજીનગરમાં રહેતા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને ઓળખવા માટે એક સર્વે કરવામાં આવશે.
ગેરકાયદેસર રીતે કેવી રીતે પ્રવેશ્યા? તેને લઈ પોલીસ તપાસમાં લાગી
મહાત્મા ફૂલે પોલીસ સ્ટેશનના સબ-ઈન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે પોલીસ ધરપકડ કરાયેલી બાંગ્લાદેશી મહિલાઓના કેસની તપાસ કરી રહી છે. શું આમાં મહિલાઓ સાથે બીજું કોઈ છે? તેમને કોણ લાવ્યું અને તેઓ ગેરકાયદેસર રીતે કેવી રીતે પ્રવેશ્યા? પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે. ઉપરાંત, તેના બધા દસ્તાવેજોની તપાસ કરવામાં આવી રહી છે. આ કારણે પોલીસ તપાસમાં આગળ શું બહાર આવે છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે.
છત્રપતિ શિવાજીનગરમાં પણ સર્વે કરવામાં આવશે
મહારાષ્ટ્રના મંત્રી સંજય શિરસાતે સોમવારે જણાવ્યું હતું કે છત્રપતિ શિવાજી નગરમાં રહેતા ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોને શોધવા માટે જિલ્લા, મ્યુનિસિપલ અધિકારીઓ અને પોલીસની મદદથી એક સર્વે હાથ ધરવામાં આવશે. તેમણે કહ્યું કે અધિકારીઓ એવા બાંગ્લાદેશીઓને શોધી કાઢશે, જેમણે ગેરકાયદેસર રીતે આધાર કાર્ડ, મતદાર ઓળખ કાર્ડ અને અન્ય દસ્તાવેજો મેળવ્યા છે. સંજય શિરસાટે કહ્યું, ‘આવતા અઠવાડિયે પોલીસ કમિશનર, પોલીસ અધિક્ષક, મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે બેઠક થશે.’ આવા (બાંગ્લાદેશી) લોકોની ઓળખ કરવા માટે એક સર્વે કરવામાં આવશે. તેમણે કહ્યું કે અધિકારીઓ તે બાંગ્લાદેશીઓને શોધી કાઢશે અને તેમની સામે કાર્યવાહી કરશે.


