- ઝાડા ઉલટીના દર્દીઓનો આંકડો 175 ને પાર : સર્વેલન્સની કામગીરી ચાલુ
- પાણીના વાલ્વ ઉપર ગટરના પાણી ભરાઈ રહ્યાનો વીડીયો વાયરલ થયો
- રોગચાળામાં અત્યાર સુધીમાં 175 દર્દીઓ નોધાઈ ચુકયા
કલોલ શહેરના પૂર્વ વિસ્તારમાં દિવડા તલાવડી આસપાસના વિસ્તારમાં ઝાડા ઉલટીનો રોગચાળો ફાટી નીકળ્યો છે. અને દિન પ્રતિદિન કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. આજે વધુ 31 કેસ મળી આવ્યા હતા. અને ઝાડા ઉલટીના રોગચાળામાં દર્દીઓનો આંકડો 175 ને પાર થઈ ગયો હતો. અને હજી પણ આ આંકડો વધે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. આરોગ્યતંત્ર દ્વારા ડોર ટુ ડોર સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. અને તંત્ર દ્વારા ઓ.આર.એસ.ના પેકેટ તેમજ કલોરીનની ટેબલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કલોલ શહેરના પૂર્વવિસ્તારમાં ઝાડા ઉલટીના રોગચાળો ફાટી નીકળ્યો છે. આ રોગચાળામાં અત્યાર સુધીમાં 175 દર્દીઓ નોધાઈ ચુકયા છે. અને આ આંકડો હજી પણ વધે તેવી સંભાવાનાઓ જોવા મળી રહી છે. પૂર્વ વિસ્તારમાં દુષિત પાણી પીવાના પાણી સાથે ભળી જતા આ રોગચાળો ફેલાયો છે. અને હાલમાં પણ લીકેઝ શોધવાની કામગીરી કરવામાં આવી રહી છે. સોશીયલ મીડીયામાં વાયરલ થયેલા વીડીયોમાં પાણીના વાલ્વ ઉપર ગટરના પાણી ભરાઈ રહ્યાના વીડીયો ફરી રહ્યો છે. તેના કારણે આ રોગચાળો ફેલાયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. સ્થાનિક લોકોએ આ બાબતે નગરપાલિકામાં અવાર નવાર રજુઆત કરી હોવા છતાં નગરપાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં ન આવતા રોગચાળાએ ભરડો લીધો છે. અને અનેક લોકો તેમાં સપડાયા છે. અગાઉ પૂર્વ વિસ્તારમાં જ બે વખત કોલેરાનો રોગચાળો ફાટી નીકળ્યો હતો. જેમાં અગાઉના 6 ના મૃત્યુ નીપજયા હતા. ત્યારબાદ બીજી વખત એકનું મૃત્યુ નીપજ્યું હતું. વારંવાર અહી પૂર્વ વિસ્તારમાં જ ઝાડા ઉલટી કોલેરાના રોગચાળો ફાટી નીકળે છે. જેના પગલે લોકોમાં ચિંતાનું મોજુ જોવા મળી રહ્યુ છે.ત્યારે નગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે લીકેઝ શોધવાની કામગીરી કરીને લીકેજ રીપેર કરવામાં આવે તેવી સ્થાનિક લોકોમાં માંગણી ઉઠવા પામી છે. બીજી તરફ રોગચાળાના પગલે આરોગ્યતંત્રા દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
પાલિકાના કોર્પોરેટરે મુખ્યમંત્રીને રજુઆત કરી
કલોલના પૂર્વ વિસ્તારમાં ઝાડા ઉલટીનો રોગચાળો ફાટી નીકળ્યો છે. ત્યારે પૂર્વ વિસ્તારના કોર્પોરેટર પ્રદીપસિંહ ગોહિલ દ્વારા મુખ્યમંત્રીને પત્ર પાઠવવામાં આવ્યો છે. અને આ પત્રમાં જણાવ્યા અનુસાર ઝાડા ઉલટીના કેસમાં સમયસર કામગીરી ન કરી હોય તેવા જવાબદાર વ્યકિતઓ સામે શિક્ષાત્મક પગલા લેવા માટે તેઓએ રજુઆત કરી છે. તેઓની રજુઆતમાં જણાવ્યા પ્રમાણે પ્રભુનગર રોડ પાસે ગટરના પાણીના તળાવ ભરાઈ ગયેલ છે. આ વિસ્તારમાં આગળ પણ આ રીતે પાણી ભરાતા તે પીવાના પાણી સાથે ભળી જતા કોલેરાનો રોગચાળો ફેલાયો હતો. જેમાં એક વ્યકિતનું મોત નીપજ્યું હતું. તેમ છતાં ચીફ ઓફીસર દ્વારા કોર્પોરેટરને કહેવામાં આવેલ કે ટેન્શન ના લેશો બધું સરખું થઈ જશે ગટર લાઈન ચાલુ કરાવી દઈશું તેમ કહ્યું હતું. પણ તેઓએ ચાલુ નહી કરાવતા અહી રોગચાળો ફાટી નીકળ્યો છે. અને તેઓને રજુઆત કરી હોવા છતાં તેઓ ઘટના સ્થળે આવ્યા ન હતા. અને છ દિવસ બાદ તેઓ ઘટના સ્થળે આવ્યા હતા. પત્રમાં તેઓએ રોગચાળા માટે નગરપાલિકા તંત્ર, ચીફ ઓફીસર અને સેનેટરીને લગતા કર્મચારીઓને જવાબદાર ઠેરવ્યા હતા. અને તમામ સામે પગલા ભરવાની માંગણી કરી હતી.
કલોલના રહીશોને ઉકાળેલું પાણી પીવાનું સૂચન
કલોલમાં 36 આરોગ્યની ટીમો દ્વારા 1880 જેટલા ઘરોમાં રહેતા 9 હજાર જેટલા નાગરિકોનો સર્વે કરવામાં આવ્યો છે. સર્વે દરમિયાન 9 દર્દીઓને સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે અને 2 દર્દીને ગાંધીનગર સિવીલ સારવાર માટે દાખલ કરાયા છે. હાલમાં 24 દર્દીઓ સારવાર હેઠળ છે. ચાર દર્દીઓના સ્ટુલના સેમ્પલ લેવામાં આવ્યા છે. પાણીના પણ સાતેક સેમ્પલ લઈને પરિક્ષણ માટે મોકલ્યા છે. શ્યામહાઈટ્સ તથા આજુબાજુના વિસ્તારની સોસાયટીના રહીશોને ઉકાળેલું પાણી પીવા અને વારંવાર હાથ ધોવા માટે આરોગ્ય તંત્ર દ્વારા સમજ આપવામાં આવી છે.
કોલેરાના પાંચ ટેસ્ટ લેવામાં આવ્યા તે તમામ નેગેટીવ
કલોલ શહેરના પૂર્વ વિસ્તારમાં ઝાડા ઉલટીનો રોગચાળો ફાટી નીકળ્યોે છે. જેના પગલે આરોગ્ય તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવેલી છે. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 4 તથા પ ને 11ની તમામ સોસાયટીઓમાં આરોગ્ય વિભાગ દ્વારા 36 જેટલી ટીમો બનાવીને સઘન સર્વેન્સની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીમાં આજરોજ ઝાડાના 31 કેસો જોવા મળ્યા હતા. જે પૈકી 20 દર્દીઓને સ્થળ ઉપર જ સારવાર આપવામાં આવી હતી. અને 11 દર્દીઓને દાખલ કરીને સારવાર આપવામાં આવી હતી. આરોગ્ય ટીમ દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વે દરમિયાન લોકોને પીવાના સ્વચ્છ પાણી બાબતે જાગૃત કરી પાણી ઉકાળીને પીવા માટે સુચના આપવામાં આવી હતી. આરોગ્યતંત્ર દ્વારા ઝાડા ઉલટી ના પાંચ સેમ્પલ કોલેરા માટે લેવામાં આવ્યા હતા. તે તમામે તમામ નેગેટીવ આવ્યા હતા. આરોગ્ય તંત્રના મુખ્ય જિલ્લા અધિકારી તથા જિલ્લા સર્વેને અધિકારી તથા જિલ્લા એપીડેમિયોલોજીસ્ટ તેમજ જીએમઈઆરએસ મેડીકલ કોલેજની ટીમ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે.


