અમદાવાદના કુલ ટ્રાફિકમાં રાજકોટ-સૌરાષ્ટ્રનો ટ્રાફિક ૫૦ ટકા હોવાનો ખુલાસો
વડાપ્રધાન દ્વારા લોકાર્પણ કરાયેલા રાજકોટના આંતરરાષ્ટ્રીય વિમાની મથકમાં હવે આંતરરાષ્ટ્રીય વિમાની સેવાની કોઇ સુવિધા નથી તેવી જાહેરાત કરી સમગ્ર સૌરાષ્ટ્રને કેન્દ્ર સરકારે અચંબામાં મૂકી દીધી છે. આ નિર્ણયના કારણે ભવિષ્યમાં જે લોકો રાજકોટ એરપોર્ટથી વિદેશમાં જવાના હતા તેમને ફરજીયાત અમદાવાદ અથવા મુંબઇના વિમાની મથકનો ઉપયોગ કરવો પડશે. રાજકોટ-સૌરાષ્ટ્રના ૫૦ હજાર મુસાફરો હાલમાં અમદાવાદ વિમાની મથકેથી વિદેશ જતા હોવાનું જાણવા મળે છે.
સૌરાષ્ટ્રને માત્ર એક જ કમી હતી તે પૂરી થઈ છે તેમ કહીને જૂલાઈ- 2023માં રૂ।. 1405 કરોડના ખર્ચે રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ધામધૂમથી લોકસભાની ચૂંટણી પૂર્વે લોકાર્પણ કરી દેવાયું તેને તેને એક વર્ષ થવા આવ્યું છે ત્યારે ચોંકાવનારો ઘટસ્ફોટ રાજકોટ એરપોર્ટ દ્વારા કરાયો છે. જેમાં તેણે જણાવ્યું છે કે રાજકોટના હીરાસરમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ માટે તો હજુ દરખાસ્ત પણ કરવામાં આવી નથી.
સૌરાષ્ટ્રમાંથી દર મહિને અંદાજે પચાસ હજાર લોકોએ વિદેશ યાત્રા કરવા માટે રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ (માત્ર નામનું) હોવા છતાં અમદાવાદ ચાર-પાંચ કલાકના ધક્કા ખાવા પડે છે. અમદાવાદનું ઈન્ટરનેશનલ એરપોર્ટ વિવાદી યોજના પી.પી.પી.ધોરણે ચાલી રહ્યું છે જ્યાં ગત મે માસમાં ૧,૯૦,૦૪૦ વિદેશોના યાત્રિકો નોંધાયા છે. ગત બે માસમાં અમદાવાદ એરપોર્ટ પરથી ૩.૫૧ લાખ નાગરિકોએ વિદેશ આવવા જવા હવાઈયાત્રા કરી હતી અને આ સંખ્યામાં ગત વર્ષની સાપેક્ષે ૨૫ ટકાનો તોતિંગ વધારો નોંધાયો છે જે લોકોની વિદેશ પ્રવાસની અનિવાર્ય જરૂરિયાત દર્શાવે છે. આ સ્થિતિ છતાં રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટની હજુ દરખાસ્ત પણ નથી થઈ તે અત્યંત ંગભીર બાબત મનાય છે. એરપોર્ટ તંત્રએ આજે પણ કોઈ નિવેદન જારી કરીને પરિસ્થિતિ શુ છે, ઈન્ટરનેશનલ ફ્લાઈટ કેમ શરુ નથી થઈ, કેનોપી કેમ ધસી પડયું તે અંગે જાણે વારસાઈ પેઢી ચલાવતા હોય તેમ પ્રજાને માહિતી જારી કરી નથી.
રાજકોટ એરપોર્ટના ટ્વીટર એકાઉન્ટ પરથી એક મેસેજમાં એવું જણાવાયું છે કે નવું ટર્મિનલ બિલ્ડીંગ શરુ થયા બાદ તેમાં પણ ડોમેસ્ટીક ફ્લાઈટ જ ઓપરેટ થશે. એરલાઈન્સ તરફથી દરખાસ્ત મળ્યા બાદ ડોમેસ્ટીક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ માટે કસ્ટમ, ઈમીગ્રેશન વગેરેની કામગીરી અલગ અલગ થશે.
સમગ્ર સૌરાષ્ટ્રની જનતા સાથે અદ્યતન, ગ્રીનફિલ્ડ અને આંતરરાષ્ટ્રીય વિમાનમથકના નામે મજાક કરાઈ છે તેવી છતાં એરપોર્ટ તંત્ર કે અગાઉ લોકસભાની ચૂંટણી આવવાની હોવાથી એરપોર્ટના બાથરૂમમાં પાણી ન્હોતું આવતું તે મુદ્દે પણ સ્થળ તપાસ કરવા ધસી ગયેલા ભાજપના નેતાઓએ પણ હવે મૌન ધરી લીધું છે. એરપોર્ટના ડાયરેક્ટરે આ વાત હવે જાહેર કરી પરંતુ, લોકસભાની ચૂંટણીમાં જેના નામ પર મસમોટો પ્રચાર થઈ રહ્યો હતો ત્યારે કેમ જાહેર ન કર્યું તે પણ શંકાસ્પદ છે.