- પ્રદૂષણ વધતા શહેરીજનો માટે શ્વાસ લેવામાં તકલીફ, આંખોમાં બળતરા
- રખિયાલની હવા શ્વાસમાં લેવાને લાયક નહીં
- બે દિવસમાં AQI વધીને 321એ પહોંચી ગયો
અમદાવાદ શહેરમાં પ્રદૂષણ વધતાં લોકોને હવે શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે. દિવસ દરમિયાન તેમજ મોડી સાંજથી જ જાણે આંખોમાં રીતસરની બળતરા થવા લાગે છે. શહેર આખું જાણે પ્રદૂષણથી ઘેરાઈ ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ ચુકી છે. માત્ર બે જ દિવસમાં અમદાવાદ શહેરનો એર ક્વોલિટી ઈન્ડેક્સ 51 ટકા વધારા સાથે 132થી વધીને 199એ પહોચી ગયો છે. શહેરની હવાની સરેરાશ સ્થિતિ ‘ખરાબ’ ના માપદંડમાં આવી ગઈ છે. સૌથી વધુ પ્રદૂષણનો ભોગ શહેરના રખિયાલ વિસ્તારના લોકો બન્યાં છે. રખિયાલનો એર ક્વોલિટી ઈન્ડેક્સ સતત ત્રણ દિવસથી 300ને પાર નોંધાઈ રહ્યો છે. સતત વધારા સાથે આજે આ વિસ્તારનો AQI 321 નોંધાયો હતો.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં દિવાળીના તહેવારો શરૂ થાય એ પહેલા જ પ્રદૂષણ તેજ ગતીએ વધી રહ્યું છે. છેલ્લા ચાર-પાંચ દિવસથી તો હવા શ્વાસમાં લેવાને લાયક પણ રહી નથી. એક બાજુ શહેરના પૂર્વ સહિતના વિસ્તારોમાં ગેરકાયદે ધમધતી ફેક્ટરીઓના કેમિકલ્સ-ધુમાડા અને હવે ફટાકડાના ધુમાડાના કારણે વાતાવરણ પ્રદુષીત બની ગયું છે. પ્રદૂષણના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે, જે લોકોના સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનિકારક સાબિત થઈ શકે છે.


