- ઘાટલોડિયાના વેપારીના બોગસ દસ્તાવેજોથી ઠગ ભાઈ-બહેને લોન લીધી
- હપ્તા અટકતાં બેન્કકર્મી ઘરે આવ્યા ત્યારે ઘાટલોડિયાના વેપારીને ખબર પડી
- વેપારીએ તપાસ કરતા મિલ્કતનું શેર સર્ટિફ્કિેટ પણ ખોટુ બનાવ્યુ હતુ
ઘાટલોડિયાના વેપારીની પ્રોપર્ટીના નિકોલના બે ઠગ ભાઇ-બહેને ખોટા કાગળો બનાવી દસ્તાવેજ કરીને બેન્કમાંથી રૂ. 5.90 કરોડની લોન મંજૂરી કરાવી લીધી હતી. જે બાદ વેપારીની મિલકત પર બેન્કના કર્મચારી આવ્યા ત્યારે ભાંડો ફૂટયો હતો. જે બાદ વેપારીએ તપાસ કરતા મિલ્કતનું શેર સર્ટિફ્કિેટ પણ ખોટુ બનાવ્યુ હતુ. આ અંગે વેપારીએ બંને ઠગ ભાઇ-બહેન સામે આર્થિક ગુના નિવારણ શાખામાં ફરીયાદ નોધાવી છે. મહત્વનું છે કે, આ વેપારીએ અયોધ્યાના રામ મંદિર માટે ધ્વજદંડ બનાવ્યો હતો.
ઘાટલોડિયામાં રહેતા 61 વર્ષીય ભરતભાઈ મેવાડા ગોતામાં અંબિકા એન્જિનિયરિંગ વર્કસના નામે મંદિરોને લગતું કામકાજ કરે છે. જેમાં તેમણે આશ્રામરોડ પર લોકમાન્ય તિલક સોસાયટીનો એક અનએલોટેડ પ્લોટ વેચાણ રાખવાનો સોદો કર્યો હતો. સોસાયટીએ ભરતભાઈ મેવાડા અને તેમની પત્નીના નામે પ્લોટનો દસ્તાવેજ કરીને પ્લોટ સોંપી દીધો હતો. આ જગ્યાની દેખરેખ રાખવા તેમણે સિક્યુરિટી રાખી હતી. ગત જુલાઇ 2023માં સિક્યુરિટીએ કહ્યું હતું કે પ્રોપર્ટી ઉપર બેન્ક કર્મચારી આવ્યા હતા અને આ પ્રોપર્ટી મુકતાબેન ધનજીભાઇ ગોંડલિયાની છે તેમ પુછતા મેં તેમને ભરતભાઇની છે તેમ જણાવ્યુ હતુ. જે બાદ કર્મચારીએ આ પ્રોપર્ટી અમારી બેંકમાં મોર્ગેજમાં મુકી પીયૂષ ગોંડલિયા તથા મુકતાબેન ગોંડલીયાએ લોન લીધી છે. બાદમાં ભરતભાઇએ પ્રોપર્ટી કાર્ડ જોતા તેમાં તેમનું અને પત્નીનું નામ ચાલુ છે. ગત ઓગસ્ટ 2023ના બેંક ઓફ્ મહારાષ્ટ્રના કર્મચારીનો ફેન આવ્યો હતો અને કહ્યુ કે તમારી મિલકત ઉપર લીધેલ લોન બાબતે દૈનિક પેપરમાં પઝેશન નોટીસ આપેલ છે જે તમે જોઇ લેજો. જેથી તપાસ કરતા પિયુષે બેંકમાંથી લોન લીધેલ હોવાથી લોન પેટે રૂ. પાંચ કરોડથી વધુની રકમ ચુકવવાની બાકી હોવાનું અને આ લોનમાં મુકતાબેન ગોંડલિયા ગેરેન્ટેડ તરીકે હોવાનું સામે આવ્યુ હતું. બાદમાં ભરતભાઇએ તપાસ કરાવી ત્યારે પ્રોપર્ટી ઉપર મેળવેલ લોનના કામે રજુ થયેલ કાગળોની નકલો મેળવેલ, જેમાંથી મને ઇન્ડેક્ષની નકલ તથા સિમ્પલ મોર્ગેજ ડીડની નકલો આપતા જે જોતા પિયુષે બેંક ઓફ્ મહારાષ્ટ્ર અંધેરી ઇસ્ટ મુંબઇ શાખામાંથી 4.50 કરોડની ટર્મ લોન તથા 15 લાખની સી.સી.લોન અને અન્ય લોન મળી કુલ 5.90 કરોડની લોન લીધી હોવાનું સામે આવ્યુ હતુ. જેથી તપાસ કર્યા બાદ બંને ઠગ ભાઇ-બહેને ખોટા દસ્તાવેજ અને શેર સર્ટીફીકેટ બનાવી દસ્તાવેજ વેચાણ કરાવી કચેરીમાં રજૂ કરીને બારોબાર લોન લઇ લીધી હતી. આ અગે ભરતભાઇએ બંને ઠગ ભાઇ-બહેન સામે આર્થિક ગુના નિવારણ શાખામાં ફરીયાદ નોધાવી છે.


