- કેન્દ્રીય ગૃહમંત્રીએ રજૂ કર્યા 2બિલ
- આરક્ષણના નિયમોમાં થશે મોટો ફેરફાર
- અમિત શાહે લોકસભામાં ચર્ચામાં આપ્યો જવાબ
લોકસભાના શિયાળુ સત્રમાં સાંસદોએ જમ્મુ કાશ્મીરને લગતા 2 બિલ પર ચર્ચામાં ભાગ લીધો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા રજૂ કરાયેલા બંને બિલમાં જમ્મુ કાશ્મીરના જૂના 2004ના આરક્ષણ અધિનિયમમાં પરિવર્તન કરવાનો હેતુ છે. જેનાથી અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સામાજિક તેમજ શૈક્ષણિક પછાત વર્ગના લોકોને નોકરીઓ અને વેપારી સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા માટે આરક્ષણની સુવિધા આપે છે.
આ બિલની ચર્ચામાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું મોદી સરકારના સમયમાં કાશ્મીરની આતંકની ઘટનાઓમાં મોટો ઘટાડો આવ્યો છે. 70 ટકા જેટલી આતંકની ઘટનાઓ ઓછી થઈ છે અને હવે 70 વર્ષ પછી કાશ્મીરીઓને તેમના અધિકારો મળવા જઈ રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા 70 વર્ષમાં કાશ્મીરીઓ તેમના અધિકારોથી વંચિત હતા. હવે કાશ્મીરીઓના અધિકારની વાત થઈ રહી છે. નાગરિકોની મૃત્યુની ઘટનામાં ઘટાડો આવ્યો છે. 2021માં પહેલીવાર કાશ્મીરમાં થિયેટરો શરૂ થયા છે. આમ અમિત શાહના જણાવ્યાનુસાર કાશ્મીરમાં છેલ્લા 9 વર્ષમાં પરિસ્થિતિ પહેલા કરતા ઘણી સુધરી છે.
આ ઉપરાંત અમિત શાહે પીએમ મોદીના વખાણ કરતા કહ્યું હતું કે જે હિંમત કોઈ નહોતું કરી શકતું તે પીએમ મોદીએ કરી બતાવી. કલમ 370ને ઉખાડીને ફેંકી દીધી. 370ના ગયા બાદ હવે કાશ્મીરમાં થિયેટરો ખુલ્યા છે. લાલ ચોક પર ઉત્સવો ઉજવાઈ રહ્યા છે. પહેલા 94 ડિગ્રી કોલેજ હતી આજે તે વધીને 144 થઈ છે. આજે કાશ્મીરમાં 2 એમ્સ છે. પહેલા પથ્થરો ફેંકાતા હતા હવે 370 હટ્યા બાદ કાંકરી પણ નથી ફેંકાતી.
હકીકતે આજે કોંગ્રેસના સંસદીય દળના નેતા અધીર રંજન ચૌધરીએ અમિત શાહને પંડિત નેહરૂની ભૂલ પર ચર્ચા કરવા માટે પડકાર ફેંક્યો હતો. જેને લઈને લોકસભામાં અમિત શાહે જવાબ વાળ્યો હતો. આ મામલે અમિત શાહના નિવેદનને લઈને ગૃહમાં હંગામાની સ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ હતી અને કોંગ્રેસ તેમજ ભાજપના સાંસદો ચર્ચામાં સામ-સામે આવી ગયા હતા.
ગૃહમાં હંગામાની સ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ હતી અને કોંગ્રેસ તેમજ ભાજપના સાંસદો ચર્ચામાં સામ-સામે આવી ગયા હતા. અમિત શાહે લોકસભામાં ચર્ચા દરમિયાન કહ્યું હતું કે પંડિત નેહરૂએ ઘણી ભૂલો કરી હતી. આપણી સેના કાશ્મીરમાં જીતી રહી હતી ત્યારે તેમણે સીઝફાયર કર્યું. કાશ્મીરના પ્રશ્નને સંયુક્ત રાષ્ટ્રમાં લઈ જવાની જરૂર નહોતી. આજે પંડિત નેહરૂની ભૂલ છે કે ભારતનું કાશ્મીર PoK રૂપે પાકિસ્તાનમાં છે. આ ઉપરાંત અમિત શાહે એક મોટું નિવેદન પણ આપ્યું હતું કે કાશ્મીરમાં અમે 24 સીટો PoK માટે રિઝર્વ રાખી છે. PoK અમારું છે.
મહત્વનું છે કે અમિત શાહ દ્વારા લોકસભામાં લાવવામાં આવેલું આબિલ જમ્મુ કાશ્મીર પુનર્ગઠન (સંશોધન) વિધેયક 2019માં સંશોધન કરે છે અને તેના માટે અધિનિયમ 2019ના અનુસાર જમ્મુ કાશ્મીરની વિધાનસભાની કુલ સીટોની સંખ્યા 83માં ફેરફાર કરવામાં આવશે. 1950ના નિયમ અનુસાર 83 સીટોમાંથી અનુસૂચિત જાતિઓ માટે કુલ 6 સીટો રિર્ઝવ કરવામાં આવી હતી જો કે હવે નવા પુનર્ગઠન બિલ અનુસાર હાલની કુલ સીટો વધારીને 90 કરવામાં આવશે અને અનુસૂચિત જાતિ માટે કુલ 7 તેમજ અનુસૂચિત જનજાતિ માટે 9 સીટો આરક્ષિત કરવામાં આવશે.
આ સિવાય બિલમાં કહેવામાં આવ્યું છે કે ઉપરાજ્યપાલ કાશ્મીરી પ્રવાસી સમુદાય માટે વધુમાં વધુ 2 સભ્યોને વિધાનસભામાં મનોનીત કરી શકશે. તેમજ આ મનોનીત સભ્યોમાંથી એક મહિલા હોવી જોઈએ જ્યારે કે પીઓકેમાં રહેલા જમ્મુ કાશ્મીરના વિસ્થાપિતો માટે તેમનું પ્રતિનિધિત્વ કરવા માટે એક સભ્યને વિધાનસભામાં મનોનીત કરી શકે છે. આ બિલ પર આજે લોકસભામાં ચર્ચા ચાલી રહી છે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સાંસદોના પ્રશ્નોના જવાબ આપી રહ્યા હતા.


