- વાડિયાની વૃદ્ધા માતાએ ધ્રૂજતા અવાજે કહ્યું હતું કે, ઘરમાં ટીપું પાણી નથી
- મહિલાઓમાં સામાજિક વ્યવસ્થા જોઈ તંત્રે જનતા ફાઉન્ડેશનનો આભાર માન્યો
- થરાદનું વાડિયા ગામ દેહવિક્રયના બદનામી અને કલંકભર્યા વ્યવસાયથી દેશમાં જાણીતું
થરાદનું વાડિયા ગામ દેહવિક્રયના બદનામી અને કલંકભર્યા વ્યવસાયથી દેશમાં જાણીતું હતું. જેમાં ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા પણ વાડિયાની મહિલાઓને-દીકરીઓને દેહવ્યાપારમાંથી બહાર કાઢવા માટે ખૂબ પ્રયત્ન કરાયા હતા પરંતુ વહીવટી તંત્રના કોઈ અધિકારીઓ કે કોઈ રાજકીય આગેવાન વાડિયા ગામનું નામ લેવા માગતા ન હતા અને વાડિયા ગામમાં જવા માટે કોઈ તૈયાર ન હતું. તેના કારણે વાડિયા ગામ તમામ વિકાસના કામોથી અને સરકારની યોજનાઓથી વંચિત રહી ગયું હતું. ત્યારે થરાદ તાલુકાના સેવાભાવી અને જનતા ફાઉન્ડેશનના ટ્રસ્ટી શારદાબેન ભાટીએ વાડિયા ગામને સુધારવાનું બીડું ઝડપ્યું હતું. વાડિયા ગામની બહેનોને સંકલનમાં રાખીને ધીરે ધીરે વહીવટી તંત્ર દ્વારા વાડિયા ગામનો વિકાસ આગળ વધારવાના પ્રયાસો કર્યા હતા. જેમાં આઝાદીના 75 વર્ષ થવા છતાં વાડિયા ગામમાં પીવાનું પાણીની સુવિધા ન હતી ત્યારે વાડિયા ગામના લોકોને રોજનું ટેન્કર અને પાણીની બોટલો પૈસા ખર્ચીને લાવવી પડતી હતી. મહિલાઓને દૂર- દૂરથી પીવાનું પાણી ઉપાડીને લાવવામાં આવતું અને બાજુના ગામમાંથી પાઈપલાઇન નાખવામાં આવી તો એ અંદરો -અંદરની કિનાખોરીના કારણે પાઇપલાઇનમાં ભંગાણ કરાતું હતું ત્યારે શારદાબેન ભાટીએ વહીવટી તંત્ર ગાંધીનગર અને બનાસકાંઠા તંત્ર પાસે વાડિયા ગામની બોર બનાવવા માટે અથાગ પ્રયાસો કર્યા હતા અને વહીવટી તંત્ર દ્વારા આખરે વાડિયા ગામમાં બોર બનાવવાની મંજૂરી આપી હતી. ઘરના આંગણે મહિલાઓને પાણી મળવા લાગ્યું જેમાં વાડિયા ગામમાં જિલ્લા કલેક્ટર, ડીડીઓ, થરાદ એસડીએમ તુષારભાઈ જાની, મામલતદાર કે. એચ. વાઘેલા, તાલુકા વિકાસ અધિકારી કાજલબેન આબંલિયાની ઉપસ્થિતિમાં બોરનું કામ ચાલુ કરાયું છે. જો કે, આ બાબતે અગાઉ પણ વાડિયા ગામના ગ્રામજનો સાથે તેમની મળતી સુવિધા અંગે વાર્તાલાપ કર્યો હતો તે સમયે એક વૃદ્ધા માતાએ ધ્રુજતા અવાજે કહ્યું હતું કે, ઘરમાં ટીપું પાણી નથી ગામમાં પાણી આવે એવી સુવિધા કરી દે ત્યારે 75 વર્ષ બાદ ઘર આંગણે પાણી આવતા મહિલાઓ ખુશીના આંસું જોવા મળ્યા હતા.
હવે પાણીનો બોર બનવાથી મહિલાઓ પશુપાલન તરફ્ વળશે
વાડિયા ગામની સોનલબેન રમેશભાઈ સરણીયાએ જણાવ્યું હતું કે, વાડિયા ગામ પાણીની સુવિધાથી વંચિત હોવાથી લોકોને પીવાનું પાણી પણ મળતું ન હતું અને લોકો પશુને પાણી ક્યાંથી પીવડાવે તે મોટી સમસ્યા હતી આથી વાડિયા ગામમાં પશુપાલન બિલકુલ હતું નહીં પરંતુ જનતા ફાઉન્ડેશન અને શારદાબેનના અથાગ પ્રયત્નોથી જે પાણીનો બોર બનાવવામાં આવ્યો છે તેના કારણે વાડિયાની મહિલાઓ પશુપાલન તરફ વળશે.
બે હજાર વિધવા પેન્શન મળતી અને પાણીના ટેન્કરના બે હજાર ચૂકવવા પડતા । વાડિયા ગામની વિધવા ભીખીબેન બચુભાઈ સરણીયાએ જણાવ્યું હતું કે, અમારે કેટલા વર્ષોથી ગામમાં પીવાનું કે નાહવાનું પાણી આવતું ન હતું. જેને લઈને અમારે ટેન્કર લાવવું પડતું હતું જેના રૂ.2000 લેતા અને જે ટેન્કર 15 દિવસ જ ચાલતું મહિનામાં બે ટેન્કર લાવવા પડતા હોય છે અને અમને વિધવા પેન્શન 2000 જે મળે છે તે પણ પાણીના ટેન્કરમાં ખર્ચાઈ જતા હતા પરંતુ શારદાબેને રાત દિવસ કરીને બોર બનાવવામાં મદદરૂપ થયા જેના કારણે હવે અમારી પેન્શનની રકમ પણ બચશે.


