- રાજકોટમાં બાળાની હત્યાનો બનાવ
- ભક્તિનગર સ્ટેશન પ્લોટ પાસેથી મળી લાશ
- પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી
રાજકોટમાં એક એવી ઘટના બની છે જેના વિશે જાણીને અરેરાટી છૂટી જાય. હકીકતે ગઈકાલે રાત્રે ગુમ થયેલી 8 વર્ષીય બાળાની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. અવાવરૂ જગ્યાએ હત્યા બાદ લાશને ફેંકી દેવાઈ હતી.
બાળાની હત્યા
રાજકોટમાં એક 8 વર્ષીય બાળાની ક્રૂરતાપૂર્ણ હત્યા થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. ગઈકાલે રાત્રે બાળકી રમતા રમતા પોતાના ઘર નજીકથી ગુમ થઈ ગઈ હતી. આ દરમિયાન પરિવારે આજુબાજુ તેની તપાસ પણ કરી હતી, જો કે સવાર સુધી બાળકી ન મળતા આખરે સવારે પોલીસને તેના ગુમ થયાની જાણ કરવામાં આવી હતી. આ દરમિયાન રાજકોટમાં એક અવાવરૂ જગ્યાએથી આજે બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. જાણકારી પ્રમાણે બાળકીના માથામાં પથ્થર અને બોથડ પદાર્થના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી છે.
મૃતદેહને પિતાએ ઓળખી બતાવ્યો
આ મૃતદેહને બાળકીના પિતાએ ઓળખી બતાવ્યો છે. શહેરના ભક્તિનગર સ્ટેશન પ્લોટ નજીકથી ઝાડીઝાંખરા વિસ્તારમાંથી બાળકીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. હાલ પોલીસે આ મામલે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. જો કે મૃતદેહ મળી આવ્યાની જાણ થતાં જ પોલીસ સ્ટાફ અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ મામલે JCP અને અન્ય વરિષ્ઠ અધિકારીઓએ તપાસ હાથ ધરાઈ હોવાનું કહ્યું હતું.
માથાના ભાગે ઈજા કરી નિપજાવી હત્યા
બાળકીના માથામાં પથ્થર અથવા કોઈ બોથડ પદાર્થ મારી તેની હત્યા નિપજાવવામાં આવી છે. હાલ પોલીસે લાશનો કબજો લઈ તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી છે. દરમિયાન ફોરેન્સિક વિભાગની ટીમે પણ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. આમ આ હત્યાનો ભેદ ઉકેલવા માટે રાજકોટ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. તેના વિશે વધુ જાણકારી મેળવવા માટે સીસીટીવી ફૂટેજની મદદ પણ મેળવાઈ રહી હોવાનું જાણવા મળ્યું છે.