- ટંકારાના પરિવારના 15 સભ્યો વચ્છરાજ દાદાના દર્શને આવ્યા હતા
- ઈજાગ્રસ્તોને હળવદ ખાતે પ્રાથમિક સારવાર આપીને મોરબી ખસેડાયા
- વચ્છરાજદાદાના દર્શન કરી પરત ટંકારા આવી રહેલ પરિવારને અકસ્માત નડયો હતો
હળવદ તાલુકાના ઘણાદ ગામ નજીક રવિવારે બપોરના સમયે રણમાં આવેલ વચ્છરાજદાદાના દર્શન કરી પરત ટંકારા આવી રહેલ પરિવારને અકસ્માત નડયો હતો. આ અકસ્માતમાં બોલેરો પીકઅપ ગાડીમાં સવાર નવ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થતા પ્રથમ હળવદ અને ત્યારબાદ વધુ સારવાર માટે મોરબી રિફર કરવામાં આવ્યા છે.
બનાવની જાણ મળતી વિગતો મુજબ કચ્છના નાના રણમાં આવેલ વચ્છરાજ દાદાના દર્શન કરવા માટે ટંકારા ખાતે રહેતો પરિવાર બોલેરો પીકપ લઈને રવિવારે ગયો હતો.પરિવારજનો દર્શન કર્યા બાદ પરત ટંકારા જવા નીકળ્યા હતા ત્યારે હળવદ તાલુકાના ઘણાદ ગામ નજીક બોલેરો ચાલકે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા બોલેરો પીકઅપ ગાડી પલટી ખાઈ ગઈ હતી. જેથી તેમાં સવાર કુલ 15 વ્યક્તિઓને નાની મોટી ઈજા થઈ છે. જ્યારે નવ વ્યક્તિઓને વધુ ઈજા થતા પ્રથમ હળવદ અને ત્યારબાદ વધુ સારવાર માટે મોરબી રિફર કરવામાં આવ્યા છે. અકસ્માતના બનાવમાં ઈજાગ્રસ્ત થયેલા વ્યક્તિઓમાં રામજીભાઈ હેમુભાઇ ઉંમર વર્ષ 45, મંજુબેન રામજીભાઈ ઉંમર વર્ષ 45, છાયાબેન પુંજાભાઈ ઉંમર વર્ષ 35, શિવાનીબેન ધનાભાઈ ઉંમર વર્ષ 8, નેહાબેનપુંજાભાઈ ઉંમર વર્ષ 13, કમલેશભાઈ ધનાભાઈ ઉંમર વર્ષ 10, રેખાબેન ધનાભાઈ ઉંમર વર્ષ 35, ભાઈલાલભાઈ અરજણભાઈ ઉંમર વર્ષ 45,અનિલભાઈ ભાઈલાલભાઈ ઉંમર વર્ષ 19 રહે બધા ટંકારાનો સમાવેશ થાય છે. જ્યારે છ જેટલા વ્યક્તિઓને સામાન્ય ઈજા પહોંચી હતી.


