- હમાસની 475 રોકેટ સિસ્ટમ અને 73 કમાન્ડ સેન્ટર નાબુદ થયા
- 22 અંડરગ્રાઉન્ડ ઠેકાણાઓને પણ નષ્ટ કરવામાં આવ્યા
- ગાઝામાં બોમ્બ ધડાકામાં 704 પેલેસ્ટાઈન માર્યા ગયા
ઈઝરાયલ પર હમાસના આતંકીઓ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ હવે ઈઝરાયલ સેના દ્વારા ગાઝા પટ્ટી પર આક્રમક હુમલો શરૂ કર્યો છે. જેના હમાસની 475 રોકેટ સિસ્ટમ અને 73 કમાન્ડ સેન્ટરથી લઈ વિવિધ સ્થાનો પર નુકસાન થયું છે. જેના વચ્ચે ઈઝરાયલ મીડિયા દ્વારા એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઈઝરાયલની સરહદમાં ઘુસી ગયેલા હમાસના 1500 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે.
આ અંગે ઈઝારયલના મીડિયા રિપોર્ટ અનુસાર, પેલેસ્ટાઈનથી આવેલા હમાસના આતંકવાદીઓના લગભગ 1,500 મૃતદેહો ઈઝરાયલના વિસ્તારમાં વિખરાયેલા છે. ઈઝરાયલના સંરક્ષણ દળોએ અંદાજ લગાવ્યો છે કે શનિવારે સવારથી ઇઝરાયલમાં ઘુસણખોરી કરનારા સેંકડો હમાસ અને પેલેસ્ટાઈન ઇસ્લામિક જેહાદી બંદૂકધારીઓને સૈન્યએ મારી નાંખ્યા છે.
એટલું જ નહીં ઇઝરાયલ સેના અત્યાર સુધીમાં હમાસના આતંકવાદીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવી રહેલી 23 ઇમારતો પર પણ હુમલો કર્યો છે. આ ઉપરાંત હમાસના 22 અંડરગ્રાઉન્ડ ઠેકાણાઓને પણ નષ્ટ કરવામાં આવ્યા હતા. પેલેસ્ટાઈનના આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે ગાઝામાં ઈઝરાયલના બોમ્બ ધડાકામાં 704 પેલેસ્ટાઈન માર્યા ગયા હતા, જેમાં 143 બાળકો અને 105 મહિલાઓનો સમાવેશ થાય છે. જ્યારે 4,000 લોકો ઘાયલ થયા છે.
હમાસે શનિવારે ગાઝા પટ્ટીમાંથી ઈઝરાયલ પર અચાનક હજારો રોકેટ છોડ્યા હતા. જેમાં પણ આશરે લગભગ 900 ઇઝરાયલના નાગરિકો માર્યા ગયા હતા. જેમાં 11 અમેરિકન નાગરિકો પણ સામેલ છે. આ પછી ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ યુદ્ધ શરૂ થવાની જાહેરાત કરી હતી. તેણે કહ્યું હતું કે તેઓ આ હુમલાનો જવાબ એ રીતે આપશે કે હમાસની પેઢીઓ તેને યાદ રાખશે.
ત્રણેય તરફથી હુમલા શરૂ
ઈઝરાયલની ત્રણેય સેના ગાઝા પટ્ટીમાં આતંકી સંગઠન હમાસને નિશાન બનાવી રહી છે. જ્યાં ઇઝરાયલની વાયુસેના હમાસની જગ્યાઓ પર બોમ્બમારો કરી રહી છે. આ બોમ્બ ધડાકામાં ઘણી મસ્જિદો, શરણાર્થી કેમ્પ, હમાસ કમાન્ડ સેન્ટર અને ઈસ્લામિક જેહાદ કમાન્ડ સેન્ટર પર પણ બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. ઈઝરાયલે ગાઝા પટ્ટીમાં સેંકડો બહુમાળી ઈમારતોનો નાશ કર્યો છે. જેની સાથે જ હમાસની સ્થિતિ ખરાબ થઈ રહી છે.