- પેલેસ્ટાઈનનાં રાજદૂતે ભારતને મધ્યસ્થી માટે અપીલ કરી
- હુમલાઓને ઈઝરાયેલની નીતિઓની પ્રતિક્રિયા ગણાવી
- ઈઝરાયેલે યુએનનાં ઠરાવોનો અસ્વીકાર કર્યો : અબુ
ભારતમાં પેલેસ્ટાઈનના રાજદૂત અબુ અલ્હાઈજાએ કહ્યું છે કે ભારત ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન બંને માટે મિત્ર દેશ છે. તેણે ગાઝા પટ્ટીમાં વર્તમાન સંકટને ઉકેલવા માટે હસ્તક્ષેપ કરવો જોઈએ.
ભારતે હુમલાને આતંકી હુમલો ગણાવ્યો
પેલેસ્ટાઈનનાં આતંકવાદી સંગઠન હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અબુ અલ્હાઈજાનું આ નિવેદન મહત્વનું બની જાય છે કારણ કે ભારતે હમાસ દ્વારા ઈઝરાયેલ પરના હુમલાને ‘આતંકવાદી હુમલો’ ગણાવ્યો છે અને તેની સખત નિંદા કરી છે.
પશ્ચિમી દેશો ઈઝરાયેલનાં પક્ષમાં
હમાસે શનિવારે ઇઝરાયેલના એક શહેર પર રોકેટ છોડ્યા ત્યારથી, ઇઝરાયેલી સેના ગાઝા પટ્ટી અને ખાસ કરીને હમાસના સ્થાનો પર બોમ્બમારો કરી રહી છે. હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં પશ્ચિમી દેશોએ ઈઝરાયેલનો પક્ષ લીધો છે.
અમુક દેશો ઈઝરાયેલની નીતિ વિરૂદ્ધ
મધ્ય પૂર્વના અનેક દેશોનું માનવું છે કે ઇઝરાયેલ અને હમાસ વચ્ચેની વર્તમાન સ્થિતિ ઇઝરાયેલની અયોગ્ય નીતિઓનું પરિણામ છે.
ભારત ઈઝરાયેલની સાથે
આ સાથે જ ભારતે હમાસની ટીકા કરતા ઈઝરાયેલનો પક્ષ લીધો છે. પીએમ મોદીએ કહ્યું છે કે ભારત તમામ પ્રકારના આતંકવાદની નિંદા કરે છે. આ મુશ્કેલ સમયમાં ભારતના લોકો ઈઝરાયેલની સાથે મજબૂતીથી ઉભા છે.
પેલેસ્ટાઈનનાં રાજદૂતનું નિવેદન
રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસની આગેવાની હેઠળની પેલેસ્ટાઈન સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલ ભારતમાં પેલેસ્ટાઈનના રાજદૂત અબુ અલ્હાઈજાએ એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે “જે કંઈ પણ થયું તે પશ્ચિમ કાંઠે ઈઝરાયેલની નીતિઓની પ્રતિક્રિયા છે. આ યુદ્ધ માટે આંતરરાષ્ટ્રીય સમુદાય જવાબદાર છે. યુનાઈટેડ નેશન્સે પેલેસ્ટાઈનને લઈને 800 ઠરાવો પસાર કર્યા હતા. પરંતુ ઈઝરાયેલે એક પણ ઠરાવ સ્વીકાર્યો ન હતો. જો ઈઝરાયેલ કબજા હેઠળની પેલેસ્ટાઈનની જમીન પરનો પોતાનો અંકુશ ખતમ કરી દેશે તો હુમલાઓ પણ બંધ થઈ જશે.”