આપણી સંસ્કૃતિમાં ચરણસ્પર્શ કરવાની પ્રાચીન પરંપરા છે. વ્યક્તિ પોતાનાથી આયુષ્ય તથા સંબંધમાં મોટી વ્યક્તિના ચરણસ્પર્શ કરે છે. સ્ત્રી-પુરુષો પોતાના ગુરુના ચરણસ્પર્શ કરે છે. સ્ત્રીઓ પતિના પણ ચરણસ્પર્શ કરે છે. જેના ચરણસ્પર્શ કરવામાં આવે છે તે દુઆઓ, આશીર્વાદ, આશિષ આપતાં સદવચન બોલે છે. ચરણસ્પર્શ કરવાથી વ્યક્તિની શાલીનતા, વિનમ્રતા, શિષ્ટાચાર વ્યક્ત થાય છે. તેને સંસ્કારી માનવામાં આવે છે.
કોઈ વ્યક્તિ ભલે ગમે તેટલી મલિન સ્વભાવની હોય, ગમે તેટલી દૂષિત ચરિત્રવાળી હોય, અપવિત્ર કે અહંકારી હોય, પરંતુ જો તેના ચરણસ્પર્શ કરવામાં આવે તો તેના મુખમાંથી પણ આશીર્વાદ અને સદવચન જ નીકળે છે. તે ચરણસ્પર્શ પછી મૌન રહે, કંઈ પણ ન બોલે તે તેની અંતર્મુખતા દર્શાવે છે. સામાન્ય રીતે અંતરમનથી કોઈ પણ વ્યક્તિ સકારાત્મક જ વિચારે છે, નકારાત્મક નહીં. જગતના વ્યવહારમાં પણ એવું કહેવાય છે કે, `મૌન સ્વીકૃતિ લક્ષણમ્’ અર્થાત મૌન વ્યક્તિ તમારા પ્રત્યે મૌન દ્વારા સ્વીકૃતિ આપી રહી છે, તેથી જ ચરણસ્પર્શ, ચરણવંદન, ચરણસ્તુતિ, ચરણપૂજા, ચરણસ્મૃતિ વગેરે ક્યારેય વ્યર્થ નથી જતાં, તેનાં સારાં પરિણામ જરૂર મળે છે. તમે જેને ચરણસ્પર્શ કરીને મોટા બનાવો છો, તે હંમેશાં મોટા જ રહે છે, તમારા માટે મનમાં ક્યારેય ખરાબ વિચાર લાવી શકતા નથી, ભલે પછી તેઓ આશીર્વાદ બોલીને આપે કે પછી મૌન રહીને.
ચરણસ્પર્શ કેવી રીતે કરાય?
ચરણસ્પર્શ કરતી વખતે જો જમણા હાથથી જમણા પગનો અને ડાબા હાથથી ડાબા પગનો સ્પર્શ કરવામાં આવે તો સકારાત્મક ઊર્જા મળે છે, જ્યારે વિપરીત રીતે એટલે કે જમણા હાથે ડાબા પગનો સ્પર્શ કરવાથી સકારાત્મક ઊર્જાના પ્રવાહને અવરોધ નડે છે. ચરણસ્પર્શની બીજી બાબત જોઈએ તો જ્યારે વ્યક્તિ ચરણસ્પર્શ કરે છે ત્યારે ચરણસ્પર્શ કરનારના હાથ સહજ ચરણસ્પર્શ કરનાર વ્યક્તિના માથા પર જાય છે અને તેના સહસ્ત્રારચક્રનો સ્પર્શ થાય છે, જેથી સહસ્ત્રારચક્રમાં સક્રિયતા ઉત્પન્ન થાય છે. તેનાથી જ્ઞાન, બુદ્ધિ અને વિવેકનો વિકાસ થાય છે. આ ઊર્જા ઉત્સાહ, શક્તિ અને દીર્ઘાયુ પ્રદાન કરે છે. જેનાથી શરીરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ શરૂ થઈ જાય છે.
ચરણસ્પર્શનો મહિમા
ગૌતમ ઋષિની પત્ની અહલ્યા શાપને કારણે પથ્થરની શિલા બની ગઈ હતી અને ભગવાન શ્રીરામના ચરણસ્પર્શ થવાથી શાપમુક્ત થઈને પછી મનુષ્ય રૂપમાં આવી ગઈ. પ્રભુનાં ચરણોનો મહિમા અનેક ગ્રંથોમાં વર્ણિત છે. આપણે જ્યારે મંદિરમાં જઈએ છીએ ત્યારે તાંબાના પાત્રમાં રાખવામાં આવેલાં તુલસીનાં પાન, કેસર, ચંદનથી બનેલું ચરણામૃત પ્રસાદ તરીકે ગ્રહણ કરીએ છીએ. પ્રભુનું ચરણામૃત એવું તત્ત્વ છે જે ઊર્જા, ઉત્સાહ, શક્તિ અને દીર્ઘાયુ પ્રદાન કરે છે.
પ્રાચીનકાળમાં જ્યારે ઋષિ-મુનિઓ કે સંતો રાજદરબારમાં જતા ત્યારે રાજા-મહારાજાઓ પહેલાં શુદ્ધ જળથી તેમના પગ ધોતા હતા. ત્યારબાદ ચરણસ્પર્શની પરંપરા નિભાવતા હતા. ચરણસ્પર્શ પહેલાં ચરણ ધોવા પાછળનું કારણ સંભવત: એવું છે કે એકત્રિત વિદ્યુત ચુંબકીય ઊર્જા ચાલીને આવવાને કારણે વધારે તીવ્રતાથી વહે છે અને ગરમ હોય છે. જ્યારે શીતળ જળથી પગ ધોવામાં આવે ત્યારે તે સામાન્ય અવસ્થામાં આવે છે. જે વ્યક્તિ ચાલીને આવે છે તે શરીરનો થાક, બેચેની વગેરેને કારણે આશીર્વાદ આપવાની સ્થિતિમાં હોતી નથી. પગ ધોવાથી થાક દૂર થાય છે, મન શાંત થાય છે ત્યારબાદ તે વ્યક્તિ આશીર્વાદ આપવાની સ્થિતિમાં આવે છે.
ચરણસ્પર્શ કરવાથી આયુષ્યમાં વૃદ્ધિ થાય છે, કારણ કે જેના ચરણસ્પર્શ કર્યા હોય તેઓ લાંબા આયુષ્યના આશીર્વાદ આપે છે. આ સંદર્ભમાં ઋષિ માર્કંડેયની એક રસપ્રદ કથા છે.
ઋષિ માર્કંડેય અલ્પાયુ હતા. જ્યારે આ વાતની જાણ તેમના પિતાને થઈ પછી તેમણે માર્કંડેયનો જનોઈ સંસ્કાર કર્યો અને ચરણસ્પર્શની દીક્ષા આપતાં કહ્યું, `પુત્ર માર્કંડેય, તને જે પણ વ્યક્તિ જોવા મળે તેના ચરણસ્પર્શ અવશ્ય કરવા.’
ત્યારબાદથી માર્કંડેય દરેક વ્યક્તિના ચરણસ્પર્શ કરતા. એક દિવસ તેમની સામે સપ્તર્ષિઓ આવ્યા. માર્કંડેયે તેમના ચરણસ્પર્શ કર્યા. અજાણતાં જ સપ્તર્ષિઓએ દીર્ઘાયુષ્યના આશીર્વાદ આપ્યા. જ્યારે તેમને જાણવા મળ્યું કે આ બાળક તો અલ્પાયુ છે તો તેઓ ચિંતામાં પડી ગયા. સપ્તર્ષિઓ બાળક માર્કંડેયને બ્રહ્માજીની પાસે લઈ ગયા. તેમણે બ્રહ્માજીના પણ ચરણસ્પર્શ કર્યા. હવે બ્રહ્માજીએ પણ માર્કંડેયને દીર્ઘાયુ થવાના આશીર્વાદ આપ્યા.
ત્યારે સપ્ત ઋષિઓએ કહ્યું કે, `આ બાળક તો અલ્પાયુ છે. જો નાની ઉંમરમાં જ આ બાળકનું મૃત્યુ થશે તો આપણા આશીર્વાદ ખોટા સાબિત થશે.’
સપ્તર્ષિઓની વાત સાંભળીને બ્રહ્માજીએ કહ્યું કે, `આ બાળક દીર્ઘાયુ થશે અને ઘણાં કલ્પો સુધી જીવિત રહેશે.’
ત્યારબાદ એક લીલા અનુસાર માર્કંડેયના પ્રાણ હરવા માટે જ્યારે યમરાજ આવ્યા ત્યારે શિવપૂજન કરતા માર્કંડેય શિવલિંગને પોતાના બંને હાથે પકડીને વળગી પડ્યા. પછી શિવજીની આજ્ઞાથી યમરાજ પ્રાણ લીધા વગર ચાલ્યા ગયા અને ઋષિ માર્કંડેયે દીર્ઘાયુષ્ય ભોગવ્યું.
ચરણસ્પર્શના પ્રકાર
શાસ્ત્રોમાં ચરણસ્પર્શના ત્રણ પ્રકાર જણાવવામાં આવ્યા છે. ઝૂકીને, ઘૂંટણના બળે બેસીને તથા સાષ્ટાંગ પ્રણામ.
વૈજ્ઞાનિક દૃષ્ટિએ ઝૂકીને ચરણસ્પર્શ કરવાથી કમર તથા કરોડરજ્જુનાં હાડકાંઓને આરામ મળે છે. રક્તનો પ્રવાહ માથા તરફ વધે છે. તેનાથી માનસિક ક્ષમતા અને આંખોનું તેજ વધે છે.
ઘૂંટણના બળે બેસીને સ્પર્શ કરવાથી સાંધાઓની તાણ દૂર થાય છે અને શરીર લચીલું બને છે. સાંધાઓમાં રહેલી તકલીફોમાંથી મુક્તિ મળે છે.
સાષ્ટાંગ થઈને ચરણસ્પર્શ કરવાથી શરીરનાં બધાં જ અંગ પ્રવૃત્ત થાય છે અને બુદ્ધિ તીક્ષ્ણ બને છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે સ્ત્રીઓએ ક્યારેય સાષ્ટાંગ થઈને કોઈના ચરણસ્પર્શ કરવા જોઈએ નહીં.
ચરણસ્પર્શ કરવાથી થતા લાભ
પરસ્પર પ્રેમ તથા લાગણીમાં વધારો થાય છે.
પારકી વ્યક્તિ પણ પોતાની લાગે છે.
બીજાની લાગણીઓની કદર થાય છે અને પોતાની પ્રતિષ્ઠા પણ વધે છે.
સમદૃષ્ટિની ભાવના વધે છે અને અહંકારનો નાશ થાય છે.
સભ્યતા અને સંસ્કૃતિનો વિકાસ થાય છે.
પોતાની વિનમ્રતાનું પરીક્ષણ થાય છે અને મનની મલિનતા દૂર થાય છે.


