- આપણે ઈશ્વરના અસ્તિત્વને આપણી ચોતરફ સ્વીકારી લઇને જ જીવન જીવવાની ટેવ પાડી દઈએ
સર્વભૂતસ્થમ આત્માનમ સર્વભૂતાનિ ચ આત્મનિ II
ઈક્ષતે યોગયુક્તાત્મા સર્વત્ર સમદર્શન: II6/29II
અર્થઃ યોગયુક્ત અંત;કરણવાળો તથા બધે સમદૃષ્ટિવાળો બધાં પ્રાણીઓમાં મને અને મારામાં (પરમાત્મામાં) બધાં પ્રાણીઓને રહેલાં જુએ છે.
યોગયુક્ત એટલે કે સૌને જોડવાની ભાવના જેના અંત:કરણમાં છે તથા દરેક પ્રત્યે જેની સમદૃષ્ટિ છે તે બધાં પ્રાણીઓમાં ઈશ્વરને અને ઈશ્વરમાં બધાં પ્રાણીઓને વસેલાં જુએ છે. સાથેસાથે ભગવાને અહીં સ્પષ્ટપણ કહી દીધું છે કે જે યોગી તો છે જ ઉપરાંત જેનામાં સમદૃષ્ટિ છે તે સર્વત્ર મને જ જુએ છે.
આપણે જો દરેક વ્યક્તિઓ કે પ્રાણીઓને સમાનભાવથી જોઈશું તો તેનામાં વસેલા ઈશ્વર આપણને અચૂક દેખાશે. અલબત્ત આપણે દરેક વ્યક્તિઓ કે પ્રાણીઓને એકસમાન ભાવે જોવાની દૃષ્ટી કેળવવી જોઇએ જે ખૂબ જ જરૂરી છે.
જ્યારે તમે અત્ર તત્ર અને સર્વત્ર હરિનાં જ દર્શન કરવા લાગો છો તે પછી તમારે બીજી કોઇ ચિંતા કરવાની રહેતી નથી. પછી તો હરિ પોતે જ તમારું ગાડું ઉપાડી લે છે. તમને હરિના દર્શન સમગ્ર જગ્યાએ ખૂબજ સરળતાથી થઇ શકે છે.
કહેવાનું તાત્પર્ય એટલું જ કે દરેક જીવમાત્રમાં ઈશ્વર રહેલા છે એ બાબત તમે સ્વીકારીને જ જીવન જીવતા થશો તો પછી તમારા જીવનમાં કોઈ પ્રશ્નો આવશે નહીં.
ય: મામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયિ પશ્યતિ II
તસ્ય અહમ ન પ્રનશ્યામિ સ: ચ મે ન પ્રણશ્યતિ II6/30II
અર્થઃ જે મનુષ્ય મને બધે જુએ છે અને મારામાં બધું જુએ છે તેના માટે હું કદી અદૃશ્ય નથી કે તે મને અદૃશ્ય રહેતો નથી.
આગળના શ્લોકમાં ભગવાને કોણ એમને સર્વત્ર જોઇ શકે છે તેની વાત કરી છે હવે આ શ્લોકમાં ભગવાન પોતે જ સ્વીકારી રહ્યા છે કે જે માનવી તેમને બધામાં જુએ છે તેમને તે પોતે ક્યારેય અદૃશ્ય રહેતા જ નથી અને ભગવાનની નજર પણ સતત એમના ઉપર રહે જ છે. આમ આપણે જો જીવમાત્રમાં ઈશ્વરને
જોતા થઈ જઈએ તો તો પછી ઈશ્વર સતત આપણને જોતા રહે છે અને આપણને કોઈ પણ પ્રકારની તકલીફ આવવા દેતા નથી. તો આપણે ઈશ્વરના અસ્તિત્વને આપણી ચોતરફ સ્વીકારી લઇને જ જીવન
જીવવાની ટેવ પાડી દઈએ. આમ થવાથી આપણને એક મોટો ફાયદો એ થશે કે આપણાથી કદી ખોટું કામ થઈ શકશે જ નહીં,
કેમ કે સર્વત્ર ઈશ્વર હોવાથી આપણને એમનો ડર સતત રહેશે.


