- ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીના નિધન બાદ રાજકીય ગતિવિધિ તેજ
- રઈસી સામે વર્ષ-1988માં હજારો કેદીઓની ક્રૂર નરસંહારનો આરોપ હતો
- વર્ષ-2020માં ઈરાનમાં હિજાબ આંદોલનને પાવરના જોરે કચડી નાખ્યું હતું
ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસી, જેઓ રાજકીય વિરોધ સામે ક્રૂર કાર્યવાહી માટે જાણીતા છે, તેઓ કટ્ટર રૂઢિચુસ્ત તરીકે પણ જાણીતા છે. 63 વર્ષની વયે હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા રઈસીને ઈરાનના આગામી સર્વોચ્ચ નેતા તરીકે પણ ગણવામાં આવી રહ્યા હતા. આ સિવાય તેઓ યુરોપથી મધ્ય પૂર્વ સુધી સૈન્ય તણાવ વધારવા અને ઈરાનમાં મહિલાઓના ડ્રેસકોડને કડક રીતે લાગુ કરવા માટે પણ જાણીતા છે. તેમને ઈરાનના વર્તમાન સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખમેનીના સંભવિત અનુગામી તરીકે જોવામાં આવી રહ્યા હતા.
હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસી વર્ષ-1988માં તેહરાનના ઘાતકી હત્યાકાંડ માટે પણ જાણીતા છે. જ્યારે તેમના પર રાજકીય વિરોધમાં હજારો કેદીઓને સામૂહિક ફાંસી આપવામાં સામેલ હોવાનો આરોપ હતો. એવું કહેવાય છે કે ઈબ્રાહિમ રઈસીના કહેવા પર તેહરાનમાં આ ક્રૂર હત્યાકાંડ થયો હતો. આ સમયગાળા દરમિયાન હજારો લોકોને એકસાથે ફાંસી આપવામાં આવી હતી. આ ઘટનાએ સમગ્ર વિશ્વમાં ભારે ચકચાર જગાવી હતી. આ પછી અમેરિકા સહિત ઘણા પશ્ચિમી દેશોએ ઈબ્રાહિમ રઈસી પર વિવિધ પ્રતિબંધો લગાવી દીધા હતા.
હિજાબ ચળવળને આંતરરાષ્ટ્રીય ટીકાનો સામનો કર્યો
વર્ષ-2022માં ઈરાનમાં હિજાબ પહેરવા વિરુદ્ધ મહિલાઓના આંદોલને રાષ્ટ્રપતિ રઈસીને સખત પડકાર આપ્યો હતો. 22 વર્ષીય પ્રદર્શનકારી મહસા અમીનીના મૃત્યુ બાદ દેશમાં મોટાપાયે વિરોધ ફાટી નીકળ્યો હતો. મહિલાઓનાં ટેકામાં હજારો પુરૂષો પણ આવ્યા હતા. વિશ્વભરના માનવાધિકાર સંગઠનોએ પણ ઈરાનમાં મહિલાઓના આ આંદોલનને સમર્થન આપવાનું શરૂ કર્યું હતું. અમેરિકા અને યુરોપ સહિત ઘણા પશ્ચિમી દેશોએ મહિલાઓની સ્વતંત્રતાને દબાવવા માટે ઈરાની સરકારની સખત નિંદા કરી હતી. આમ છતાં ઈબ્રાહિમ રઈસીએ નમતું નહોતું જોખ્યું. તેમણે મહિલાઓના ડ્રેસકોડનો કડક અમલ કરાવ્યો હતો. સરકાર સામે આંદોલનનું રણશિંગું ઉંચકનાર અનેક આંદોલનકારીઓને એક પછી એક ફાંસી આપવામાં આવી. જેના કારણે બાકીના આંદોલનકારીઓ પણ ડરી ગયા હતા. આખરે હિજાબ ચળવળનો અંત આવ્યો હતો.
અમેરિકા સાથેના પરમાણુ કરારમાંથી ખસી ગયા
ઈરાને અમેરિકા સાથે ઐતિહાસિક પરમાણુ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. પરંતુ ઈબ્રાહિમ રઈસી બાદમાં તેમાંથી ખસી ગયા હતા. ત્યારબાદ તેમણે ઈરાનના પરમાણુ કાર્યક્રમને આગળ વધારવા માટે યુરેનિયમ સંવર્ધન વધારવાનું શરૂ કર્યું. જેના કારણે અમેરિકા અને ઈઝરાયલ સાથે લશ્કરી તણાવ વધ્યો હતો. અમેરિકાએ વારંવાર ઈરાન પર પરમાણુ કરાર પર આગળ વધવા માટે દબાણ કર્યું, પરંતુ ઈબ્રાહિમ રઈસીએ સ્પષ્ટપણે ના પાડી દીધી હતી. તેમણે રશિયા જેવા દેશો સાથેની નિકટતા વધારી. શાસક તરીકે તેણે પશ્ચિમમાં લેબનોનના હિઝબુલ્લાહ, યમનમાં હૂતિ બળવાખોરો અને યુક્રેન પર રશિયાના આક્રમણને ટેકો આપ્યો હતો.
ઈબ્રાહિમ રઈસીને ‘તેહરાનના કસાઈ’ તરીકે ઓળખતા હતા
રઈસીને વર્ષ-1988માં તેહરાનમાં તેના ભયાનક હત્યાકાંડ અને કેદીઓની ક્રૂર હત્યા માટે કેટલીકવાર ખાસ કરીને “તેહરાનનો કસાઈ” તરીકે ઓળખવામાં આવતો હતો. આરોપ એવો હતો કે આ નિર્ણય આપનારા ચાર જજોમાં ઈબ્રાહિમ રઈસી પણ સામેલ હતા. ત્યારબાદ તેઓ ઈરાનમાં જજ તરીકે કામ કરતા હતા. આ સમય દરમિયાન તેમણે ઈરાન-ઈરાક યુદ્ધ પછી હજારો રાજકીય કેદીઓની સામૂહિક ફાંસીની આપી હતી. હ્યુમન રાઈટ્સ વોચના જણાવ્યા અનુસાર, ઈરાને આ સમયગાળા દરમિયાન કેટલા લોકોને ફાંસી આપવામાં આવી તે ક્યારેય સ્વીકાર્યું નથી, પરંતુ અંદાજિત સંખ્યા ત્રણ હજારથી લઈ પાંચ હજાર સુધીની છે.
ત્યારે રઈસી તેહરાનના ડેપ્યુટી પ્રોસીક્યુટર જનરલ હતા. તેથી, યુએસ ટ્રેઝરી વિભાગે 2019માં તેમના પર પ્રતિબંધોની જાહેરાત કરી હતી. યુએસએ જણાવ્યું હતું કે રઈસી કથિત રીતે ‘ડેથ કમિશન’માં સામેલ હતો જેણે હજારો રાજકીય કેદીઓને ન્યાય વગર જ ફાંસીની સજાનો આદેશ આપ્યો હતો. જો કે, જ્યારે રઈસીને 2021માં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા પછી એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન 1988 હત્યાકાંડમાં તેમની કથિત સંડોવણી વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે પોતાને “માનવ અધિકારોના રક્ષક”તરીકે વર્ણવ્યા હતા.
વર્ષ-2017માં તેઓ ચૂંટણી હારી ગયા
ઈબ્રાહિમ રઈસીએ વર્ષ-2017માં રાષ્ટ્રપતિની ચૂંટણી પણ લડી હતી, પરંતુ ત્યારબાદ તેઓ હસન રુહાની સામે હારી ગયા હતા. રુહાની ઈરાનના પ્રમુખ તરીકે બીજા કાર્યકાળ માટે મોટા માર્જિનથી જીતી ચુક્યા હતા. પરંતુ પાછળથી 2021માં, રઈસીએ ફરીથી ચૂંટણી લડી અને ઈરાનના રાષ્ટ્રપતિ બન્યા હતા. વર્ષ-2021માં એમ્નેસ્ટી ઈન્ટરનેશનલના સેક્રેટરી-જનરલ એગ્નેસ કેલામાર્ડે રઈસીની ન્યાયતંત્રના વડા હતા ત્યારે કથિત “માનવતા વિરુદ્ધના ગુનાઓ” માટે તપાસની વિનંતી કરી હતી. રઈસીની દેખરેખ હેઠળ ઈરાની સત્તાવાળાઓએ સેંકડો લોકોને નિર્દયતાથી મૃત્યુદંડ આપ્યા હતા એવું કેલામાર્ડે જણાવ્યું હતું.
આ પછી દેશવ્યાપી વિરોધ અને હજારો વિરોધીઓની સામૂહિક ધરપકડ કરવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન સેંકડો લોકો ગુમ થયા હતા. બાકીના લોકોને ગંભીર યાતનાઓ અને અન્ય દુર્વ્યવહારને આધિન કરવામાં આવ્યા હતા.


