અગત્યસંહિતા અનુસાર ચૈત્ર સુદ પક્ષની નવમી તિથિએ પુનર્વસુ નક્ષત્ર, કર્ક લગ્નમાં જ્યારે સૂર્ય અન્ય પાંચ ગ્રહોની શુભ દૃષ્ટિ સાથે મેષ રાશિ પર વિરાજમાન હતા ત્યારે ભગવાન શ્રીરામનો માતા કૌશલ્યાની કુખે જન્મ થયો. રઘુકુળ શિરોમણી મહારાજ દશરથ તથા મહારાણી કૌશલ્યાને ત્યાં બ્રહ્માંડનાયક અખિલેશ સાક્ષાત્ ભગવાન વિષ્ણુએ પુત્રરૂપમાં જન્મ લીધો હતો.
શ્રીરામનો જન્મ દિવસે બપોરના બાર વાગ્યે થયો હતો. સૌંદર્યનિકેતન, શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારણ કરેલ ચતુર્ભુજધારી શ્રીરામ પ્રગટ થયા ત્યારે માતા કૌશલ્યાને વિસ્મય થયું. રામનું સૌંદર્ય તથા તેજ જોવા છતાં પણ તેમની આંખોને તૃપ્તિ નહોતી થતી. દેવલોક પણ અવધમાં ઉજવાઈ રહેલા શ્રીરામ જન્મોત્સવની આગળ ઝાંખો લાગી રહ્યો હતો. શ્રીરામના જન્મોત્સવમાં દેવતા, ઋષિ, કિન્નર, ચારણ સહિતના લોકો ઉપસ્થિત રહી આનંદ માણી રહ્યા હતા.
શ્રીરામનો જન્મ અસુરોનો સંહાર કરવા માટે થયો હતો. તેઓ માતા-પિતાના આજ્ઞાકારી પુત્ર હતા. અયોધ્યાના રાજકુમાર હોવા છતાં તેમણે માત્ર પોતાના પિતાના વચનને પૂરું કરવા માટે રાજ્યનો ત્યાગ કરીને 14 વર્ષ સુધી પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે વનવાસ ભોગવ્યો હતો. શ્રીરામ ઉત્તમ પુત્ર, ભાઈ, પતિ, પિતા, મિત્ર અને રાજા હતા. રાક્ષસરાજ રાવણનો વધ કરીને તેમણે સમગ્ર સંસારને ભયમુક્ત કર્યો હતો.
રામનવમીનું મહત્ત્વ
રામનવમીનો તહેવાર ઘણો મહત્ત્વપૂર્ણ છે. આ પર્વની સાથે જ માતા દુર્ગાની નવરાત્રિનું સમાપન જોડાયેલું છે. ભગવાન શ્રીરામે પણ માતા દુર્ગાની પૂજા-આરાધના કરી હતી અને તેમના દ્વારા કરવામાં આવેલી શક્તિપૂજાએ જ તેમને યુદ્ધમાં વિજય અપાવ્યો હતો. એવું કહેવાય છે કે રામનવમીના દિવસે ગોસ્વામી તુલસીદાસજીએ રામચરિત માનસની રચનાનો આરંભ કર્યો હતો.
શ્રી રામનવમી વ્રત
રામનવમીના દિવસે જે વ્યક્તિ આખો દિવસ ઉપવાસ રાખીને ભગવાન શ્રીરામની પૂજા કરે છે તથા પોતાના સામર્થ્ય અનુસાર દાન-પુણ્ય કરે છે, તે અનેક જન્મોનાં પાપોથી મુક્ત થઈ જાય છે.
રામનવમીના દિવસે પ્રાત-કાળે ઊઠીને ઘરની સાફ-સફાઈ કરીને ગંગાજળ છાંટીને શુદ્ધ કરી લેવું. ત્યારબાદ સ્નાનાદિ કાર્યથી પરવારી વ્રતનો સંકલ્પ લેવો જોઈએ. ત્યારબાદ લાકડાના એક ચોરસ ટુકડા પર સાથિયો બનાવીને ગંગાજળથી ભરેલો લોટો રાખવો અને તેમાં ચાંદીની વીંટી કે કોઈ વસ્તુ સામગ્રીઓનો ઉપયોગ કરીને શ્રીરામનું પૂજન કર્યા પછી આરતી કરવી. રામનવમીનું વ્રત કરવાથી વ્યક્તિના જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે. તેની ધીરજ વધે છે. આ સિવાય ઉપાસકના વિચાર, શક્તિ, બુદ્ધિ, શ્રદ્ધા, ભક્તિ અને પવિત્રતામાં પણ વધારો થાય છે. રામનવમીના વ્રત વિશે એવું કહેવાય છે કે, આ વ્રતને નિષ્કામ ભાવથી આજીવન કરવામાં આવે તો સમસ્ત પાપોમાંથી મુક્તિ અને વૈકુંઠમાં સ્થાન મળે છે.
અયોધ્યામાં રામનવમી
રામનવમીનું પર્વ દેશભરમાં ભક્તિભાવ અને ધૂમધામથી મનાવવામાં આવે છે, પરંતુ રામ જન્મભૂમિ અયોધ્યામાં રામનવમીના પર્વે માહોલ અલગ હોય છે. આ દિવસે અયોધ્યામાં મેળો ભરાય છે. દેશના ખૂણે-ખૂણામાંથી આવેલા શ્રદ્ધાળુઓ આ મેળામાં પહોંચે છે. લાખો શ્રદ્ધાળુઓ અયોધ્યાની સરયૂ નદીના તટે પ્રાત:કાળે સ્નાન કરીને મંદિરોમાં પૂજન-અર્ચન કરે છે. ઠેર-ઠેર સંતોનું પ્રવચન, રામલીલા, ભજન-કીર્તન ચાલે છે. અયોધ્યાના પ્રસિદ્ધ કૌશલ્યા ભવન મંદિરમાં વિશેષ આયોજન થાય છે. અયોધ્યાનાં મુખ્ય ઐતિહાસિક સ્થળોમાં શ્રીરામ જન્મભૂમિ સિવાય કોશલ્યા ભવન, કનક ભવન, કૈકેયી ભવન, કોપ ભવન તથા શ્રીરામના રાજ્યાભિષેકનું સ્થળ રત્ન સિંહાસન દર્શનીય છે.