સમસ્યાના મુખ્ય અને ગૌણ સમસ્યા એવા ભાગ શા માટે પાડવા? શું તે બધી જ સમસ્યા નથી? શા માટે તેને નાની અને મોટી સમસ્યાઓ કે જરૂરી અને બિનજરૂરી સમસ્યાઓ માનવી? જો આપણે એક સમસ્યા સમજી શકતા હોઈએ અને જો આપણે તેમાં ખૂબ ઊંડા ઊતરી શકીએ, ભલે પછી તે સમસ્યા નાની હોય કે મોટી, તો તે જ પ્રમાણે આપણે બીજી બધી સમસ્યાઓને પણ જોઈ શકશું. આ કોઈ સૈદ્ધાંતિક જવાબ નથી. કોઈ પણ સમસ્યા જુઓ : ક્રોધ, ઈર્ષ્યા, અદેખાઈ, ધિક્કાર – આપણે એ બધી સમસ્યાઓને સારી રીતે જાણીએ છીએ. જો તમે ક્રોધની ઉપેક્ષા ન કરો અને તે સમસ્યામાં ખૂબ જ ઊંડા ઊતરો તો તેમાં શેનો સમાવેશ થયો છે? શા માટે કોઈ ગુસ્સે થાય છે? કારણ કે તે વ્યથિત છે, કોઈએ તેને કઠોર શબ્દો કહ્યા અને જ્યારે કોઈ ખુશામત કરે તેવા શબ્દો કહે ત્યારે તમે ખુશ થાઓ છો. તમે શા માટે વ્યથિત થાઓ છો? શું તે અહંકાર નથી? અને એ અહંકારની અસ્મિતા શા માટે છે?
કારણ કે આપણા મનમાં એક કલ્પના છે, મારા પોતાના વિશેની એક પ્રતિમા છે, છાપ છે, આપણે કેવા હોવા જોઈએ? આપણે શું છીએ અથવા આપણે શું ન હોવા જોઈએ તે વિશે એક છાપ છે. શા માટે આપણે ખુદ વિશે કોઈ પ્રતિમા ધરાવવી જોઈએ? કારણ કે આપણે શું છીએ એ વિશે આપણે ક્યારેય અભ્યાસ કર્યો નથી. આપણે માનીએ છીએ કે આપણે આ અથવા તે બનવું જોઈએ. આદર્શ, નાયક, ઉદાહરણરૂપ બનવું જોઈએ. આદર્શના કારણે જ ગુસ્સો આવે છે. આપણા મનમાં આપણા પોતાના વિશે જે ધારણા છે તેના પર હુમલો થાય છે અને આપણા વિશેની આપણી જે પ્રતિમા છે એ જ આપણે જે છીએ તે એક રીતે હકીકતથી આપણું પલાયન છે, પરંતુ તમે જે છો તે વિશે તમે ખરેખર જ્યારે તમારું પોતાનું નિરીક્ષણ કરી રહ્યા હો ત્યારે તમને કોઈ દુ:ખી કે વ્યથિત કરી શકે નહીં. ત્યારે જો કોઈ જુઠ્ઠું બોલતું હોય અને બીજી કોઈ વ્યક્તિ તેને જૂઠડો કહે તો તેને દુ:ખી થવા જેવું કંઈ નથી, પરંતુ તે જો એવો દંભ કરે કે તે જૂઠડો નથી ને કોઈ કહે કે તે જૂઠડો છે ત્યારે તે ગુસ્સે થઈ જાય છે, હિંસક બની જાય છે. આમ આપણે હંમેશાં કલ્પનાના વિશ્વમાં જ રહીએ છીએ. દંતકથાના વિશ્વમાં. ક્યારેય વાસ્તવિક વિશ્વમાં રહેતા નથી. `જે છે’ તેનું નિરીક્ષણ કરવા માટે, તેને જોવા માટે, તેનાથી પરિચિત થવા માટે ચોક્કસપણે નિર્ણયશક્તિનો ઉપયોગ ન હોવો જોઈએ, મૂલ્યાંકન ન હોવું જોઈએ, અભિપ્રાય પણ નહીં આપવાનો કે ભય પણ ન હોવો જોઈએ.