આધ્યાત્મિક ઝંખનાનો મૂળ આધાર તમારામાં એટલા માટે નથી આવતો, કેમ કે તમે ભગવાન વિશે વિચારો છો. જો લોકો ભગવાન વિશે વિચારે છે, તો તેઓ આધ્યાત્મિક નહીં બને, તેઓ બસ વધુ સારી રીતે કેવી રીતે જીવવું તે વિશે વિચારશે. જો ભગવાન આવીને તેમને આશીર્વાદ આપે, તો તેઓ વધુ પૈસા, વધુ સંપત્તિ, વધુ આરોગ્ય, બધું જ વધુ ઇચ્છશે. માત્ર જ્યારે તમે મૃત્યુ વિશે વિચારો છો, જ્યારે તમે જુઓ છો કે તમે પણ એક દિવસ મૃત્યુ પામશો, ત્યારે આ પ્રશ્નો ઉદ્ભવે છે: આ શેના વિશે છે? હું ક્યાં જઈશ? મારું શું થશે? આ જાણવાની ઇચ્છા કુદરતી રીતે તમારામાં આવશે.
યોગમાં તે બસ જીવન વિશે નથી. જ્યારે આપણે સારી રીતે જીવવા વિશે વાત કરીએ છીએ, ત્યારે આપણે ખરેખર સારી રીતે મરવા વિશે પણ વાત કરી રહ્યા છીએ. એ ખૂબ મહત્ત્વનું છે કે તમે સારી રીતે મૃત્યુ પામો. શાલીન રીતે અને આનંદથી મૃત્યુ પામવું ખૂબ મહત્ત્વનું છે. મૃત્યુ તમારા જીવનમાં તમે કરી શકો તેવી અંતિમ વસ્તુ છે. શું તમારે તે શાલીન રીતે અને સરસ રીતે ન કરવું જોઈએ? પણ મોટાભાગના લોકો તે ભયાનક રીતે કરી રહ્યા છે.
જ્યારે આપણે આધ્યાત્મિક સંભાવના કહીએ છીએ, જ્યારે આપણે આધ્યાત્મ કહીએ છીએ, તો તે જીવવાનો એક રસ્તો છે, પણ તે મરવાનો એક રસ્તો પણ છે, કેમ કે જીવવું અને મરવું અલગ નથી. અત્યારે હું કહી શકું કે તમે જીવી રહ્યા છો અથવા તમે મરી રહ્યા છો. મરવાની પ્રક્રિયા ખરેખર ચાલુ છે, એક દિવસ તે પૂર્ણ થશે. બસ એટલું જ છે કે `મૃત્યુ’ શબ્દ સાથે ખૂબ નકારાત્મકતા જોડાયેલી છે, પણ મૃત્યુ ચોક્કસ જીવનનો એક ભાગ છે, જે કેવી રીતે મરવું તે નથી જાણતા, જે મરવા માટે તૈયાર નથી, તે જીવી શકતા નથી. જો તમે મૃત્યુથી ડરો છો, તો તમે બસ જીવનને ટાળશો, તમે મૃત્યુને ટાળી શકતા નથી. એવું નથી કે બસ એક ચોક્કસ ઉંમર પછી જ તમારે તેને જોવું જોઈએ. તમારા જીવનના દરેક દિવસે તમારે જાગરૂક રહેવું જોઈએ કે તમે મરણશીલ છો. તમે એક ચમત્કાર જેવા છે. તમે ક્યાંકથી આવી પડો છો, તમે વચ્ચે વ્યસ્ત છો અને એક દિવસ તમે ચાલ્યા જાઓ છો. તમે એક પરપોટા જેવા છો. જ્યારે પરપોટો હોય છે, ત્યારે તે ખૂબ વાસ્તવિક લાગે છે.
જો તમે આ જીવનને અત્યારે જુઓ : શ્વાસ લેવો, શ્વાસ છોડવો, શ્વાસ લેવો, શ્વાસ છોડવો, જો પછીનો શ્વાસ ન આવે, તો પૂરું. જીવન આટલું નાજુક છે. લોકો હંમેશાં વિચારે છે કે મૃત્યુ એવું કંઈક છે જે બીજા કોઈને આવે છે એવું નથી, તે તમને અને મને આવશે.
જો તમે દરરોજ તમારી જાતને યાદ અપાવો કે તમે પણ મૃત્યુ પામશો, તો કુદરતી રીતે તમે બોધના ઊંચા સ્તરોને જાણવા તરફ આગળ વધશો. જો તમે તમારા જીવનની મરણશીલ પ્રકૃતિ વિશે જાગરૂક છો, તો શું કોઈની સાથે ગુસ્સે થવાનો સમય છે, શું કોઈની સાથે ઝઘડવાનો સમય છે, શું જીવનમાં કંઇ મૂર્ખતાભર્યું કરવાનો સમય છે? એકવાર તમે મૃત્યુને સ્વીકારો અને તમે જાગરૂક હોવ કે તમે મૃત્યુ પામશો, તો તમે તમારા જીવનની દરેક ક્ષણને શક્ય તેટલી સુંદર બનાવવા માંગશો. બસ એ લોકો જ લડી શકે છે અને છેક મૃત્યુ સુધી લડી શકે છે જેઓ માને છે કે તેઓ અમર છે. જેઓ સતત અસ્તિત્વની મરણશીલ અને નાજુક પ્રકૃતિ વિશે જાગરૂક છે, તેઓ એક પણ ક્ષણ ગુમાવવા માંગતા નથી. તેઓ કુદરતી રીતે જાગરૂક રહેશે. તેઓ કોઈ પણ વસ્તુને નિશ્ચિત ગણી શકતા નથી. તેઓ ખૂબ ઉદ્દેશ્યપૂર્વક જીવશે.