શરીરં યદવાપ્નોતિ યચ્ચાપ્યુત્કામીશ્વરઃ |
ગૃહિત્વૈતાનિ સંયાતિ વાયુર્ગન્ધાનિવાશયાત || (15/8) ||
વાયુ ગંધના સ્થાનેથી ગંધને જે રીતે ગ્રહણ કરીને લઇ જાય છે એવી જ રીતે દેહ વગેરેનો સ્વામી બનેલો જીવાત્મા પણ જે શરીરને છોડે છે ત્યાંથી આ મન સહિત ઇન્દ્રિયોને લઇને પછી જે શરીરને પામે છે એમાં ચાલ્યો જાય છે. જે રીતે વાયુ અત્તરના પૂમડામાંથી ગંધ લઇ જાય છે, પરંતુ તે ગંધ સ્થાયીરૂપે વાયુમાં રહેતી નથી, કારણ કે વાયુ અને ગંધનો સંબંધ નિત્ય નથી એવી જ રીતે ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, સ્વભાવ વગેરે સૂક્ષ્મ અને કારણ બંને શરીરોને પોતાના માનવાના કારણે જીવાત્મા તેમને સાથે લઇને બીજી યોનિમાં જાય છે. જેવી રીતે વાયુ તત્ત્વતઃ ગંધથી નિર્લિપ્ત છે એવી રીતે જીવાત્મા પણ તત્ત્વતઃ મન, ઇન્દ્રિયો, શરીર વગેરેથી નિર્લિપ્ત છે, પરંતુ આ મન, શરીર, ઇન્દ્રિયો વગેરેમાં હું અને મારાપણાની માન્યતા હોવાના કારણે તે જીવાત્મા એમનું આકર્ષણ કરે છે. જીવને બે શક્તિઓ મળેલી છેઃ પ્રાણશક્તિ જેનાથી શ્વાસોનું આવાગમન થાય છે અને ઇચ્છાશક્તિ જેનાથી ભોગોને મેળવવાની ઇચ્છા કરે છે. પ્રાણશક્તિ હરદમ શ્વાસોચ્છ્વાસ દ્વારા ક્ષીણ થતી રહે છે. પ્રાણશક્તિનું ખતમ થવું એ જ મૃત્યુ કહેવાય છે. જો શરીર છૂટે તે પહેલાં જ આપણે શરીર વગેરેમાંથી મમતાને હટાવી દઇએ તો જીવતેજીવત જ મુક્ત થઇ જઇએ. જો જીવ સંત મહાપુરુષોની, ભગવાનની અને શાસ્ત્રોની વાણી ઉપર વિશ્વાસ કરીને પરમાત્મા સાથે સંબંધ જોડી દે તો પછી તેને અનુભવ થઇ જશે.
શ્રોત્રં ચક્ષુઃ સ્પર્શનં ચ રસનં ઘ્રાણંમેવ ચ |
અધિષ્ઠાય મનશ્ચાયં વિષયાનુપસેવતે. || (15/9) ||
આ જીવાત્મા મનનો આશ્રય લઇને જ કાન, આંખ, ત્વચા, જીભ અને નાક આ પાંચેય ઇન્દ્રિયો દ્વારા વિષયોનું સેવન કરે છે. મનમાં અનેક પ્રકારના સારા-ખરાબ અનેક પ્રકારના સંકલ્પ-વિકલ્પ થતા રહે છે તેનાથી સ્વયંની સ્થિતિમાં કોઇ ફેર પડતો નથી, કેમ કે સ્વયં ચેતન તત્ત્વ આત્મા જડ શરીર, ઇન્દ્રિયો, મન અને બુદ્ધિથી પર અને તેમનો આશ્રય તથા પ્રકાશક છે. સંકલ્પ-વિકલ્પ આવતા જતા રહે છે અને સ્વયં સદા જેમ છે તેમ રહે છે. મનનો સંયોગ થતાં જ સાંભળવા, દેખવા, સ્પર્શ કરવા, સ્વાદ લેવા તથા સૂંઘવાનું જ્ઞાન થાય છે. કાનોમાં સાંભળવાની, નેત્રોમાં જોવાની, ત્વચામાં સ્પર્શ કરવાની, જીભમાં સ્વાદ લેવાની અને નાસિકામાં સૂંઘવાની શક્તિ છે. પાંચ મહાભૂતોમાં એક-એક મહાભૂતના સત્ત્વગુણ અંશથી જ્ઞાનેન્દ્રિયો, રજોગુણ અંશથી કર્મેન્દ્રિયો અને તમોગુણ અંશથી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ વગેરે પાંચેય વિષયો બન્યા છે. પાંચ મહાભૂતોના મળેલા સત્ત્વગુણ અંશથી મન, રજોગુણ અંશથી પ્રાણ અને તમોગુણ અંશથી શરીર બન્યું છે. જીવાત્મા એક શરીરને છોડીને બીજા શરીરમાં જાય છે અને જેવી રીતે પહેલાં શરીરમાં વિષયોનું રાગપૂર્વક સેવન કરતો હતો તેવી જ રીતે બીજા શરીરમાં જતાં તેવો જ સ્વભાવ હોવાથી વિષયોનું સેવન કરવા લાગે છે. આ રીતે જીવાત્મા વારંવાર વિષયોમાં આસક્તિ કરવાના લીધે ઊંચ-નીચ યોનિઓમાં ભટકતો રહે છે. ભગવાને મનુષ્ય શરીર સુખભોગ ભોગવવા નહીં, પરંતુ પોતાનો ઉદ્ધાર કરવા માટે આપ્યું છે. વિષય સેવન કરવાથી પરિણામમાં, વિષયોમાં રાગ-આસક્તિ વધે છે કે જે પુનર્જન્મ તથા તમામ દુઃખોનું કારણ છે. વિષયોમાં વસ્તુતઃ સુખ છે જ નહીં. સંસારમાં જેટલું ધનધાન્ય છે, જેટલી સુંદર સ્ત્રીઓ છે, જેટલી ઉત્તમ વસ્તુઓ છે તે તમામ એકસામટી કોઇ એક વ્યક્તિને મળી જાય તો પણ તેમનાથી તેને તૃપ્તિ થતી નથી.