મારા જેવા નપુંસકથી તને કશું મળશે નહીં. તું તારા રસ્તે જા અને મને મારા રસ્તે જવા દે.
વાત એવી બનેલી કે એ સમયે ચંપાનગરીમાં દધિવાહન નામના રાજા હતા. એમનો કપિલ નામનો પુરોહિત હતો. એનો સુદર્શન નામનો એક મિત્ર હતો.
ધનવાન તો હતો જ, પણ રૂપવાન પણ હતો અને ગુણવાન પણ હતો. આખી ચંપાનગરીમાં ધનમાં એની બરાબરી કરી શકે એવું કોઈ ન હતું, તો રૂપ અને ગુણમાં પણ ઘણો આગળ હતો.
પુરોહિત કપિલ અને સુદર્શન શેઠની મૈત્રી અજોડ હતી. ભલે બેયનો ધર્મ અલગ હતો, પણ બેયની મૈત્રીમાં ધર્મનો કોઈ અવરોધ નડતો ન હતો. બેય પોતપોતાની રીતે ધર્મની આરાધના કરતા, પણ એકબીજાને નડતા કે કનડતા નહીં.
કપિલનાં લગ્ન કપિલા સાથે થયાં. સુદર્શનનાં લગ્ન મનોરમા સાથે. બંને પોતપોતાની રીતે સુખી હતાં. પોતાના પાત્રમાં સંતોષપૂર્વક જીવન જીવતાં હતાં. કુદરત પણ ક્યારેક વિચિત્ર પાઠ ભજવતી હોય છે. શાંત જળમાં પથ્થર મારીને પાણીમાં ઊઠતાં વમળો જોવાનો આનંદ આવે. આવી ઘટનાઓમાં જ કેટલાક માણસોને વિશેષ આનંદ આવતો હોય છે.
એક દિવસ કોઈ કામ માટે સુદર્શન કપિલના ઘરે આવેલો. કપિલે કપિલાને સુદર્શનનો પરિચય કરાવ્યો અને સુદર્શનને કપિલાનો. સુદર્શનને જોયા પછી કપિલાના મનમાં હલચલ મચી ગઈ. ગમે તેમ કરીને પણ મારે આને મેળવવો. ઘણીવાર આવું બનતું હોય છે કોઈ પણ જાતના કારણ વગર સામેના માણસો માટે આકર્ષણ થતું હોય છે અને ક્યારેક એવું પણ બને કે એક જણને આકર્ષણ થાય પણ સામેવાળાને એવો કોઈ ભાવ પણ ન હોય કે એ જાણતા પણ ન હોય.
સુદર્શન માટે પણ એવું જ બની રહ્યું છે. કપિલાના મનમાં જે ચાલી રહ્યું છે એનાથી એ તદ્દન અજાણ છે.
એ દિવસે કપિલને મળવા માટે સુદર્શન ગયો. કપિલ કોઈ કામ માટે બીજા ગામમાં ગયો હતો. ઘરમાં કપિલા એકલી જ હતી. એણે સુદર્શનને જોયો અને રાજી થઈ ગઈ. એને વિચાર આવ્યો આજે મારા મનની મુરાદ પાર પડશે.
એણે તો આનંદથી આવકાર આપ્યો. આવો આવો સુદર્શનજી! આજે ક્યાંથી અમે યાદ આવી ગયા? એવું નથી. અમે તો રોજ યાદ કરતાં જ હોઈએ, પણ ઘર અને વહેવાર સાચવવાનાં હોય એટલે ક્યાંય જઈ ન શકાય. સુદર્શન બોલ્યો. કપિલા તો એની વાત સાંભળીને રાજી થઈ. થોડીવાર પછી સુદર્શને પૂછ્યું કેમ આજે કપિલ દેખાતો નથી. આરામ કરે છે કે શું?
ના ના એ તો આજે બહારગામ ગયા છે, પણ ચિંતા કરવાની જરૂર નથી. એમના અભાવમાં આપના આતિથ્ય સત્કારમાં કોઈ કચાશ નહીં આવે એમ કહીને એણે કહ્યું આવો આજે ઘણા દિવસે આવ્યા છો તો ઘર તો જુઓ. મારી સજાવટમાં કોઈ ત્રુટિ હોય તો સૂચના કરો. હું દૂર કરી શકું. કપિલને કોઈ ત્રુટિ દૂર કરવામાં રસ નો’તો, એને તો એનું કામ સાધવામાં રસ હતો.
તમારા કામમાં શું કચાશ હોય? તમે તો કેવા સરસ વિચક્ષણ છો! સૌજન્ય સ્વભાવના કારણે કપિલા સાથે ઘરમાં ચાલ્યો. એક એક રૂમ બતાવતા એ બેડરૂમમાં સુદર્શનને લઈ ગઈ. અંદર જઈને એણે તરત જ મુખ્ય દરવાજો બંધ કર્યો ને સુદર્શનને વળગી પડી. એટલી ચપળતાથી આ બધી ક્રિયા-પ્રક્રિયા કરી કે સુદર્શન તો કંઈ સમજી કે વિચારી પણ ન શક્યો, પણ જેવી એની દાનતની ખબર પડી એવો એ સાવધ થઈ ગયો. એ કંઈ સમજે એ પહેલાં તો એણે ધક્કો મારીને પલંગ ઉપર એને સુવડાવી દીધો અને એ પોતે એની બાજુમાં સૂઈ ગઈ. એની પકડ એવી મજબૂત કે સુદર્શન જરા પણ છટકી શક્યો નહીં. એણે સુદર્શનને ઉત્તેજિત કરવા ઘણો પ્રયત્ન કર્યો, પણ એમાં એને સફળતા મળી નહીં. હારીને જ્યારે એણે સુદર્શન સામે નજર કરી ત્યારે એ બોલ્યો, કપિલા! તું ખોટા રસ્તે છે. તારી ઈચ્છા પૂરી કરવા માટે મારી કોઈ ક્ષમતા નથી. નપુંસક માણસ તને કેવી રીતે સંતોષ આપી શકે?
ખરેખર તું નપુંસક છે?
તેં જોયું નહીં? જો એવું ન હોત તો…
એણે સુદર્શનને રવાના કર્યો. `સુદર્શન પણ ચાલો આજે તો બચી ગયા.’ એવો વિચાર કરતા ત્યાંથી રવાના થઈ ગયો.
કેટલાક સમય પછી એક બીજી ઘટના બની. ચંપાનગરમાં એક સદન મહોત્સવનું આયોજન હતું. આવાં આયોજનો લગભગ બધાં રાજ્યોમાં થતાં હોય. એ દિવસે મેળા જેવું વાતાવરણ હોય. ગામના તમામ નગરજનો ગામ બહાર ભેગા થાય અને આનંદ ઉત્સવ મનાવતા હોય. પોતપોતાનું ગ્રૂપ બનાવીને પોતાને ગમતો આનંદ ઉઠાવતા હોય.
એ વખતે ઘટના એવી બની કે કપિલા અને મહારાણી અભયા બેય જણા એક વિશાળ શિલા ઉપર બેઠેલાં છે. એ સમયે સુદર્શન પોતાની મનોરમા પત્ની અને બાળકોને લઈ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. એ જોઈને કપિલાને હસવું આવ્યું.
કપિલાને હસતી જોઈને અભયાએ પૂછ્યું કે કેમ તું હસી? હસવાનું કારણ શું?
ના ના કંઈ નહીં. કપિલા થોડી સાવધ થઈ ગઈ.
અભયા પણ વિચક્ષણ હતી. આ કોઈ વાત છુપાવે છે. એ સમજી ગઈ છે, પણ એની પાસેથી વાત કઢાવ્યા વગર રહેવાનું નથી. જે વાત હોય એ કર, નહીં તો તારી ખેર નથી. અભયા થોડી કડક થઈને બોલી.
કપિલા વિચારે છે આને જણાવીશ નહીં તો એ ખોટી ખોટી કલ્પના કરશે ને કદાચ આપણને ખોટી રીતે પરેશાન પણ કરી શકે. એવો વિચાર કરીને એણે અભયાને કહ્યું, આ સરસ મજાના છોકરા કોના છે?
કેમ એમાં શું નવું છે? એનો બાપ સાથે જ તો છે. એના જ દીકરા છેને? એમાં હસવાનું શું છે. હકીકતમાં આ માણસમાં માણસતા નથી.
અરે! પણ તારી વાત કેવી છે? નજર સામે જ એના દીકરાઓ દેખાય છે.
બસ એટલે જ મને લાગે છે મનોરમામાં ખામી છે. આની તપાસ મારે કરવી પડશે. હું આ ઘટનામાં છેક છેલ્લે સુધી પહોંચીશ.
એ સમયે કપિલાએ પોતાના અનુભવની વાત સંભળાવી. હવે અભયાને પણ સુદર્શનમાં રસ જાગ્યો. હવે અભયાના મનમાંથી સુદર્શન ખસતો નથી. ગમે તે ભોગે સુદર્શનને મેળવવો છે.
માણસનું મન બહુ વિચિત્ર છે. ક્યારેક એ વ્યવહાર તો બહુ વિચારીને કરશે, પણ ક્યારેક અવ્યવહારુ વર્તન કરવામાં જ રસ પડે છે. એને એ પણ ખબર હોય છે કે આવું કરવામાં મારાં યશ અને પ્રતિષ્ઠા ધોવાઈ જાય છે, છતાં એ એને છોડી શકતો નથી. એમાં પણ આ તો વિશિષ્ટ શક્તિશાળી સ્ત્રી છે. એ ધારે તે કરી શકે છે. રાજાની મહારાણી છેને!
એક રાતે પોતાના અનુચરોને આદેશ કર્યો, જાઓ સુદર્શનને લઈ આવો. ગમે તેવી સ્થિતિ હોય તો પણ એને અત્યારે જ હાજર કરો.
એ સમયે સુદર્શન પોતાના ઘરની અંદર સાધના ભવનમાં વિશિષ્ટ સાધના કરી રહ્યો હતો. જ્યાં સુધી આ સાધના પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી મૌનનો એને નિયમ હતો. પેલા માણસો તપાસ કરવા આવ્યા. આ તો આંખો બંધ કરીને ઊભેલો હતો. એને બોલાવ્યો, ઢંઢોળ્યો, હલાવ્યો, પણ એના તરફથી કોઈ પ્રતિભાવ મળ્યો નહીં. એટલે એને ઉપાડીને અભયા રાણી પાસે લઈ ગયા. રાણીને કહ્યું, આ માણસ તો કંઈ સમજતો હોય એમ લાગતું નથી. અમે કેટલો બોલાવ્યો પણ કંઈ જવાબ જ નહીં.
રાણીએ એને આગળ બોલતાં અટકાવીને કહ્યું, હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. હું એને બોલતો કરી દઈશ. રાણીએ એને બોલાવવાનો પ્રયત્ન કર્યો, પણ એનો નિયમ હજુ પૂરો થયો નથી. એમાં આ તો પાછો એના હિસાબે એક જાતનો ઉપદ્રવ છે. આવા ઉપદ્રવ વખતે પણ એનો આ જ નિયમ હોય એટલે જવાબ આપવાનો હોતો જ નથી.
હવે રાણી કહે છે જો તું મને વશ નહીં થાય અને મને `સંતોષ’ આપવામાં કંઈ પણ વિલંબ કરીશ, તો તારા માટે કંઈ પણ અનિષ્ટ થાય એની મારી કોઈ જવાબદારી રહેશે નહીં. કોઈના પણ ઈષ્ટ કે અનિષ્ટની જવાબદારી કોઈ ક્યાંથી લઈ શકે? પણ માણસને પોતાનો અહં નડતો હોય છે.
અભયા રાણીએ સુદર્શનને સમજાવવા, મનાવવાના અનેક પ્રયત્નો કર્યા, પણ પરિણામ જ્યારે કંઈ ન આવ્યું ત્યારે પણ પોતાનાં કપડાં ફાડી નાંખ્યાં. પોતાના જ હાથે પોતાના જ શરીરે ઉઝરડા પાડ્યા અને બૂમો પાડવા લાગી. ચોર… ચોર… પકડો મારી આબરૂ લેવાનો પ્રયાસ થાય છે.
બધા ભેગા થઈ ગયા. રાણીના સૂચનથી સુદર્શનને પકડી લીધો. રાજા પાસે લઈ ગયા. રાજાએ સુદર્શનને પૂછ્યું, શું વાત છે? શા માટે તેં રાજરાણી પર નજર બગાડી?
એ હવે વિચાર કરે છે અત્યારે મારી વાત સાંભળવાની કોઈની તૈયારી નથી અને કદાચ સાંભળશે તો પણ સ્વીકારશે નહીં. એ મૌન રહ્યો.
રાજાએ માન્યું એણે ગુનો કબૂલ કર્યો છે. શિક્ષા તો કરવી જ પડે. જો શિક્ષા કરવામાં ન આવે તો આ પરંપરા આગળ વધશે. રાજાએ એને શૂળીએ ચઢાવવાનો આદેશ કર્યો.
ચમત્કાર એવો થયો કે જ્યારે એને શૂળીએ ચઢાવવા માટેના સ્ટેન્ડ ઉપર ઊભો રાખ્યો એ જ સમયે શૂળીનું સ્ટેન્ડ રાજસિંહાસન બની ગયું.
આપણે આપણા નિયમમાં મક્કમ રહીએ તો આસપાસના દેવો પણ રાજી રાજી થઈ જાય અને એમાં પણ શિયળવ્રતનું પાલન આપણા આત્માનું ઊર્ધ્વીકરણ કરવામાં અગત્યનો ભાગ ભજવે છે.