ગીતાના પંદરમા અધ્યાયનો પાઠ જ્ઞાન, વૈરાગ્ય અને ભગવદચિંતન વધારે છે. આજે પંદરમા અધ્યાયના શ્લોક-10નું ચિંતન કરીશું, જેમાં જીવાત્માના સ્વરૂપને કોણ જાણે છે? અને કોણ નથી જાણતું? તેનું વર્ણન કરતાં ભગવાન કહે છે કે,
ઉત્ક્રામન્તં સ્થિતં વાપિ ભુજ્જાનં વા ગુણાન્વિતમ્
વિમૂઢા નાનુપશ્યન્તિ પશ્યન્તિ જ્ઞાનચક્ષુષઃ
શરીર છોડીને જતા અથવા બીજા શરીરમાં સ્થિત થયેલા અથવા વિષયોને ભોગવી રહેલા પણ ત્રણેય ગુણોથી યુક્ત જીવાત્માના સ્વરૂપને અજ્ઞાનીજનો જાણતા નથી. ફક્ત જ્ઞાનચક્ષુવાળા જ્ઞાની મનુષ્યો જ જાણે છે. બ્રહ્મજ્ઞાનનાં ત્રણ સોપાન છે : જાણવું, જીવનમાં ઉતારવું અને બ્રહ્મમય બની જવું. જ્યાં સુધી સર્વવ્યાપી પ્રભુ પરમાત્માનાં સાક્ષાત્ દર્શન-અપરોક્ષાનુભૂતિ ન થાય ત્યાં સુધી રામનું નિર્મળ જ્ઞાન, વિમલ વિવેક થતો નથી. રામનું જ્ઞાન અને વિશ્વાસ ત્રણ રીતે થાય છે : શાસ્ત્ર દ્વારા, ગુરુ દ્વારા અને પોતે પોતાના દ્વારા. જ્યાં સુધી પ્રભુનો સાક્ષાત્કાર થતો નથી ત્યાં સુધી લક્ષ ચોરાસીનું ચક્કર સમાપ્ત થઇ મુક્તિ મળતી નથી અને વ્યક્તિ માયામાં અહીં તહીં ભટકતો રહે છે.
સ્થૂળ શરીરને છોડતી વેળાએ જીવ સૂક્ષ્મ અને કારણ શરીરને સાથે લઇને પ્રસ્થાન કરે છે. આ ક્રિયાને ઉત્ક્રામન્તમ કહે છે. જ્યાં સુધી હૃદયમાં ધબકારા રહે છે ત્યાં સુધી જીવનું પ્રસ્થાન માનવામાં આવતું નથી. હૃદયના ધબકારા બંધ થઇ ગયા પછી પણ જીવ કેટલાક સમય સુધી રહી શકે છે. વાસ્તવમાં અચળ હોવાથી શુદ્ધ ચેતન તત્ત્વનું આવાગમન થતું નથી. પ્રાણોનું જ આવાગમન થાય છે, પરંતુ સૂક્ષ્મ અને કારણ શરીરની સાથે સંબંધ રહેવાના કારણે જીવનું આવાગમન કહેવામાં આવે છે. જેવી રીતે કેમેરા ઉપર વસ્તુનું જેવું પ્રતિબિંબ પડે છે તેનું તેવું જ ચિત્ર અંકિત થઇ જાય છે તેવી જ રીતે મૃત્યુ સમયે અંતઃકરણમાં જે ભાવનું ચિંતન થાય છે તે જ આકારનું સૂક્ષ્મ શરીર બની જાય છે.
સંસાર ક્ષણભંગુર છે આ વાત કહેતા, સાંભળતા અને વાંચતા હોવા છતાં પણ મૂઢ મનુષ્યો સંસારને સ્થિર માને છે. ભોગી મનુષ્યની બુદ્ધિ એટલી મૂઢ થઇ જાય છે કે તે આ ભોગોથી વધીને કંઇ છે જ નહીં એવો દૃઢ નિશ્ચય કરી લે છે. એટલા માટે આવા મનુષ્યના જ્ઞાનચક્ષુ બંધ રહે છે. તેઓ મૃત્યુને નિશ્ચિત જાણતા હોવા છતાં ભોગ ભોગવવા માટે મૃત્યુલોકમાં રહેવા છતાં પણ સદાય જીવતા રહેવાની ઇચ્છા રાખે છે. મૂઢ લોકો ભોગ અને સંગ્રહમાં એટલા આસક્ત રહે છે કે શરીર વગેરે પદાર્થો નિત્ય રહેવાવાળા નથી તે વાત વિચારતા જ નથી. ભોગ ભોગવવાનું શું પરિણામ આવશે? એ બાજુ જોતા જ નથી.
પ્રાણી પદાર્થ ઘટના પરિસ્થિતિ સ્થિર નથી. દૃશ્ય માત્ર નિરંતર અદર્શનમાં જઇ રહ્યું છે. આવો પ્રત્યક્ષ અનુભવ થવો તેને જ જ્ઞાનરૂપી ચક્ષુઓથી દેખવું કહે છે. જ્ઞાની મનુષ્યનું સ્થૂળ શરીર તો છૂટશે, પરંતુ બીજા શરીરને પ્રાપ્ત કરવું તથા રાગ બુદ્ધિથી વિષયોનું સેવન કરવું એ તેના દ્વારા થતું નથી. જ્ઞાની મનુષ્યો જ્ઞાન નેત્રો દ્વારા એમ જુએ છે કે જન્મ-મૃત્યુ વગેરે બધી ક્રિયાઓ કે વિકારો અપરિવર્તનશીલ સ્વરૂપમાં નહીં, પરંતુ પરિવર્તનશીલ શરીરમાં જ છે. જ્ઞાનનેત્રવાળા મનુષ્યો આત્માને ગુણોથી રહિત વાસ્તવિક રૂપે જુએ છે. ગુણોની સાથે સંબંધ માનવાથી જીવ ગુણાન્વિત થઇ જાય છે. જો સંબંધ ન માને તો તે નિર્ગુણ જ છે. ગુણો સાથે સંબંધ થવાથી જ જન્મ-મરણ થાય છે.