આમ તો સિદ્ધાર્થે ઘણા વિદ્વાનોને પોતાના ગુરુ બનાવ્યા હતા, પરંતુ ગુરુ વિશ્વામિત્રની પાસે તેમણે વેદ અને ઉપનિષદનો અભ્યાસ કર્યો. સાથે રાજકાજ અને યુદ્ધિવિદ્યાની શિક્ષા પણ લીધી. કુસ્તી, ઘોડેસવારી, ધનુર્વિદ્યા અને રથ હંકારવામાં કોઈ તેમની બરાબરી કરી શકે તેમ નહોતું.
સોળ વર્ષની ઉંમરમાં સિદ્ધાર્થના વિવાહ દંડપાણિ શાક્યની કન્યા યશોધરા સાથે થયા. યશોધરાથી તેમને એક પુત્ર થયો. જેનું નામ રાહુલ રાખવામાં આવ્યું. સમય જતાં પત્ની યશોધરા અને પુત્ર રાહુલ પણ બુદ્ધ ભિક્ષુ બની ગયાં.
બુદ્ધનો વૈરાગ્યભાવ
ભગવાન બુદ્ધના જન્મ પછી એક જ્યોતિષીએ રાજા શુદ્ધોદનને કહ્યું હતું કે, આ બાળક ચક્રવર્તી સમ્રાટ બનશે, પરંતુ જો તેનામાં વૈરાગ્યભાવ પેદા થયો તો તેને બુદ્ધ બનતા કોઈ નહીં રોકી શકે અને તેની ખ્યાતિ સમગ્ર સંસારમાં અનંતકાળ સુધી રહેશે.
રાજા શુદ્ધોધન તો પુત્ર સિદ્ધાર્થને ચક્રવર્તી સમ્રાટ બનેલો જોવા માગતા હતા, તેથી તેમણે સિદ્ધાર્થની આજુબાજુ ભોગવિલાસનો પૂરતો પ્રબંધ કરી રાખ્યો હતો, જેથી તેના મનમાં કોઈપણ રીતે વૈરાગ્ય ઉત્પન્ન ન થાય. તેમના માટે તો ત્રણ ઋતુઓને અનુકૂળ રહે તેવા ત્રણ સુંદર મહેલ પણ બનાવ્યા હતા, જ્યાં નૃત્ય અને મનોરંજનની બધી સામગ્રીઓ રાખી હતી. કેટલાંયે દાસ-દાસીઓ તેમની સેવામાં મૂકવામાં આવ્યાં હતાં, પરંતુ વસંતઋતુના એક દિવસે તેઓ ફરવા માટે નીકળ્યા. તેમણે રસ્તામાં સાંસારિક દુ:ખો જોયાં અને ત્યારથી જ તેમના જીવનની દિશા બદલાઈ ગઈ. રસ્તામાં એક દુર્બળ વૃદ્ધ વ્યક્તિને, એક રોગીને અને એક શબને જોઈને તેઓ સંસારથી વધારે ને વધારે વિરક્ત તથા ઉદાસીન થઈ ગયા. આ જ સમય દરમિયાન એકવાર તેમણે એક પ્રસન્નચિત્ત સંન્યાસીને જોયા. તેમના ચહેરા પર શાંતિ અને તેજ દેખાઈ રહ્યાં હતાં. સિદ્ધાર્થ તેમને જોઈને પ્રભાવિત થયા.
માત્ર 29 વર્ષની ઉંમરે સિદ્ધાર્થે ગૃહત્યાગ કર્યો હતો. સિદ્ધાર્થે પત્ની યશોધરા અને પુત્ર રાહુલને સૂતાં જોયાં. બંનેના મસ્તક પર હાથ મૂક્યો અને મહેલની બહાર નીકળી ગયા. ઘોડા પર સવાર થઈને તેઓ રાતોરાત ત્રીસ યોજન દૂર ગોરખપુર પાસે અમોના નદીતટ પર પહોંચ્યા. ત્યાં તેમણે રાજસી વસ્ત્ર ઉતાર્યાં અને કેશ કાપીને પોતાને સંન્યસ્ત કરી દીધા.
જ્ઞાનપ્રાપ્તિ
ગૃહત્યાગ કર્યા પછી સિદ્ધાર્થ જ્ઞાનની શોધમાં ભટકવા લાગ્યા. બંબિસાર, ઉદ્રક, આલાર તથા કાલામ નામના સાંખ્યોપદેશકોને મળીને તેઓ ઉરુવેલાની રમણીય વનસ્થળીમાં પહોંચ્યા. જ્યાં તેમને કૌંડિલ્ય વગેરે પાંચ સાધક મળ્યા. ત્યારબાદ સિદ્ધાર્થે જ્ઞાનપ્રાપ્તિ માટે કઠોર સાધનાની શરૂઆત કરી, પરંતુ તેમાં નિષ્ફળ રહેતાં તેઓ બિહારના ગયા નજીક એક વટવૃક્ષની નીચે આસન લગાવીને બેસી ગયા અને નિર્ણય કર્યો કે ભલે મારા પ્રાણ નીકળી જાય, પરંતુ જ્યાં સુધી જ્ઞાન પ્રાપ્ત ન કરી લઉં ત્યાં સુધી સમાધિસ્થ રહીશ. તેમની સાધના સાત દિવસ અને સાત રાત્રિ સુધી ચાલી.
આઠમો દિવસ શરૂ થયો. તે દિવસે વૈશાખી પૂર્ણિમા હતી. તેમની આ જ્ઞાનપ્રાપ્તિની સાધના દરમિયાન સુજાતા નામની એક સ્ત્રીએ તે વટવૃક્ષની માનતા માની હતી કે, જો તેને પુત્ર થશે તો ખીરનો ભોગ ધરાવીશ. તેની માનતા પૂરી થતાં તે સોનાની થાળીમાં ગાયના દૂધની ખીર લઈને વટવૃક્ષ પાસે પહોંચી. ત્યાં તેણે સિદ્ધાર્થને તપસ્યા કરતા જોયા.
સુજાતાએ તેને પોતાનું સદ્ભાગ્ય જાણ્યું અને વિચાર્યું કે આ તો સાક્ષાત્ વટદેવતા છે, તેથી સુજાતાએ બહુ આદર સાથે સિદ્ધાર્થ પાસે ખીર મૂકી અને કહ્યું, `જેમ મારી મનોકામના પૂરી થઈ છે તે જ રીતે જો તમે પણ કોઈ મનોકામના માટે અહીં બેઠા હો તો તમારી મનોકામના જરૂરી પૂરી થશે.’
એ જ રાત્રે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું. જે વૃક્ષની નીચે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું તે આજે પણ `બોધિવૃક્ષ’ના નામથી વિખ્યાત છે. જ્ઞાનપ્રાપ્તિ સમયે તેમની ઉંમર ૩5 વર્ષ હતી. બોધિવૃક્ષને વિશ્વ વિરાસતની યાદીમાં સ્થાન મળ્યું છે. સમ્રાટ અશોક આ વૃક્ષની એક શાખાને શ્રીલંકા લઈ ગયા હતા, તેથી ત્યાં પણ આ વૃક્ષ છે.
જ્ઞાનપ્રાપ્તિ પછી તપસ્સુ તથા કાલ્લિક નામના બે વ્યક્તિ તેમની પાસે આવ્યા. સિદ્ધાર્થમાંથી બુદ્ધ બનેલા મહાત્માએ તેમને જ્ઞાન આપ્યું અને બૌદ્ધ ધર્મના પ્રથમ અનુયાયી બનાવ્યા. બોધગયાથી ચાલીને તેઓ સારનાથ પહોંચ્યા. ત્યાં તેમણે પોતાના પાંચ સાથીઓને ઉપદેશ આપીને પોતાના શિષ્ય બનાવ્યા. બૌદ્ધ પરંપરામાં આ ઉપદેશ `ધર્મચક્ર પ્રવર્તન’ના નામથી વિખ્યાત છે. ત્યારબાદ તેઓ તેમના શિષ્યોની સાથે ભ્રમણ કરતા અને સનાતન ધર્મનો ઉપદેશ આપતા. તેમણે લોકોને મધ્ય માર્ગ સ્વીકારવા કહ્યું. દુ:ખનાં કારણ જણાવ્યાં અને દુ:ખમાંથી છુટકારો મેળવવા માટે આષ્ટાંગિક માર્ગ જણાવ્યા. તેમણે જાતજાતના દેવતા, યજ્ઞમાં પશુબલિ અને વ્યર્થ પૂજા-પાઠની નિંદા કરી અને અહિંસા પર ભાર આપ્યો.
80 વર્ષની ઉંમર સુધી ગૌતમ બુદ્ધે જીવન અને ધર્મના પ્રત્યેક પાસાંઓ પર પ્રવચન અને ઉપદેશ આપ્યાં. અનેક લોકોની જિજ્ઞાસા સંતોષી, અનેક પ્રશ્નોનું નિરાકરણ કર્યું. તેમણે અનેક લોકોને દીક્ષા આપીને બુદ્ધ શિક્ષાના પ્રચાર માટે મોકલ્યા. 80 વર્ષની ઉંમરે જ તેમણે ઘોષણા કરી કે તેઓ બહુ જલદી પરિનિર્વાણ માટે રવાના થશે. તેમણે પોતાનું છેલ્લું ભોજન કુંડા નામના લુહારને ત્યાં કર્યું. ભોજનને કારણે તેઓ બીમાર પડ્યા. વૈશાખી પૂર્ણિમાના દિવસે કુશીનગરમાં ઈ.પૂ. 4૩8માં દેહત્યાગ કર્યો. દેહત્યાગ પહેલાં તેમના મુખથી નીકળેલા છેલ્લા શબ્દો આ પ્રમાણે હતા.
`હે ભિક્ષુઓ, આ સમયે આજે તમને એટલું જ કહું છું કે જેટલા પણ સંસ્કાર છે, બધા જ નાશ પામવાના છે, પ્રમાદ રહિત થઈને પોતાનું કલ્યાણ કરો.’
જ્ઞાનનો પહેલો પાઠ
એક યુવક દેશ-વિદેશમાં ભ્રમણ કરીને ત્યાંના ગ્રંથોનું અધ્યયન કરીને પાછો આવ્યો હતો. તે ખૂબ જ હોશિયાર હતો, પરંતુ પાછો આવીને તે મોટી મોટી વાતો કરવા લાગ્યો કે તેના જેવો મોટો જ્ઞાની કોઈ નથી. તેની પાસે જે પણ વ્યક્તિ જાય તેને તે હંમેશાં પ્રશ્ન કરતો કે શું તેમણે તેનાથી મોટો કોઈ વિદ્વાન જોયો છે? આ વાત ભગવાન ગૌતમ બુદ્ધના કાને પહોંચી. ત્યારબાદ તેઓ બ્રાહ્મણવેશમાં તેની પાસે ગયા. યુવકે પ્રશ્ન કર્યો, `બ્રાહ્મણ, તમે કોણ છો?’
બ્રાહ્મણવેશધારી બુદ્ધે કહ્યું, `પોતાના દેહ અને મન પર જેનો પૂર્ણ અધિકાર છે, હું એવો એક તુચ્છ મનુષ્ય છું.’
યુવકે કહ્યું, `મને તમારી વાત કંઈ સમજાઈ નહીં, જરા સ્પષ્ટતાપૂર્વક કહો.’
બુદ્ધે કહ્યું, `જે રીતે કુંભકાર ઘડો બનાવે છે, નાવિક નૌકા ચલાવે છે, ધનુર્ધારી બાણ ચલાવે છે, ગાયક ગીત ગાય છે, વાદક વાદ્ય વગાડે છે અને વિદ્વાન વાદવિવાદમાં ભાગ લે છે, તે જ રીતે જ્ઞાની પુરુષ સ્વયં પર જ શાસન કરે છે.’
આ સાંભળી યુવકે ફરીથી પ્રશ્ન કર્યો, `જ્ઞાની પુરુષ સ્વયં પર શાસન કેવી રીતે કરે છે?’
બુદ્ધે સમજાવ્યું, `લોકો દ્વારા સ્તુતિ-ગુણગાનોની વર્ષા કરવા પર અથવા નિંદાના અંગારો વરસાવા પર પણ જ્ઞાની પુરુષનું મન શાંત જ રહે છે, પ્રશંસા અથવા નિંદાની તેના પર કોઈ અસર નથી થતી.’
હવે યુવકે પોતાના વિશે વિચાર્યું તો તેને આત્મગ્લાનિ થઈ. તે તરત જ બુદ્ધના પગમાં પડીને બોલ્યો, `સ્વામી, અત્યાર સુધી હું ભૂલ કરતો હતો. હું પોતાને જ સૌથી મહાન જ્ઞાની સમજતો હતો, પરંતુ આજે મને સમજાયું છે કે મારે તમારી પાસે હજુ ઘણું બધું શીખવાનું છે.’
બુદ્ધે હવે પોતાની સાચી ઓળખાણ આપતાં કહ્યું, `જ્ઞાનનો પહેલો પાઠ આજે તેં સમજી લીધો છે. તું મારી સાથે મઠમાં ચાલ, આગળના પાઠોનું અધ્યયન તું ત્યાં જ કરજે.’ તે યુવક બુદ્ધની સાથે ગયો અને તેમનો શિષ્ય બની ગયો. – પ્રશાંત પટેલ
બુદ્ધના મુખ્ય દસ શિષ્યો
આનંદ
અનિરુદ્ધ (અનુરુદ્ધા)
મહાકશ્યપ
રાણી ખેમા
મહાપ્રજાપતિ
ભદ્રિકા
ભૃગુ
કિમ્બાલ
દેવદત્ત
ઉપાલી
ભગવાન બુદ્ધનાં અન્ય નામ
વિનાયક
સુગત
ધર્મરાજ
તથાગત
સમંતભદ્ર
મારજિત્
ભગવત્
મુનિ
લોકજિત્
જિન
ષડભિજ્ઞ
દશબલ
અદ્વયવાદિન્
સર્વજ્ઞ
શ્રીધન
શાસ્તૃ
મુનીન્દ્ર