મદ્ર દેશના ઋષિ જેવા ધર્માત્મા-તત્ત્વજ્ઞાની છતાં નિઃસંતાન એવા રાજા અશ્વપતિએ પુત્રપ્રાપ્તિ માટે માતા સાવિત્રીની આરાધના કરી, પરંતુ દેવી સાવિત્રીને તો સિદ્ધ કરવું હતું કે કુળ ધર્મની રક્ષા કરવા માટે તો પુત્રની જેમ પુત્રી પણ સમર્થ હોય છે, તેથી પુત્ર માગનાર રાજાને કન્યારત્નની પ્રાપ્તિ થઇ. દેવી સાવિત્રીની કૃપાથી જન્મેલી એ કન્યાનું નામ પણ સાવિત્રી રખાયું. સાવિત્રી સંસ્કારી-સ્વતંત્ર વાતાવરણમાં ઉછરી. એનામાં ગુણ-સૌંદર્યથી છલકાતું યૌવન પ્રગટ્યું. એની તેજસ્વિતા, સુંદરતા, બુદ્ધિમત્તા અને નિર્ભય સ્વતંત્રતાથી ભરેલા એના ગુણિયલ વ્યક્તિત્વના પ્રભાવ આગળ ભલભલા રાજકુમારો પણ એનું માગું કરવાની હિંમત કરી શક્યા નહીં.
છેવટે પોતાને અનુરૂપ વર શોધી લાવવાની પિતાએ જ એને અનુમતિ આપી. કન્યા જાતે વર શોધે એ કાર્ય પણ ધર્મસંમત છે, પિતાના એવા વચનમાં પ્રાચીનકાળની આપણી સ્ત્રી સ્વાતંત્ર્યની ઉદાત્ત ભાવનાનો ધબકાર સંભળાય છે. વૃદ્ધ મંત્રીને સાથે લઈ સાવિત્રીએ નગર નગર, દેશ-દેશમાં ફરી ફરીને પોતાને લાયક એવા વરની શોધ કરીને તે ઘેર પાછી ફરી. પિતાને જણાવ્યું: `શાલ્વ દેશના રાજ્યભ્રષ્ટ થઇ વનવાસી બનેલા અંધ રાજા ઘુમત્સેનનો સંસ્કારી અને સત્યવાદી પુત્ર સત્યવાન જ મારા માટે લાયક હોઈ એને હું મનથી વરી ચૂકી છું. એ રૂપાળો છે, ગુણિયલ છે અને સર્વ શાસ્ત્રોમાં પ્રવીણ છે. સમુદ્રની જેમ તે ગુણરત્નોનો ભંડાર છે.’
પરંતુ ત્યાં ઉપસ્થિત નારદજીએ તો ભવિષ્યવાણી ભાખતાં જણાવ્યું કે સત્યવાન સત્યનિષ્ઠ, બુદ્ધિમાન અને પિતૃભક્ત છે, પરંતુ એનું આયુષ્ય હવે માત્ર એક જ વર્ષનું બાકી રહ્યું છે ત્યારે આવો જમાઈ કોણ પસંદ કરે? પરંતુ રાજકન્યા સાવિત્રીએ તો પોતાના નિશ્ચયમાં અડગ રહી કહી નાખ્યું: `જેને એક વાર હું વરી ચૂકી છું, પછી એ દીર્ઘાયુ હોય કે અલ્પાયુ, સગુણ હોય કે નિર્ગુણ, એને જ વરીશ, હવે બીજાને નહીં વરું.’ નારદ અને પિતાએ આ નિર્ણય વધાવી લીધો. સત્યવાન અને સાવિત્રીના વિવાહ સંપન્ન થયા. રાજમહેલમાંથી વનવાસી બનેલી સાવિત્રી સેવા-સદાચારનો આચા૨ધર્મ અપનાવીને પતિ-સાસુ-સસરા વગેરેની સેવા કરવા લાગી. મહિનાઓ વીત્યા. નારદની ભવિષ્યવાણી પ્રમાણે એક વર્ષ પૂર્ણ થવામાં કેવળ ચાર જ દિવસ બાકી રહ્યા. પતિવ્રતા સાવિત્રીએ આહાર અને નિદ્રાનો ત્યાગ કરીને ઊભા રહેવાનું ત્રણ દિવસનું વ્રત આરંભ્યું. ચોથા દિવસે સત્યવાન કુહાડી લઈ યજ્ઞ માટેનાં લાકડાં કાપી લાવવા જંગલ ભણી નીકળ્યો. હઠ પકડીને, સાસુ-સસરાની રજા લઇ સાવિત્રી પણ સાથે ચાલી. લાકડાં કાપતાં સત્યવાન થાકી ગયો, સૂવાની ઇચ્છા કરી. સાવિત્રીએ વડ નીચે બેસી સત્યવાનનું માથું ખોળામાં રાખ્યું. સાવિત્રીને પ્રલયકાળ આવી પહોંચ્યાના ભણકારા થવા લાગ્યા.
એટલામાં તો યમરાજે આવીને પોતાના પાશથી સત્યવાનના શરીરમાંથી પ્રાણ ખેંચી લીધા. તે લઈ યમરાજે યમલોક તરફ પ્રયાણ કર્યું. પ્રાણ પાછા મેળવવા સાવિત્રી યમરાજની પાછળ પાછળ ચાલી. યમરાજે એને પાછી વાળવા ખૂબ સમજાવી પણ તે પાછી વળી નહીં. પતિને જીવિત કરવા તેણે તાર્કિક અને આધ્યાત્મિક દલીલો કરી. સાવિત્રીની મક્કમતા જોઇને અંતે યમરાજ પ્રસન્ન થયા.
સાવિત્રીએ એક પછી એક ચાર વરદાનો યમરાજ પાસેથી મેળવી લીધાં. (1) પોતાના અંધ સસરાને દૃષ્ટિ મળે, (2) રાજ્યભ્રષ્ટ થયેલા સસરાને ગયેલું રાજ્ય પાછું મળે. (3) પૃથ્વીપતિ પિતાને પુત્રોની પ્રાપ્તિ થાય અને (4) પુત્રપ્રાપ્તિ માટે પતિ સત્યવાન જીવિત થાય. સાવિત્રીની ધીરતા અને મક્કમતાથી પ્રસન્ન થયેલા યમરાજને આ ચારેય વરદાન આપવાં પડ્યાં! વચનબદ્ધ યમરાજને ચારેય વરદાન આપવાં પડ્યાં. સાવિત્રીના પતિવ્રતાપણા સામે મૃત્યુના દેવ યમ પણ હારી ગયા. તેમણે સત્યવાનને નવજીવન આપી દીર્ઘાયુના આશીર્વાદ આપ્યા. આમ, આ સાવિત્રી વ્રત કરવાથી અને તેની પુણ્યકથા સાંભળવાથી પતિભક્તિ રાખતી મહિલાઓના સંપૂર્ણ મનોરથ પરિપૂર્ણ થાય છે.
પૂજનવિધિ
શાસ્ત્રો અનુસાર વટસાવિત્રીના વ્રતનું પાલન ત્રણ દિવસ સુધી કરવામાં આવે છે. આ વ્રત જેઠ સુદ ત્રયાદશીના દિવસથી શરૂ થઈને અમાસ સુધી ચાલે છે. આ વ્રતમાં ત્રણ દિવસ સુધી ઉપવાસ રાખવામાં આવે છે, પરંતુ શક્તિ ન હોય કે ત્રણ દિવસ ઉપવાસ કરવા માટે અસમર્થ હોવ તો પહેલા બે દિવસ એક સમય ભોજન કરી શકો છો અને અમાસના દિવસે ઉપવાસ રાખીને જેઠ સુદ એકમના દિવસે વ્રત પૂર્ણ કરી શકાય છે. પૂનમના દિવસે વ્રત રાખનારી સ્ત્રીઓએ પણ આ પ્રમાણે જ ત્રણ દિવસ સુધી વ્રતનું પાલન કરવું જોઈએ.
વ્રતના પહેલા દિવસે ત્રયોદશીની વહેલી સવારે વ્રત રાખનારી સ્ત્રીઓએ નિત્યકર્મ કરીને તીર્થમાં સ્નાન કરવું જોઈએ. સ્નાનના જળમાં તલ અને આંબળાંનું ચૂરણ પણ ભેળવી શકાય.ત્યારબાદ કોઈ વડના વૃક્ષના જળમાં બાકી રહેલું જળ ચઢાવવું જોઈએ. આપેલા મંત્રથી સંકલ્પ લઈને વ્રતની શરૂઆત કરવી જોઈએ
વૈધવ્યાદિસકલ દોષપરિહાર્થ બ્રહ્મસાવિત્રી પ્રીત્યર્થ
સત્યવત્સાવિત્રીપ્રીત્યર્થ ચ વટસાવિત્રીવ્રતમહં કરિષ્યે
સાવિત્રી અને સત્યવાનની ધાતુ અથવા માટીની પ્રતિમા બનાવો. આ મૂર્તિઓની વિધિપૂર્વક જાતે અથવા બ્રાહ્મણ દ્વારા પૂજા કરાવો. પૂજામાં હળદર, ગંધ, અક્ષત, ફૂલ, સોપારી, કંકુ અને સિંદૂર ચઢાવો.
અમાસના દિવસે વાંસમાંથી બનાવેલા પાત્રમાં સાત પ્રકારનાં અનાજ ભરીને કપડાંથી ઢાંકી દો. બીજા પાત્રમાં બ્રહ્મા અને સાવિત્રી એટલે કે સરસ્વતીની પ્રતિમા અને ધાતુ અથવા માટીની સત્યવાન સાવિત્રીની મૂર્તિ રાખવામાં આવે છે. આની વિધિપૂર્વક પૂજા કરીને સાવિત્રીને અર્ધ્ય આપો. પૂજામાં સૌભાગ્યની વસ્તુઓ ચૂડો (બંગડી), ચાંલ્લો, સિંદૂર, દર્પણ,સાડી,મેંદી, કાજળ, વસ્ત્ર અને આભૂષણ જેવી વસ્તુઓ પણ રાખી શકાય.
પૂજા પૂર્ણ થાય પછી વડવૃક્ષની 108 વખત પરિક્રમા કરો. અસમર્થતા હોય તો પણ સાત વાર પરિક્રમા કરી શકાય અને પરિક્રમા કરો તેટલા જ સૂતરના આંટા વૃક્ષની ચારેબાજુ લપેટો. સૂત્ર લપેટતી વખતે આ મંત્રનો પાઠ કરો.
જગપૂજ્યે જગન્માતઃ સાવિત્રી પતિદેવતે ।
પત્યા સહાવિયોગ મેં વટસ્થે કુરુતે મમ ॥
છેલ્લે હાથમાં ફૂલ અને ચોખા લઈને વટસાવિત્રીની કથા સાંભળો. પૂજાવિધિ પત્યા પછી બ્રાહ્મણોને વ્રત તથા ફળ વગેરે વસ્તુઓનું દાન કરો.