વિશ્વમાં ભારત દેશ એક એવો દેશ છે કે જ્યાં અગણિત સંતો, ભક્તો, અવતારી મહાપુરુષોએ જન્મ લીધો છે. જેમાં એક સંત કબીર પણ થઈ ગયા. ગુરુ રવિદાસ, ગરીબદાસ, તુકારામ, મીરાં, રજજબ વગેરેએ પોતાની વાણીમાં કબીરનો ઉલેલખ કર્યો છે. કબીર સ્પષ્ટ વક્તા, સરળ હૃદયવાળા, નીડર હતા. તેમના જન્મ વિશે વિવિધ દંતકથાઓ છે. કેટલાકના મંતવ્ય અનુસાર રામાનંદના આશીર્વાદથી એક વિધવા બ્રાહ્મણીના ત્યાં જન્મ લીધેલો. આ વિધવા બ્રાહ્મણીએ પ્રસવ થતાં બાળકને બનારસ પાસે લહરતલા તળાવને કિનારે મૂકી દીધેલ. જ્યારે ઘણાંનું માનવું છે કે કબીજ જ્યોતિ સ્વરૂપે આકાશમાંથી ઊતરીને બાળકનુંરૂપ ધારણ કરેલ. `હિન્દુ કહો તો મેં નહીં, મુસલમાન ભી નહીં, પાંચ તત્વ કા પૂતલા, ગેબી ખેલત માંહી.’
કબીરનો જન્મ ઈ.સ. 1398માં થયેલ. તેમના પિતા નીરુ અને માતા નીમા બંને વણકર હતાં. નાનપણથી જ કબીરનું મન પરમાર્થ તરફ હતું. ગૂઢ તત્વોને સમજવાની, તેની ગહનતા માપવાની અને વિવેચન કરવાની અસાધારણ શક્તિ કબીર ધરાવતા હતા કબીરે આજીવન કાપડ વણીને પોતાનો તથા પોતાના કુટુંબનો નિર્વાહ કર્યો. પરમાત્મા પાસે તેઓ પોતાના પરિવારના ગુજરાન પૂરતું જ માંગે છે, જેથી ભક્તિમાં વિઘ્ન ન આવે. તેમના શિષ્યોમાં રાજા, નવાબ, શેઠ, ધર્મદાસ, શાહુકારો હોવા છતાં પણ કબીરે કોઈની પાસે ભેટ સ્વીકારી નથી.
સાચા સાધુના ગુણો વિશે કબીર કહે છેકે, `સાધુ ભૂખ્યા ભાવ કા, ધન કા ભૂખા નહીં! ધન કા ભૂખા જો ફિરે, સો તો સાધુ નહીં!’ કોઈવાર તો તેમને તથા તેમના પરિવારને શેકેલા ચણા ખાઈને ગુજરાન કરવું પડેલ. તેમનું સૌથી મોટું ધન સંતોષ ધન હતું. કબીરના પરિવારમાં તેમની પત્ની લોઈ, પુત્ર કમાલ અને પુત્રી કમાલી હતાં. લોઈએ કબીર પાસેથી નામદાન લીધેલ.
સંતકબીર એકસો વીસ વર્ષ ઉપર ઉંમર વટાવી ચૂક્યા હતા. તેમનો અંત સમય નજીક હતો. તેમણે મગહર શહેરમાં પોતાના અંતિમ દિવસો પસાર કરવા નિર્ણય કર્યો. તે વખતે એવી માન્યતા હતી કે કાશીમાં દેહ પડે તો વૈકુંઠ મળે અને મગહરમાં મૃત્યુ થાય તો જીવની અધોગતિ થાય. ઘણાએ કબીરને સમજાવ્યા પણ કબીરે સમજણ આપી કે, સંતોએ તો નરક અને સ્વર્ગ બંનેને ઠોકર મારી છે. ગુરુની કૃપાથી હું તો સિંહાસને ચડીને પરમાત્માને મળી ચૂક્યો છું. મગહર પાસે વહેતી અમી નદી વરસાદના બે મહિના સિવાય આખું વર્ષ સૂકી રહેતી, પણ કબીરના રહેવાથી આ નદીમાં આખું વર્ષ પાણી વહેતું થયું. કબીરે મગહરમાં દેહ છોડી પુરવાર કર્યું કે, સંસારમાં બધાં સ્થાન સમાન છે, ન બનારસ સ્વર્ગનું દાતા છે કે ન તો મગહર નરકનું કારણ. ઈ.સ.1518માં કબીર નાશંવત જગત છોડી પરમાત્મા લીન થઈ ગયા.
કર્મના બંધન અંગે કબીરે શિષ્યોને સમજ આપતાં કહ્યું છે કે, `કરમ કા બાંધ્યા જીયરા, અહનિસિ આવે જોઈ. સંતોએ તો કર્મોમાં બંધનને ત્રણ તારવાળું દોરડું ગણાવ્યું છે. પ્રારબ્ધ, ક્રિયામણ અને સંતિત. આ સંસારમાં જીવ પોતાના ભાગ્ય અથવા પ્રારબ્ધ અનુસાર યોનિ, કુળ, ગોત્ર, વાતાવરણ, સુખ-દુ:ખ મેળવે છે અને એના જીવનની ધારા એક પૂર્વનિશ્ચિત રાહ પ્રમાણે ચાલે છે, જેથી સંતો-મહાત્માઓએ આ સંસારને કર્મભૂમિ પણ ગણી છે. ટૂંકમાં આપણું જીવન આપણા કર્મો જ નક્કી કરે છે.