આપણા ભારતમાં ભગવાન શ્રી કૃષ્ણના મંદિરોમાં તેમને અલગ અલગ નામથી અલગ અલગ મૂર્તિઓની પૂજા કરવામાં આવે છે. આ મંદિરોમાં મોટેભાગે તેમને વાંસળી વગાડતા અથવા તો રાધાજી સાથે તેમની મૂર્તિ જોવા મળે છે. પરંતુ અહીં ચેન્નઈમાં જે મંદિરની વાત કરવામાં આવે છે તે મંદિરમાં ભગવાન કૃષ્ણને પાર્થ સારથિ તરીકે પૂજવામાં આવે છે. એટલે કે તેમને મહાભારતના યુદ્ધ સમયે અર્જૂનના સારથિ તરીકેની જે ભૂમિકા ભજવી હતી તે રૂપમાં પૂજવામાં આવે છે.
પાર્થસારથિ તરીકે ઓળખાતું આ મંદિર ચેન્નાઇના તિરુવલ્લિકેની (ત્રિપ્લિકેન) વિસ્તારમાં આવેલું છે. આ મંદિરમાં ભગવાન કૃષ્ણને પાર્થસારથિના રૂપમાં જોવા અને દર્શનાર્થે દૂનિયાભરથી લોકો આવે છે. આ પ્રાચીન મંદિરનું નિર્માણ 8મી સદીમાં પલ્લવ રાજા નરસિંહવર્મન પ્રથમ દ્વારા કરવામાં આવ્યુ હતું. આ મંદિરમાં ચોલ અને વિજયનગર સામ્રાજ્ય જેવા ઘણા રાજવંશોનો સિંહફાળો પણ રહેલો છે. આ મંદિરમાં આ તમામ સામ્રાજ્યની સંસ્કૃતિ અને વાસ્તુકલા સમાયેલી જોવા મળે છે.
પાર્થસારથિ મંદિરની વાસ્તુકલા
શ્રી પાર્થસારથિ કોઇલની વાસ્તુકલા દ્રવિડ શૈલીની જોવા મળે છે. આ મંદિરમાં સમયાંતરે નવીનીકરણ પણ જોવા મળે છે. અલબત્ત આ નવીનીકરણ અલગઅલગ રાજવંશોનું યોગદાન દર્શાવે છે. આ મંદિરમાં પલ્લવ રાજાઓ, ચૌલ રાજાઓ અને અન્ય રાજાઓ દ્વારા ગોપુરમમાં કરવામાં આવેલી નક્શીકામ સૌ કોઇ દર્શનાર્થીનું ધ્યાન ખેંચે છે. 14મી સદીમાં સત્તામાં આવેલા વિજયનગર શાસકો દ્વારા પણ આ મંદિરમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. તેમણે મંદિરોમાં નાના-મોટા સુધારા અને મંડપોને વધુ આકારમય અને કોતરણીમય બનાવડાવ્યા હતા.
પાર્થસારથિ મંદિરનું ઐતિહાસિક મહત્વ
પાર્થસારથિ મંદિરનું ઐતિહાસિક વિશેષ મહત્વ રહેલું છે. આ મંદિર એક રીતે કોઇ ધાર્મિક સ્થળ તરીકે નહીં પરંતુ એક સાંસ્કૃતિક અને સામાજિક કેન્દ્ર તરીકે પણ વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ મંદિરમાં છેલ્લી ઘણી સદીઓથી વિભિન્ન સાંસ્કૃતિક કાર્યક્રમ, ધાર્મિક ઉજવણીઓ ઉપરાંત તહેવારો સાથે અનુષ્ઠાન પણ કરવામાં આવી રહ્યા છે. આજે પણ આ પરંપરા યથાવત જોવા મળે છે. આ મંદિરમાં જે અભિલેખ જોવા મળે છે તે 8મી સદીથી સંબંધિત છે જેમાં તે સમયની સામાજિક -આર્થિક પરિસ્થિતિની જાણકારીઓ દર્શાવવામાં આવેલી છે. આ અભિલેખોમાં તમિલ અને સંસ્કૃત ભાષામાં રામ, રાણીઓ અને અન્ય સામાન્ય લોકો દ્વારા કરવામાં આવેલા દાનનો ઉલ્લેખ પણ કરવામાં આવેલો છે. અલબત્ત જેતે રાજાઓ-રાણીઓ અને અન્ય વ્યક્તિઓ દ્વારા મંદિરોને અપાયેલું દાન તેમજ મંદિર કાર્યોની વિગતો અભિલેખોમાં જોવા મળે છે.
પાર્થસારથિ મંદિરમાં યોજાતા વિવિધ મુખ્ય તહેવારો
પાર્થસારથિ મંદિરમાં યોજાતા તહેવારોનો લ્હાવો લેવા ભારતભરમાંથી શ્રદ્ધાળુઓ આવે છે. કારણ કે, અહીં ઘણી સદીઓથી પરંપરાગત પદ્ધતિ, રીતરિવાજથી તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. આ તહેવારોમાં સૌથી મહત્ત્વપૂર્ણ તહેવારનું નામ `બ્રહ્મોત્સવ’ છે જે તમિલ મહિનાની ચિતિરાઇ (એપ્રિલ-મે)માં વાર્ષિક રૂપથી આયોજિત થનારો એક ભવ્યાતિભવ્ય 10 દિવસનો તહેવાર માનવામાં આવે છે. આ તહેવાર સદીઓથી પણ જુનો માનવામાં આવે છે. જેમાં રથયાત્રા, પારંપરિક સંગીત, નૃત્યકલા તેમજ વિભિન્ન પ્રકારના ધાર્મિક અનુષ્ઠાનનો સમાવેશ કરવામાં આવે છે. આ તહેવારોને બાદ કરતા હજીપણ એક મહત્ત્વનો એક તહેવાર અહીં ઉજવવામાં આવે છે જેને `વૈકુંઠ’ એકાદશી કહેવામાં આવે છે. આ વૈકુંઠ એકાદશીનું ખૂબ જ ધાર્મિક મહત્ત્વ છે. આ તહેવાર ડિસેમ્બર-જાન્યુઆરીમાં મનાવવામાં આવે છે. જે માટે આસપાસના રાજ્યોના શ્રદ્ધાળુઓ ખૂબ જ મોટી સંખ્યામાં આવે છે. ખાસ કરીને આ શ્રદ્ધાળુઓ સ્વર્ગના દ્વાર એટલે કે `વૈકુંઠ દ્વારમ’ના ઉદ્ઘાટનને નિહાળવા આવે છે. વધુમાં આ મંદિરમાં કૃષ્ણ જયંતી પણ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ ઉપરાંત અન્ય તહેવારોમાં પંગુનીસેરથી, પલ્લવ ઉત્સવમ અને રામાનુજાર ઉત્સવમ જેવા તહેવારો પણ હર્ષોલ્લાસ અને ધામધૂમથી યોજવામાં આવે છે.
પાર્થસારથિ મંદિરનો દર્શનનો સમય
પાર્થસારથિ મંદિર તમે કોઇપણ ઋતુમાં જઇ શકો છો. આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણના દર્શન સવારે 6 વાગ્યાથી બપોરના 12 સુધી અને સાંજે 4 વાગ્યાથી રાત્રીના 9 વાગ્યા સુધી કરી શકો છો. આ મંદિરમાં વહેલી સવારે અને મોડી સાંજે શ્રદ્ધાળુઓની ઓછી ભીડ જોવા મળે છે. આ સમય દરમિયાન તમે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન ખૂબ જ શાંતિથી અને પુરા ભક્તિભાવથી કરી શકો છો. આ મંદિરમાં દર્શનાર્થે જવા માટે પરંપરાગત વેશભૂષા પહેરવી જરૂરી છે. અલબત્ત તમે જે પોશાક પહેરો છો તેમાં અંગપ્રદર્શન હોવું જોઇએ નહીં. આ મંદિરની સાથે સાથે તમે ભગાવન શિવને સમર્પિત કપાલેશ્વર મંદિરના પણ દર્શન કરી શકો છો. આ મંદિરની પાસે જ ભગવાન શિવજીનું વિશાળ મંદિર છે. આ મંદિર પણ ખૂબ જ પ્રાચીન છે.