એક વાર ભગવાન મહાવીરની વાણી સાંભળવા શાલિભદ્ર ગયેલા અને તેમણે ભગવાનની સાથે જ રહેવાનો નિર્ણય કરી લીધો. સાથે સાથે એણે એવી જાહેરાત કરી કે મારે બત્રીસ પત્નીઓ છે. રોજ એક ત્યાગ કરીશ અને પછી બત્રીસમાં દિવસે દીક્ષા લઇશ.
શાલિભદ્રને સુભદ્રા નામની એક બહેન હતી. એન એના પતિ ધન્યકુમારને આઠ પત્નીઓ હતી. જે તમામ રોજ સવારે ધન્યકુમારને સ્નાન કરાવતી. એક સવારે ધન્યકુમાર જોયું તો સુભદ્રાની આંખમાંથી આંસુ ટપકતાં હતાં. ધન્યકુમારને સુભદ્રા માટે લાગણી હતી. ગુણોનું આકર્ષણ હતું. એમણે સુભદ્રાને પૂછયું, તારી આંખમાં આંસુ? હું આ સહન ન કરી શકું. બોલો તમને કોણે દુખી કર્યા? જે પણ હોય એને શિક્ષા થશે. આપનો મારા પ્રત્યેનો આટલો પ્રેમ છે કે કોઈ પણ મને કંઈ કહેવા સક્ષમ નથી. મને સમાચાર મળ્યા છે કે મારો ભાઈ શાલિભદ્ર રોજ એકએક પત્નીનો ત્યાગ કરે છે. બત્રીસમાં દિવસે એ દીક્ષા લઇ લેશે પછી એના વગર હું શું કરીશ? એ ચિંતામાં મારી આંખમાંથી આંસુ સરી પડયું. આખી વાત સાંભળીને ધન્યકુમાર હસી પડયા. આમ દીક્ષા ના લેવાય, એ બોલ્યા.
સુભદ્રાને ધન્યકુમારની વાત થોડી અજીબ લાગી. એણે કહ્યું, તમે શંુ કહો છે. મારા કહેવાની કોઈ વાત નથી, પણ જેને વૈરાગ્ય જાગ્યો હોય એ તો બધી એકસાથે જ છોડીને રવાના થાય, આમ રોજ એક એક છોડવાની હોય તો છૂટે નહીં. સુભદ્રાના મુખમાંથી શબ્દો સરી પડયા, બોલવામાં તો શું વાંધો હોય, છોડવાનો સમય આવે ત્યારે તકલીફને! બોલવું સહેલું, કરવું અઘરું.
સામે ધન્યકુમાર હતો. એવું છે તો લે આ છોડી. સ્નાન કરતાં ઊભા થઇ ગયા. આવજો, હું જાઉ છું. કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર સીધા ત્યાંથી શાલિભદ્રની હવેલી પાસે પહોંચ્યા. નીચેથી જ અવાજ કર્યો. શાલિભદ્ર, ચાલો, આપણે બંને સાથે જ ભગવાન મહાવીર પાસે દીક્ષા લેવા જઇએ. આમ સાળા-બનેવી બેય જણાએ ભગવાનની પાસે દીક્ષા લીધી. દીક્ષા કંઈ એમણે ખાઈ-પીને મોજમજા કરવા નથી લીધી. એમનું લક્ષ્ય આત્મવિકાસ છે. આનંદ જોઈએ પણ એ અંદરનો હોવો જોઈએ. પદાર્થ આશ્રિત આનંદ એ સાચો આનંદ નથી. આવો આનંદ આપણા વાસ્તવિક વિકાસમાં બાધક બનતો હોય છે. આવી એમની વિચારધારા હતી. એનું પરિણામ એવું આવે કે એમને શરીરના પ્રત્યે કોઈ જાતનું આકર્ષણ ન હતું. આકર્ષણ તો શું, શરીરની સાવ ઉપેક્ષા હતી. મહિનામાં એક દિવસ એક વાર માત્ર એક વાર જ એ શરીરને આહાર આપતા. મહિનાના ઉપવાસ કરીને પારણાના દિવસે માત્ર એક વાર આહાર લેવાનો અને બીજા દિવસથી પાછા મહિના સુધી ઉપવાસ કરવાના. કેટલું કરુણ પણ એમને પોતે માનેલા ઇષ્ટની સામે આ સહેલું લાગતું હતું.
એમને ભલે સહેલું લાગતું હોય પણ શરીર ઉપર તો અસર થાય જ ને! આમને આમ ઘણો સમય પસાર થઇ ગયો. ઉપવાસના કારણે એમની કાયા ઓળખાય એવી પણ નથી રહી, પણ એનું એમને કોઈ લક્ષ્ય પણ નથી. ઉભયની કાચા કૃશ થઇ ગઇ છે. પણ આત્મા જાગૃત છે.
એ દિવસે મહિનાના ઉપવાસનું પારણું કરવાનું હતું. એમણે ભગવાનની પાસે આજ્ઞા લીધી. ભગવાન આહાર ગ્રહણ કરવાની આજ્ઞા આપો. ભગવાને તથાસ્તુ કહ્યું. ફરીને એમણે ભગવાનને પૂછયું ભગવાન અમને પારણું કોણ કરાવશે?
ભગવાને કહ્યું, શાલિભદ્રની માતા પારણં કરાવશે. ભગવાનની આટલી વાત શાંભળીને એ બેય જણા ભદ્રા શેઠાણીના મહેલ પાસે ગયા. મહેલની અંદર એક તરફ ઊભા રહ્યા.
ભદ્રા માતા-શાલિભદ્રની પૂર્વાવસ્થાની પત્નીઓ અને અન્ય કર્મચારીઓ બધા શાલિભદ્રના દર્શન કરવા જવાની વ્યગ્રતામાં હતા.
એમને એ સમયે જ સમાચાર મળેલા છે, ભગવાનની સાથે શાલિભદ્ર રાજગૃહ નગરીના ઉદ્યાનમાં પધારેલા છે. તરત જ એમણે પોતાના અનુચરોને આદેશ કર્યો. ચાલો આપણે બધા એમના દર્શન-વંદન કરવા જઇએ. આપણે બધાએ ભોજન ત્યાં જ કરવાનું છે એટલે ભોજનની સામગ્રી પણ સાથે લેવાની છે. આ બધી ધમાલમાં સામે ઊભેલા મહાત્માઓની કોઈએ નોંધ પણ લીધી નહીં.
જેને મળવા માટે જવાનું છે એ સ્વયં સામે ઊભેલા છે, પણ કોઈને એ કલ્પના પણ નથી આવતી કે આમાંના એક આ ઘરના માલિક હતા અને બીજા આ ઘરના જમાઈરાજ હતા.
થોડી વાર ઊભા રહીને એ બંને રવાના થયા. નગરના દ્વાર પાસે પહોંચ્યા ત્યારે એક ડોશીમા માથા ઉપર દહીંનો ભરેલો ઘડો લઇને આવી રહી હતી. એણે આ બેય મહાત્માઓને જોયા. એને એનો ભાવ જાગ્યો કે જો મારું દહીં ગ્રહણ કરે તો મારે એમને આપવું છે. મહાત્મા નજીક આવ્યા ત્યારે એણે મહાત્માઓને વિનંતી કરી, મહાત્મન આપને ખપે એવું આ દહીં છે, આપ ગ્રહણ કરો અને મને લાભ આપો. મહાત્માઓએ દહીં પોતાના પાત્રમાં ગ્રહણ કર્યું. બંને મહાત્માઓ દહીં ગ્રહણ કરીને પોતાના સ્થાને પહોંચ્યા. પારણું કરીને ભગવાનની પાસે પહોંચ્યા. ભગવાનને કહ્યું, પારણું તો થઇ ગયું પણ આપે કહ્યા પ્રમાણે શાલિભદ્રની માતાએ નથી કરાવ્યું. આવું કેમ થયું?
ભગવાન કહે છે પારણું તો એની માતા એ જ કરાવ્યું છે. ક્યાં કહેલું કે આ ભવની માતા પારણું કરાવશે? આ એની આગલા ભવની માતા હતા. ગયા ભવમાં શાલિભદ્ર ભરવાડનો દીકરો હતો. એને ખીર ખાવાની ઇચ્છા થઇ. મા પાસે માગી. આપવાની શક્તિ ન હોવાના કારણે દુખી થઇ રડી રહી છે. આસપાસના માણસોએ એનો અવાજ સાંભળ્યો. એ લોકોએ સામગ્રી ભેગી કરી આપી. માએ ખીર બનાવી થાળીમાં કાઢીને આપી. પોતે પાણી લેવા ગઈ. આ બાજુ મહિનાના ઉપવાસી મહાત્મા આવ્યા. એમને બધી ખીર આપી દીધી. પેલો ભરવાડનો દીકરો થાળી ચાટે છે. એની પાસે આવે છે. એને થાળી ચાટતો જુએ છે. પેલી વિચારે છે આટલી ખાધી તો પણ એને ભૂખ રહી ગઈ છે.
એ ભરવાડના છોકરાએ (સંગમકે) એવી વાત પણ ના કરી કે મહાત્મા આવેલા એમને ખીર વહોરાવી. એના પ્રભાવે શાલિભદ્ર તરીકે જન્મ્યા અને રોજ નવાણું પેટીઓ આવે એવું કર્મ ઉપાર્જન કરેલું. આવી પૂર્વભવની વાત ભગવાને સંભળાવી. એ સાંભળીને અત્યંત આનંદિત થયા.
હવે આ શરીર અત્યંત કૃશ થઇ ગયું છે. આરાધના કરવામાં એનો કોઇ જ સહકાર મળી શકે એમ નથી એવું સમજીને બેય મહાત્માઓએ ભગવાનને વિનંતી કરી, ભગવાન અમને અણશણ કરવાની રજા આપો. અણશણ એટલે એવું કે નિયમ કરવાનો કે હવે હું આહાર-જલ આદિનો ત્યાગ કરીશ. એક જ સ્થાને રહીશ અને હલનચલન પણ કરીશ નહીં. આવો નિર્ણય કરીને જમીન ઉપર જ સૂઈ જવાનું અને સૂતા પછી ગમે તેવી પરિસ્થિતિ આવે તો પણ ઊભા થવાનું તો ઠીક પણ એક ઇંચ પણ ખસવાનું ના હોય આને અણશણ કહેવાય. આ કાર્ય કર્યા પછી પાંચ પંદર દિવસમાં પરલોકગમન થઇ જાય, ક્યારેક સમય ઓછો વધતો થાય પણ લાંબું ના ચાલે.
બંને જણાએ આ વિધિ કરવા રવાના થયા. રાજગ્રહીની નજીકમાં વૈભારગિરિ નામના પર્વતની એક સરસ મજાની શિલા પસંદ કરીને ત્યાં આ વિધિ કરવાનો એમણે નિર્ણય અમલમાં મૂક્યો.
ભદ્રા માતા અને એમનો પરિવાર ભગવાનને વંદન કરવા ગયો. ભગવાનને વંદન કરીને પોતાના સંસારી પુત્ર એવા શાલિભદ્ર મુનિ અને ધન્યકુમાર મુનિ માટે પૂછયું એમને વંદન કરવાની ભાવના છે, ક્યાં મળશે?
ભગવાને આખી વાત સમજાવી. તમારા દીકરા અને જમાઈ તમારા ઘેર આવ્યા હતા પણ એ સમયે તમે ઘણા વ્યગ્ર હતા એટલે ઓળખી ના શક્યા.
અમારી ભૂલ થઇ ગઈ. હવે અમારે એમના દર્શન-વંદન કરવાની ભાવના છે. આપ આજ્ઞા કરો તો એમને વંદન કરવા જઇએ. ભગવાને કહ્યું, તો એમની કાયા તપથી કૃશ થઇ ચૂકી છે એટલે હવે એમની ભાવના અણશણ સ્વીકારવાની થઇ અને એ માટે વૈભાવગિરિ ઉપર જઇને અણશણ સ્વીકારી લીધું છે. પ્રભો! અમે ત્યાં જઇએ એમને વંદન કરવા? ભગવાને કહ્યું, તમારે જવું હોય તો જઇ શકો છો પણ તમને એમની સાથે વાર્તાલાપ કરી શકશો નહીં. ભગવાનની આજ્ઞા લઇને એ ત્યાં ગયા. ત્યાં એક વિશાળ શિલા ઉપર સૂતેલા શાલિભદ્ર મુનિ અને ધન્યકુમાર મુનિને જોયા ખુશ થઇ ગયા કે આપણે જેમને શોધી રહ્યા છીએ અને જેમને મળવા માટે આવ્યા છીએ એ આપણને મળી ગયા. એમની નજીક આવીને બોલાવે છે ઓ શાલિભદ્ર મુનિ તમે શાતામાં છો. અમારા ઘેર તમે આવ્યા પણ અમે તમને ઓળખી શક્યા નહીં. અમારા ઉપર ક્ષમા કરો. હવે આપના મિષ્ટ વચન સંભળાવો, પણ આ તો હવે વૈરાગી છે. એમણે અણશણનો સ્વીકાર કરેલો છે. પૂર્વાશ્રામની પોતાની માતાના પ્રત્યે કોઈ પણ જાતના રાગ કે દ્વેષનો ભાવ રાખ્યા વગર શાંત ભાવથી રહે છે. માતા વગેરે પરિવાર થાકીને રવાના થાય છે. એમનું આયુષ્ય પૂર્ણ થયે મરીને દેવલોકમાં જાય છે. અને અનુક્રમે બધા કર્મો ખપાવીને મોક્ષમાં જશે. આપણે પણ આપણ જીવનમાં પરમાત્માને લક્ષ્યમાં રાખીને સ્વીકાર કરેલા નિયમમાં સ્થિરતા અને નિૃલતા રાખીને દૃઢપણે પાલન કરીને આપણા આત્માને આધ્યાત્મિક પ્રગતિ આપીએ.