ભગવાન મહાવીરની પાટ પરંપરામાં છઠ્ઠા આચાર્ય ભગવંત ભદ્રબાહુ નામના સ્વામીજી થઈ ગયા. એમની વાતો સમજવા જેવી છે. પ્રતિષ્ઠાનપુર નામના નગરમાં બે ભાઈઓ રહેતા હતા. ઉંમર તો નાની હતી, પણ બંનેને જ્ઞાન સંપાદન કરવાની તીવ્ર તાલાવેલી.
એવામાં એમના નગરમાં એક યશોભદ્રસૂરિજી નામના આચાર્ય ભગવંત પધાર્યા. જ્ઞાનમાં એમનો જોડો જડે નહીં એવા જ્ઞાનની સાથે ગંભીરતાનો ગુણ પણ જબરજસ્ત હતો. આ બેય ભાઈઓ એમના સંપર્કમાં આવ્યા. એમની પાસેથી ઘણું બધું જ્ઞાન મેળવ્યું. એમ કરતાં મહાત્માને અન્યત્ર વિહાર કરવાના દિવસો આવ્યા. બેય ભાઈઓ મૂંઝવણમાં છે, શું કરવું? બેય ભાઈઓએ નિર્ણય કર્યો, ગુરુદેવની પાસે જ રહેવું દીક્ષા લેવી.
ગુરુદેવને વિનંતી કરી અમારે આપની પાસે દીક્ષા લેવી છે. આપ કૃપા કરીને અમને દીક્ષા આપો. બંને ભાઈઓએ યશોભદ્રસૂરિજીની પાસે દીક્ષા લીધી. એક ભદ્ર બાહુમુનિ અને બીજી મુનિવરાહ બંને ભાઈઓ ગુરુની પાસે રહીને અધ્યયન, સ્વાધ્યાય, અધ્યાપન વગેરે કાર્ય કરે છે, પણ બેયમાં આંતરિક ફરક સ્પષ્ટ તરી આવે છે. ભદ્રબાહુમાં વિનય, વિવેક અને આંતરિક સમજની આભા દેખાય એવી વરાહમાં દેખાતી નથી, છતાં ગુરુ બંને એકસરખો ભાવ રાખીને જ્ઞાન આપી રહ્યા છે.
ગુરુનો જ્યારે અંતિમ સમય નજીક આવ્યો ત્યારે યોગ્યતા અને પાત્રતાનો વિચાર કરીને પોતાના ઉત્તરાધિકારી તરીકે આચાર્ય પદ ઉપર ભદ્રબાહુ સ્વામીને સ્થાપન કર્યા. ભદ્રબાહુ સ્વામીને આવી કોઈ લાલસા નથી, પણ પાત્રતા વગરની લાલસા સફળ ક્યાંથી થાય?
વરાહને દુઃખ થયું. ગુરુએ પક્ષપાત કર્યો, હવે મારે અહીં નથી રહેવું. જ્યારે સાચો વૈરાગ્ય ન હોય ત્યારે આવી ઘટના બને છે. વરાહે સંયમ વેષનો ત્યાગ કરી દીધો. જ્ઞાન તો હતું. નિમિત્ત શાસ્ત્રનો સારો અભ્યાસી હતો, પણ મન વિચલિત બની જાય ત્યારે ગણિતમાં ગરબડ થવાની સંભાવના રહે છે. એ તો રાજાનો આશ્રય લઈને રહે છે. રાજાનું જ્યોતિષ સંબંધી કામ કરે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે.
એમાં એક વાર રાજાને દીકરો થયો.
વરાહ તો હરખપદુડો થઈને દીકરાની કુંડલી બનાવી. વ્યવસ્થિત ફળાદેશ સાથેની કુંડલીમાં એના આયુષ્યની પણ ગણતરી કરીને જણાવી દીધું ઓછું નહીં પૂરા સો વર્ષનું. રાજા તો રાજી જ થાય ને. એ તો ખુશ થઈ ગયો. વરાહને સારામાં સારું ઈનામ આપ્યું.
રાજાને વધાઈ આપવા લોકો આવે. દૂરથી પણ આવે અને નજીકથી પણ આવે. રાજાને મુજરો કરે કોઈ વળી બક્ષિસ પણ આપે. રાજા અને પ્રજા બધા ખુશ થાય, પણ વરાહને આ સરસ ચાન્સ દેખાયો. આવો ચાન્સ ક્યારેય જવા દેવાય નહીં. દેશ-પરદેશના ઘણા માણસો રાજાને પુત્રજન્મની વધાઈ આપવા આવ્યા છે, પણ માત્ર એક જણ નથી આવ્યા અને તે છે ભદ્રબાહુ મારો દુશ્મન!
એક વાર રાજાની પાસે એ બેઠો હતો. ધીમે રહીને વાત વહેતી કરી. ભદ્રબાહુ કેવા છે. બધા આવ્યા પણ માત્ર એક જ જણ એવો છે આપના પુત્રના જન્મથી રાજી નથી. બધા જન્મની વધાઈ આપે તો એમણે પણ ના આવવું જોઈએ?
ભદ્રબાહુ સ્વામીજીએ વિચાર કર્યો હવે મારે જવું તો પડશે પણ વરાહની વાતનો જવાબ પણ આપવાનો રહેશે.
એ તો ગયા. રાજાને મળ્યા. ભદ્રબાહુ સ્વામીજી કંઈ પણ બોલે એ પહેલાં રાજાએ કહ્યું, આપતો સતત સજાગ રહેતા હો છો તો આટલા મોડા કેમ?
પ્રયોજન છે. જ્યારે બીજા કોઈ ન આવવાના હોય ત્યારે મારે જ આવવાનું હોય ને!
આપની વાતમાં સમજ ન પડી.
આપને સાચી વાત કરવા માટે જ મારે આજે આવવાનું થયું છે. મહારાજ! આપને સાચી વાત કરવી પડશે. આપના રાજકુમારનું માત્ર સાત દિવસનું આયુષ્ય છે અને એનું મરણ બિલાડાના કારણે થશે.
રાજાને ભદ્રબાહુ સ્વામીજીના જ્ઞાનનો પરિચય હતો. એમનું વચન એટલે પથ્થરની લકીર, પણ એનો ઉપાય તો કરવોને! એમણે પોતાના આખા નગરમાંથી બિલાડીમાત્રનો દેશનિકાલ કરી નાંખ્યો. એક પણ બિલાડી આપણા નગરમાં રહેવી ન જોઇએ.
સેવકોને આદેશ કર્યો છે. માણસોને કામે લગાડી દીધા છે. બિલાડી જુઓ કે તરત જ પાંજરામાં પૂરીને નગર બહાર દૂર દૂર મૂકીને આવો.
બાળકને ભોંયરામાં રાખેલું છે. ક્યાંયથી બિલાડીને આવવાની જગ્યા જ નથી રાખી. રાજા વિચારે છે, હવે ગુરુના વચનની કસોટી થવાની છે. બિલાડી આવશે નહીં અને કુંવર હસતો રમતો રહેશે.
નિયતિનો અપલાપ કરવાની કોઈની તાકાત હોતી નથી. એ તો જે સમયે જે થવાનું હોય એ થાય જ છે.
બારણાને બંધ કરવા માટે સ્ટોપરનો ઉપયોગ કરાતો હોય છે, એ સમયે `આગળિયો’ વપરાતો. અહીં પણ એવો આગળિયો હતો. એના આગળના ભાગમાં બિલાડીની આકૃતિ કોતરવામાં આવેલી. એ કેવી રીતે પડ્યો એ ખબર ના પડી, પણ પડ્યો અને પડ્યો પણ એના માથા ઉપર જ પડ્યો અને બાળકના કુમળા મસ્તકને વેધી નાંખ્યું. બાળક ત્યાંને ત્યાં મરણ પામ્યો એ દિવસ સાતમો હતો.
રાજા ગુરુજી પાસે પહોંચ્યો કહ્યું, આપની અડધી વાત સાચી પણ અડધી ખોટી પડી.
ગુરુજી કહે છે શું થયું?
રાજા જિનશત્રુ કહી રહ્યા છે, સાતમા દિવસે મરણ તો થયું, પણ આપે કહ્યા પ્રમાણે બિલાડીથી નહીં.
ભદ્રબાહુ સ્વામીએ કહ્યું જેના કારણે બાળકનું મરણ થયું એ સાધન લાવો. આપણે જોઈએ કે શેના કારણે થયું. લાવ્યા અને જોયું તો એના આગળના ભાગમાં બિલાડીનું મોઢું કોતરેલું હતું. રાજાને બતાવ્યું તો રાજાને પણ ગુરુજીના જ્ઞાન માટે માન થયું.
રાજા જિતશત્રુને ભદ્રાબાહુ સ્વામીજી માટેનો સદ્ભાવ અને સન્માન ઘણું વધી ગયું.
એમની પાસે આટલું-આવું સચોટ જ્ઞાન હોવા છતાં એ પોતાના સ્વાર્થ માટે એનો ઉપયોગ કરતા નહીં. આવા જ્ઞાનનો ઉપયોગ પરમાર્થ માટે કરાય તો જ એની ગરિમા સચવાતી હોય. રાજ્યમાં ભદ્રબાહુ સ્વામીજીની બોલબોલા વધવા માંડી.
વરાહના પેટમાં તેલ રેડાવા લાગ્યું. જેમ જેમ એમની આબરૂ ઘટાડવા હું મહેનત કરું છું એમ એમ એમની તો વધ્યા જ કરતી હોય છે.
વરાહને લોકોની પ્રશંસા મેળવવાનો ગાંડો શોખ હતો. પ્રશંસા મેળવવાની ઈચ્છા થાય એ સ્વાભાવિક છે, એના માટે યોગ્ય મહેનત કરવામાં પણ કશું ખોટું નથી હોતું, પણ બીજાની લાઈન નાની કરીને આપણી લાઈન મોટી કરવામાં ઘણીવાર આપણી લાઈન જ અદૃશ્ય થતી હોય છે.
વરાહે એકવાર એનું સ્ટેટમેન્ટ આપેલું છે. મેં આ એક ગોળ ચક્ર બનાવ્યું છે. એમાં બસો સાઠ (260) કિલોનું એક માછલું પડશે. એનો ચોક્કસ દિવસ પણ આપેલો. આવા સમાચાર પણ આખા નગરમાં વાયુવેગે પ્રસરી જાય. લોકોમાં એક હવા પ્રસરી ગઈ, ખરેખર આ માણસનું જ્યોતિષનું જ્ઞાન ગણિત વગેરે અદ્ભુત છે. આ સમાચાર કોઈ શ્રાવકે ભદ્રબાહુ સ્વામીજીને આપ્યા કે વરાહે આવી વાત ચાલુ કરી છે. આમા આપને શું તથ્ય લાગે છે?
શ્રાવકે પ્રશ્ન કર્યો એટલે એમણે પણ ગણિત માંડ્યું. ગ્રહ ચારનો અભ્યાસ કર્યો અને માથું ધુણાવ્યું. એ બોલ્યા એનું ગણિત તો જોરદાર છે, પણ થોડા માટે ચૂકી જાય છે.
પેલા શ્રાવકે પૂછ્યું શું થયું? માછલું પડવાનું તો ખરું કે નહીં? એમણે કહ્યું પડવાનું તો ખરું, પણ વજનમાં થોડું ઓછું. પાંચ કિલો વજન વાતાવરણના ઘર્ષણથી ઘટી જશે અને પવનના કારણે જે ચક્ર બનાવ્યું છે એની અંદર નહીં, પણ બહાર પડશે. હવે બેયની વાત ચર્ચાવા માંડી જ્યારે એક જ પ્રકારની પણ થોડા ઘણા ફેરફારવાળી વાત હોય ત્યારે લોકોની નજર હોય કે શું થાય છે.
પેલા માછલાને આકાશમાંથી પડવાનો સમય થયો ત્યારે માણસોનો મહેરામણ ઊભો થઈ ગયો હતો. લોકોને ઈન્તેજારી હતી, શું થાય છે એની જિજ્ઞાસા હતી. જ્યારે પડ્યું ત્યારે વ્યવસ્થિત માર્કિંગ ચાલુ થયું. ક્યાં પડ્યું? વજન પણ કરો કેટલું થાય છે?
વરાહના ચક્રની બહાર પડ્યું અને વજન પણ 260 નહીં પણ 255 કિલો વજન થયું.
વરાહ વિચાર કરે છે મારી સાથે આવું કેમ થાય છે? થોડા માટે રહી જવાય છે અને પાછળથી નાલેશી થાય છે આવું કેમ? પણ શું થાય? આપણી જેવી દાનત હોય એવી જ બરકત રહેવાનીને!
ભદ્રબાહુ સ્વામીજીએ પોતાની સાધના કરવાનો નિર્ણય કરેલો. જોકે, સાધના તો રોજ કરાતી હોય, પણ આ વિશિષ્ટ સાધના હતી. મહાપ્રાણ ધ્યાન એમાં સમય ઘણો પસાર થતો હોય અને લાંબા સમયની આ સાધના હોય.
સ્થૂળભદ્રજીને ચૌદ પૂર્વના અભ્યાસ કરવાનો હોય, સંઘના આદેશે એ ગયા. એમની સાથે બીજા પણ કેટલાક મહાત્માઓ હતા. એમને ભણાવે તો પોતે મહાપ્રાણ ધ્યાનની સાધના કરી ન શકે. એટલે એમણે કહ્યું મારી સાધનાના કારણે હું મહાત્માઓને ભણાવી શકીશ નહીં.
સંઘે ફરીને મહાત્માઓને મોકલ્યા કે આવી રીતે સંઘની આજ્ઞા ન માને એને શું કરવું જોઈએ?
એને સંઘ બહાર કરવો જોઈએ.
એમને તરત જ ખ્યાલ આવી ગયો. સંઘને વિનંતીના સૂરમાં કહ્યું, મહાત્માઓને અભ્યાસ માટે મોકલો.
અંતે એ સકલશ્રી સંઘના યોગ-ક્ષેમ કરતા સ્વર્ગે સિધાવ્યા. ભગવાન મહાવીરની પાટ પરંપરામાં થયેલા છઠ્ઠા ક્રમે રહેલા ભદ્રબાહુ સ્વામીજીને વંદન.