ગ્રેચ્યુઇટી ચૂકવવા માટે મુખ્ય નોકરીદાતા જ જવાબદાર છે : હસુભાઇ દવે
અગ્ર ગુજરાત, રાજકોટ
ભારતીય મજદૂર સંઘના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને મજૂર અગ્રણી હસુભાઈ દવેની યાદી જણાવે છે કે તાજેતરમાં મધ્યપ્રદેશ હાઈકોર્ટે સિમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા વિરુધ્ધ શંકર દાસ બૈરાગી તથા અન્યના કેઈસમાં ગ્રેચ્યુઈટી કાયદામાં વિવિધ કલમો અંગે વિસ્તૃત ચુકાદાઓના આધારે ચર્ચા કરી કોન્ટ્રાક્ટરો દર બે વર્ષે બદલાતા હોય તો ગ્રેચ્યુઈટી ચુકવવાની જવાબદારી મૂળ માલિકની છે. ગ્રેચ્યુઈટી મેળવવા માટે કોઈ લીમીટેશન નથી તેવો ઐતિહાસિક ચૂકાદો અરજદાર કામદારોની તરફેણમાં આપેલ છે.
ગ્રેચ્યુઈટી ચુકવણી અધિનિયમ ૧૯૭૨-કલમ ૪(૧), ૭(૨) અને ૭(૩)-કોન્ટ્રાકટ મજૂર (નિયમન અને સમાપ્તિ) અધિનિયમ, ૧૯૭૦-કલમ ૨૧(૪)-વેતન અધિનિયમ, ૧૯૩૬-કલમ ૨(vi)-ગ્રેચ્યુઈટી ચુકવણી-જવાબદારી અંગે વિવાદ-કન્ટ્રોલિંગ ઓથોરીટી તથા એપેલેટ ઓથોરિટીએ કર્મચારીઓનો દાવો મંજૂર કર્યો-આપત્તિ ઉઠાવવામાં આવી કે કર્મચારીઓ કોન્ટ્રાકટરો મારફતે કામ કરતાં હતા અને દાવો ૨ થી ૩ વર્ષ પછી કરવામાં આવ્યો-નિર્ણય વિલંબના આધારે કર્મચારીઓનો દાવો નામંજૂર કરી શકાય નહી-કર્મચારીઓ ૨૦ વર્ષ સુધી સતત કામ કરતાં રહ્યાં જ્યારે કોન્ટ્રાક્ટરો દર વર્ષે બદલાતા રહ્યાં-તેમાંથી સ્પષ્ટ થાય છે કે કર્મચારીઓ વાસ્તવમાં અરજદાર હેઠળ કામ કરતાં હતાં-કોન્ટ્રાક્ટ માત્ર ઢાંક-પીછોડો (camouflage) હતો-મૂળ નોકરીદાતા તરીકે અરજદારને, જો કોન્ટ્રાક્ટર ચૂકવણી ન કરે તો, કર્મચારીઓને ચૂકવેલ રકમ વસૂલ કરવાની સત્તા છે-કન્ટ્રોલિંગ ઓથોરીટી દ્વારા વ્યાજ ચુકવણી અંગે કોઈ ભૂલ નથી-રોજગાર છોડવાની તારીખથી લઈને વાસ્તવિક ચુકવણી/જમા તારીખ સુધી વ્યાજ ચૂકવવાનો આદેશ યોગ્ય-હસ્તક્ષેપ કરવાને કોઈ કારણ નથી-બધી અરજીઓ ફગાવાઈ.
એક એ કે આ બાબત વિવાદિત નથી કે કોન્ટ્રાકટરે અરજદારોને ગ્રેચ્યુઈટી ચૂકવી નથી, ત્યારે અરજદાર, જે ૧૯૭૦ના અધિનિયમ હેઠળ મુખ્ય નોકરીદાતા છે, તે આ આપત્તિ ઉઠાવી શકતાં નથી કે કોન્ટ્રાક્ટરને પક્ષકાર બનાવ્યા વિના કોઈ આદેશ આપી શકાય નહીં કારણ કે કર્મચારીઓના કામનો રેકોર્ડ અરજદાર પાસે જ હોય છે, તેથી કોન્ટ્રાક્ટર પર જવાબદારી મૂકવાની વાત આવે ત્યારે, કરારની કલમ ૨૧ તથા અધિનિયમની કલમ ૨૧(૪) મુજબ અરજદારને કોન્ટ્રાક્ટર પાસેથી રકમ વસૂલ કરવાની સત્તા છે. તેથી ભલે જવાબદારી કોન્ટ્રાકટર પર હોય, છતાં કામદારોનો દાવો ફક્ત કોન્ટ્રાક્ટરને પક્ષકાર ન બનાવવાના આધારે નામંજૂર કરી શકાય નહીં.
મજૂર કાયદાઓ કલ્યાણકારી સ્વરૂપના છે. વેતનની વ્યાખ્યા માત્ર પગાર સુધી મર્યાદિત નથી પરંતુ નિવૃતિ લાભોનો પણ સમાવેશ કરે છે. તેથી, ૧૯૭૦ના અધિનિયમ હેઠળ મુખ્ય નોકરીદાતા તરીકે અરજદારો કર્મચારીઓને ‘વેતન’ ચૂકવવા જવાબદાર છે, જેમાં માત્ર પગાર નહી પરંતુ નિવૃતિ લાભો પણ સમાષ્ટિ છે. જોકે તેઓ આ રકમ કોન્ટ્રાકટર પાસેથી પાછી વસૂલ કરી શકે છે, જો કોન્ટ્રાકટર જવાબદાર ઠરે.
કલમ ૭(૩) મુજબ, ગ્રેચ્યુઈટી અરજીની તારીખથી નહીં પરંતુ રોજગાર છોડવાની તારીખથી ચૂકવવાની બને છે અને તે ૩૦ દિવસમાં ચૂકવવી જરૂરી છે. તેથી, કન્ટ્રોલિંગ ઓથોરિટીએ રોજગાર છોડવાની તારીખથી લઈને વાસ્તવિક ચુકવણી/જમાં તારીખ સુધી વ્યાજ આપવાનો આદેશ આપ્યો છે. તેમાં કોઈ ભૂલ નથી.
હસુભાઈ દવેએ અંતમાં જણાવેલ છે કે મધ્યપ્રદેશના આ ચુકાદાથી કામદારોને કાયદેસર હક્કની ગ્રેચ્યુઈટીની રકમ મળશે. માલિકો અને કેઈસ ચલાવનાર ઓથોરીટીને માર્ગદર્શકરૂપ બનશે. ખોટો ખર્ચ અને સમયનો બચાવ થશે.


