500 ટકા રીટર્નની આપી હતી લાલચ : અલગ અલગ 12 એકાઉન્ટ મારફત 20 જેટલા આર્થિક વ્યવહારો કરાવડાવી નાણા ગપચાવ્યા
રાજકોટના મોટી ટાંકી ચોક વિસ્તારમાં રહેતા અને બીએસએનએલમાં ફરજ બજાવતા મહિલા કર્મચારીને ફેસબુક મારફત શેરબજારમાં વધુ નાણા કમાવા અંગેની જાહેરાત જોવા મળી હતી. તેમાં ક્લિક કરતા જ આ મહિલા એક વોટ્સઅપ ગ્રુપમાં એડ થઈ ગયા હતા. બાદમાં અલગ અલગ સ્કીમો આપવામાં આવી હતી. તેમાં ૫૦૦ ટકા રિટર્નની લાલચ આપતા મહિલા કર્મચારીને લાલચ જાગી હતી. બાદમાં ગઠીયાઓએ એક અલગ જ એકાઉન્ટ ખોલ્યું હતું અને તેમાં મહિલા કર્મચારીના રોકવામાં આવેલા નાણાની નોંધ કરવામાં આવતી હતી. સાથે તેઓનો બેનિફિટ પણ તેમાં બતાવવામાં આવતો હતો અને તેમ કરી અલગ અલગ બેંક એકાઉન્ટમાં 55 લાખ જમા કરાવ્યા હતા. છેલ્લે ત્રણ કરોડ કમાયા હોય તેવો મેસેજ મુકતા નાણા ઉપાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ નાણા ઉપડતા ન હતા. જેથી ટોળકીએ મહિલાને વોટ્સઅપ ગ્રુપમાંથી બહાર કરી દીધા હતા. અતિ મહિલાને તેમની સાથે છેતરપિંડી થયેલ હોવાનું માલુમ પડતા મામલો સાયબર ક્રાઈમ સુધી પહોંચ્યો છે
જાણવા મળતી વિગતો મુજબ મોટી ટાંકી ચોક પાસે રહેતા અને બીએસએનએલમાં જુનિયર ટેલિકોમ ઓફિસર તરીકે ફરજ બજાવતાં બેલાબેન સુરેશચંદ્ર વેધ (ઉ.વ.39)એ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અલગ અલગ ૧૨ બેંકના ખાતા નંબર આપ્યા હતા. અને જણાવ્યું હતું કે, ગત તા.5મેના તેઓના ફેસબુકમાં એક જાહેરાત જોવા મળી હતી, જેમાં સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરી ત્રણ મહિનામાં 50 ટકા રિટર્નની લાલચ આપવામાં આવી હતી, તે જાહેરાત જોઈને બેલાબેને જાહેરાતની લીંકમાં ક્લીક કરતાં પ્રાઈમ વિઆઇપી બેંક નામના વ્હોટ્સેપ ગૃપમાં તે જોડાઈ ગયા હતા અને બેલાબેન સાથે ચેટીંગ કરી અલગ અલગ 20 આર્થિક વ્યવહાર કરાવી તેમની પાસેથી રૂ.55,00,594 પડાવી લીધા હતા.
બેલાબેનને વિશ્વાસ અપાવવા ગઠીયાઓએ એક વખત તેમના બેંક એકાઉન્ટમાં રૂ.1.94 લાખ જમા કરાવ્યા હતા, આ ઉપરાંત ગઠીયાઓએ તૈયાર કરેલી એપ્લીકેશનમાં બેલાબેનને એડ કરવામાં આવ્યા હતા. જેમાં તેમના એકાઉન્ટમાં રૂ.૩ કરોડ નફારૂપે જમા હોવાનું બતાવવામાં આવ્યું હતું. આ જોઈને બેલાબેન ઉત્સાહમાં આવી ગયા હતા. એક સમયે બેલાબેને તે રકમ ઉપાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે રકમ ટ્રાન્સફર થતી ન હતી. આથી વારંવાર પ્રયત્ન કરાતા તેમને વ્હોટ્સેપ ગૃપમાંથી દૂર કરી દેવાયા હતા. આથી અગાઉ આવેલા નંબર મારફત સંપર્ક કરવામાં આવ્યો હતો. છતાં પણ આ ઠગ ટોળકીનો સંપર્ક થતો ન હતો.આથી બેલાબેનને તેમની સાથે છેતરપિંડી થયેલ હોવાનું માલુમ પડતા સાયબર ક્રાઇમ પોલીસ મથકમાંના પી.આઈ ઝનકાંતને તમામ બાબતોથી વાકેફ કર્યા હતા. આથી તેમણે બેલાબેનની ફરિયાદ પરથી ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.