સાઈડ લાઇન થઈ ગયેલા નેતાઓ અને મહત્વાકાંક્ષી નેતાઓએ ખરા સમયે ફાયર બ્રિગેડનું કામ નથી કર્યું !
રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનો વિવાદ છેલ્લા એક અઠવાડિયાથી શમતો નથી. આ અંગે ભારતીય જનતા પાર્ટીની ટોચની નેતાગીરીને એક ગુપ્ત અહેવાલ મોકલવામાં આવ્યો છે. જેમાં આ વિવાદ વકારવા પાછળ ક્યાંક ને કયા પાર્ટીમાંથી સાઈડ લાઇન થયેલ ગયેલા નેતાઓ અને મહત્વાકાંક્ષી નેતાઓનો મહત્વની ભૂમિકા હોવાનું જણાવ્યું છે. ભાજપનું મીડિયા સેલ રાજકોટમાં ખૂબ સ્ટ્રોંગ છે છતાં વિવાદના પ્રારંભે રાજકોટ ભાજપના મીડિયા સેલએ અપેક્ષિત ભૂમિકા નિભાવી ન હોવાનું કહેવાય છે. આ ઉપરાંત ચોક્કસ નેતાઓએ પણ અપેક્ષિત ભૂમિકા નિભાવી નથી.
આ આખોય વિવાદ હજુ શમતો નથી. જો કે પક્ષના ગુપ્ત અહેવાલમાં એવુ જાણવા મળ્યુ છે કે ઘણાં વખતથી હાંસિયામાં ધકેલાયેલા ભાજપના નેતાઓ જ આ આખાય પ્રકરણમાં વિલનની ભૂમિકા ભજવી રહ્યા છે. આ જાણીને પ્રદેશ ભાજપના નેતાઓ ચોંકી ઉઠયા છે.
ભાજપમાં પક્ષપલ્ટુઓ માટે લાલજાજમ પાથરવામાં આવી છે. એટલુ જ નહીં જે રીતે રોજ રોજ ટોળેટોળા કોંગ્રેસીઓને કેસરીયો ખેસ પહેરાવી ભાજપમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે તે જોતાં ખુદ ભાજપનો એક વર્ગ પ્રદેશ હાઇકમાન્ડથી ભારોભાર નારાજ છે. તેનું કારણ એ છે કે પક્ષ માટે પરસેવો પાડનારા હવે હાંસિયામાં મૂકાયા છે. જયારે પક્ષપલ્ટુઓએ ભાજપ પર કબ્જો જમાવ્યો છે.
રૂપાલાએ ટીપ્પણી કરતાં વિવાદ થયો છે ત્યારે એવુ જાણવા મળ્યુ છે કે સાઇડ લાઇન કરાયેલા નેતાઓ જ રૂપાલા વિવાદની આગ પર કેરોસીન છાંટી રહ્યા છે. તેઓ ઇચ્છે છે કે આ વિવાદ વધુને વધુ વકરે અને ભાજપને ચૂંટણીમાં નુકશાન થાય. બીજી તરફ આ વિવાદ વકરતાં ખુદ દિલ્હીથી અસંતુષ્ટો પર નજર રાખવામાં આવી રહી છે. રજેરજની માહિતી દિલ્હી મોકલવામાં આવી રહી છે. મહતવની વાત એ છે કે નારાજ કેટલાય નેતાઓ આ મામલે હરફ ઉચ્ચાર તૈયાર નથી.
સૂત્રોનું કહેવું છે કે લોકસભાની ચૂંટણી બાદ હાઇકમાન્ડ અસંતુષ્ટોના રાજકીય હિસાબ-કિતાબ કરશે. હાલ તો આ મામલો દિલ્હી દરબારમાં પહોંચ્યો છે. આખાય પ્રકરણને શાંત પાડવા ખુદ હાઇકમાન્ડે તખ્તો તૈયાર કર્યો છે.


