મારા મોત માટે અમુલ ઇન્ડસ્ટ્રીઝના સંચાલકો જવાબદાર છે : સ્યૂસાઇડ નોટ
જયાં સુધી ગુનો ન નોંધાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારનો ઇન્કાર કરી દીધો હતો
અગ્ર ગુજરાત, રાજકોટ
છેલ્લા કેટલાક સમયથી અમુલ ઇન્ડસ્ટ્રીઝના કામદારોને પગાર નહી મળતાં આર્થિક સ્થિતિમાં સપડાયેલા કામદારો એક પછી એક આત્મહત્યા જેવું ગંભીર પગલુ ભરી રહ્યાં છે. અગાઉ પણ એક કામદારે આપઘાત કર્યા બાદ વધુ એક કામદારે પરિવારની માફી માંગી અમુલ ઇન્ડસ્ટ્રીઝના સંચાલકો સામે પગલા લેવાની માંગણી સાથે સ્યુસાઇડ નોટ લખી આપઘાત કર્યો હતો. જેના આધારે ભક્તિનગર પોલીસે અમુલ ઈન્ડસ્ટ્રીઝના માલિકો સુરેશ સંતોકી, નિતીન સંતોકી ઉપરાંત અન્ય ભાગીદારો વિરૃધ્ધ આપઘાતની ફરજ પાડવાની કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ આગળ ધપાવી છે.
ગઇકાલે સવારે હરેશભાઈની તેના કોઠારીયા મેઈન રોડ પરની સિતારામ સોસાયટી શેરી નં.૭માં આવેલા મકાનમાંથી ગળાફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. જાણ થતાં અમુલ ઈન્ડસ્ટ્રીઝના કામદારો હોસ્પિટલે દોડી આવ્યા હતા. તેમણે જયાં સુધી કારખાનાના માલિકો સામે ગુનો ન નોંધાય ત્યાં સુધી લાશ સંભાળવાનો ઈન્કાર કરી દીધો હતો. આખરે બપોરે ૩ વાગ્યે ભક્તિનગર પોલીસે ગુનો નોંધવાની ખાતરી આપતા લાશ સંભાળી અંતિમ સંસ્કાર માટે રવાના થયા હતા. જેણે આપઘાત કર્યો તે હરેશભાઈ છેલ્લા રપ વર્ષથી અમુલ ઈન્ડસ્ટ્રીઝમાં લેથ મશીન પર કામ કરતા હતા. તેને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. ગઈકાલે તેના પત્ની સંતાનો સાથે પિયર હલેન્ડા ગામે ગયા હતા. પાછળથી ઘરે હરેશભાઈ એકલા હતા. જેથી ગઈકાલે નજીકમાં જ રહેતા નાનાભાઈ દિપકના ઘરે જમવા માટે ગયા હતા.
ગઇકાલે સવારે દિપકભાઈએ નાસ્તો કરવા માટે કોલ કર્યા હતા. પરંતુ હરેશભાઈએ રીસીવ નહીં કરતા તેના મકાનના ઉપરના ભાગે ભાડુઆત તરીકે રહેતા દશરથસિંહ જાડેજાને તપાસ કરવા કહ્યું હતું. જેણે તપાસ કરતાં હરેશભાઈ ઘરમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં લટકતા મળી આવ્યા હતા. જેથી દિપકભાઈને જાણ કરતા તે અન્ય પરિવારના સભ્યો સાથે દોડી આવ્યા હતા. પાડોશીઓ પણ ભેગા થઈ ગયા હતા. તત્કાળ પોલીસ અને ૧૦૮ને જાણ કરી હતી. ૧૦૮ના તબીબે હરેશભાઈને મૃત જાહેર કર્યા બાદ ભક્તિનગર પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવીલમાં ખસેડયો હતો. તપાસ કરતા હરેશભાઈ પાસેથી એક સ્યુસાઈડ નોટ મળી આવી હતી.
જેમાં તેણે લખ્યું હતું કે પરમ પુજય બા-બાપુજી તથા ઉમિયા (પત્ની), દિપક, ડિમ્પલ, પ્રતિક્ષા, નિષ્ઠા, દેવેન મને માફ કરજો, મારાથી ભૂલમાં કંઈ કહેવાય ગયું હોય તો. મારા મરવાનું કારણ એક જ છે, તેના જવાબદાર અમુલ ઈન્ડસ્ટ્રીઝના માલિકો સુરેશ સંતોકી અને નિતીન સંતોકી ઉપરાંત અન્યો ભાગીદારો છે, બસ મને માફ કરશો.
આ સ્યુસાઈડ નોટ ભક્તિનગર પોલીસે કબ્જે લીધી હતી. બીજી તરફ હરેશભાઈના મૃતદેહનું સિવિલમાં પોસ્ટમોર્ટમ થયા બાદ પરિવારના સભ્યો અને તેના સાથી કર્મચારીઓએ જયાં સુધી ગુનો ન નોંધાય ત્યાં સુધી મૃતદેહ સંભાળવાનો ઈન્કાર કરી દીધો હતો. આખરે બપોરે પોલીસે ગુનો દાખલ કરતાં મૃતદેહ સંભાળી લીધો હતો. પોલીસે હરેશભાઈના ભાઈ દિપકભાઈની ફરિયાદ પરથી ગુનો દાખલ કર્યો છે.
જેમાં જણાવાયું છે કે લાંબા સમયથી તેના ભાઈ અને અન્ય કામદારોને કારખાનાના માલિકોએ પોતાની વચ્ચેના અંદરો-અંદરના વિવાદને કારણે પગાર, પીએફ ઉપરાંત, ઈએસઆઈના ફાળાનું ચુકવણું કર્યું ન હતું. એટલું જ નહીં તેના ભાઈની કિન્નાખોરી રાખી ર હજાર કિલોમીટર દૂર તમિલનાડુમાં આવેલા બીજા યુનિટમાં બદલી કરી નાખી હતી. લાંબા સમયથી પગાર નહીં મળતા તેનો ભાઈ આર્થિક ભીંસમાં આવી ગયો હતો. જેમાંથી બહાર નીકળવાનો કોઈ માર્ગ નહીં દેખાતા આખરે અંતિમ પગલું ભરી લીધું હતું.