- વિશાલા બરફની ફેકટરીની પાસેની ઘટના
- આગમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ
- આગ વધુ ન ફેલાય તે માટે ટીમ પહોંચી
અમદાવાદમાં મોટી આગની ઘટના સામે આવી છે. દિવાળી પહેલાં અમદાવાદના રમકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. જેમાં ફાયર બ્રિગેડની 15 ગાડી ઘટના સ્થળે પહોંચી છે. તેમજ લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. હાલ ચીફ ફાયર ઓફિસર સહિત અન્ય અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે. તેમજ આ આગમાં ફાયર વિભાગના ત્રણ જવાનો દાઝ્યા હોવાની માહિતી સામે આવી છે.
આ અંગેની માહિતી અનુસાર, અમદાવાદના વિશાલા વિસ્તારમાં આવેલા રમકડાના ગોડાઉનમાં અચાનક જ આગ ભભૂકી ઉઠી છે. જેમાં આસપાસના ગોડાઉનમાં આગ ન પ્રસરે તેના માટે પણ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. અત્યાર સુધીમાં 15 જેટલી ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. વિશાલા બરફની ફેકટરીની પાસે ઘટના બની છે.
જુહાપુરાના રમકડાના ગોડાઉનમાં આગ લાગતા બની હતી. એટલું જ નહીં આગ પર કાબૂ લાવતા સમયે ત્રણેક જેટલા ફાયર કર્મચારીઓ દાઝ્યા છે. તેમજ 15 જેટલી ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. તેમજ ત્રણ ફાયર કર્મચારીઓને સારવાર અર્થે SVP હોસ્પિટલ ખસેડાયા છે.
સુરેન્દ્રનગરમાં સવારે લાગી હતી આગ
આ અગાઉ વહેલી સવારે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં આવેલા રાજકમલ ચોકમાં દુકાનોમાં આગ લાગી ગઈ હતી. જેમાં એક સાથે 15 થી વધુ દુકાનોમાં આગની ઘટના સામે આવી છે. જે પછી ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. હાલ ફાયર ફાઇટરોની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. આ ભીષણ આગને કારણે સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ છવાયો છે.


