- પ્રોફેશનલ વિઝા મેળવનાર વિદેશી શ્રમિકો માટે વેતનની મર્યાદા વધારવામાં આવી
- બ્રિટને વિદેશી કર્મચારીઓ માટે વિઝા નિયમો કડક કર્યા
- બ્રિટિશ સરકારનાં આ નિર્ણયને કારણે ભારતીયોને માઠી અસર થશે
બ્રિટિશ સરકારે વિદેશી કર્મચારીઓ અને કામદારોની સંખ્યા ઘટાડવા માટે અને તેનાં પર નિયંત્રણ રાખવા માટે વિઝા નિયમો વધુ કડક કર્યા છે. જેમાં પ્રોફેશનલ વિઝા મેળવનાર વિદેશી શ્રમિકો માટે વેતનની મર્યાદા વધારવામાં આવી છે. આ ઉપરાંત બ્રિટન આવનાર વિદેશી કામદારો કે કર્મચારીઓ તેમની સાથે ડિપેન્ડન્ટ તરીકે પરિવારનાં સભ્યોને લાવી શકશે નહીં. બ્રિટિશ સરકારનાં આ નિર્ણયને કારણે ભારતીયોને માઠી અસર થશે. દર વર્ષે હજારો ભારતીયો યુકે જઈ રહ્યા છે તેમને હવે સીધી અસર થશે. બ્રિટનનાં ગૃહ સચિવ જેમ્સ ક્લેવરલી દ્વારા બ્રિટનની સંસદનાં નીચલા ગૃહમાં આ જાહેરાત કરાઈ હતી. બ્રિટન સહિત યુરોપમાં હાલમાં ભારે આર્થિક મંદી ચાલી રહી છે. આથી વધુ બોજો ન પડે તે માટે આ પ્રકારના પગલાં લેવામાં આવી રહ્યા છે.
વેતનની મર્યાદા 26,200 પાઉન્ડથી વધારીને 38,700 બ્રિટિશ પાઉન્ડ કરાઈ
નવી જોગવાઈઓ મુજબ સ્વાસ્થ્ય અને આરોગ્યની દેખભાળ કરવા માટેનાં વિઝા હેઠળ ડૉકટરો હવે તેમની સાથે પરિવારનાં કોઈ સભ્યને સાથે લઈ જઈ શકશે નહીં. કુશળ શ્રમિકો કે જેઓ બ્રિટિશ વિઝા હેઠળ યુકે આવવા માંગે છે તેવા વિઝા અરજદારો માટે વેતનની મર્યાદા હાલ 26,200 પાઉન્ડ છે તે વધારીને 38,700 બ્રિટિશ પાઉન્ડ કરવામાં આવી છે. ફેમિલી વિઝા કેટેગરીમાં આરજદારો માટે પણ વેતનની આ મર્યાદા લાગુ પડશે. જે હાલ 18,600 પાઉન્ડ છે. ક્લેવરલીએ કહ્યું હતું કે બ્રિટનની વિઝા નીતિ નિષ્પક્ષ, સુસંગત અને કાયદેસર તેમજ ટકાઉ હોવી જોઈએ જેથી તેમાં કેટલાક ફેરફાર કરાયા છે.
વિઝા માટે ભારતીયોનો દબદબો
બ્રિટનનાં વિઝા લેવામાં ભારતીયોનો દબદબો રહ્યો છે. ભારતીયો દ્વારા વિઝા લેવામાં સ્કિલ્ડ વર્કર્સની સાથે મેડિકલ પ્રોફેશનલ અને વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે. કુશળ શ્રમિક અરજદારોમાં ગયા વર્ષે ફક્ત 9 ટકાનો વધારો જોવા મળ્યો હતો જ્યારે આરોગ્ય અને દેખભાળને લગતા વિઝામાં 135 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. જેમાં ભારતીય અરજદારોનો હિસ્સો 76 ટકા હતો.
યુકેમાં 6,72,000 માઈગ્રન્ટસ
યુકેમાં એક અંદાજ મુજબ છેલ્લા કેટલાક વર્ષોમાં 6,72, 000 માઈગ્રન્ટસ હોવાનું જાણવા મળે છે. સપ્ટેમ્બર સુધીમાં સ્કિલ્ડ વર્કર્સ વિઝા મેળવનારાઓની સંખ્યા આ વર્ષે ઘટીને 18107 થઈ હતી જે 2022માં 20360 હતી. જો કે 43 ટકા સ્ટુડન્ટ વિઝા આપવામાં આવ્યા હતા. સપ્ટેમ્બર 2023નાં અંતે ભારતીય નાગરિકોને 1,33, 237 સ્પોન્સર્ડ સ્ટુડન્ટ વિઝા આપવામાં આવ્યા હતા. જો કે ડિપેન્ડન્ટસ વિઝાની સંખ્યા વધીને 43,445 થઈ હતી. બ્રિટનની એવી યોજના છે કે વિદ્યાર્થીઓ તેમજ સ્ટુડન્ટ ડિપેન્ડન્ટસની સંખ્યામાં ઘટાડો કરીને ભવિષ્યમાં 3 લાખથી વધુ લોકો બ્રિટન ન આવી શકે તેવી નીતિ કે પેકેજ ઘડવામાં આવશે.


