- ટ્રેનના ટ્રેક પર 10 સિંહોને ટ્રેનના લોકોપાયલોટે બચાવ્યા
- પાયલોટે ઈમરજન્સી બ્રેક મારી દેતા સિંહોના જીવ બચ્યા
- સિંહનું ટોળુ શિકારની શોધમાં રેલવે ટ્રેક સુધી પહોંચ્યું
ભાવનગર રેલ્વે ડિવિઝનના લોકો પાયલોટે ઈમરજન્સી બ્રેક લગાવીને 10 સિંહોને ટ્રેનની અડફેટે આવતા બચાવ્યા છે, આજે વહેલી સવારે પીપાવાવ પોર્ટ નજીક રેલ્વે ટ્રેક ઉપરથી પસાર થતા 10 સિંહોને જોઇને ટ્રેનના લોકોપાયલોટે સમયસર ટ્રેનને બ્રેક મારીને સિંહોના એક ગ્રુપનો જીવ બચાવ્યો હતો.
લોકો પાયલોટે કર્યુ મોટુ કામ
પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝન દ્વારા સિંહો, વન્યજીવોના સંરક્ષણ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મંડળના નિર્દેશો મુજબ, ટ્રેનોનું સંચાલન કરતા લોકોપાયલોટ નિર્ધારિત ગતિનું પાલન કરે છે અને વિશેષ સાવધાની સાથે કામ કરી રહ્યા છે. ભાવનગર ડિવિઝનના સિનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા અનુસાર, 17 જૂન, 2024ના રોજ સવારે, લોકોપાયલોટ મુકેશ કુમાર મીના પીપાવાવ પોર્ટ સ્ટેશનથી પીપાવાવ પોર્ટ સાઈડિંગ તરફ માલગાડ઼ી લઈ જતા હતા ત્યારે સિંહોને ટ્રેક પર બેઠેલા જોયા અને તાત્કાલિક ઇમરજેન્સી બ્રેક લગાવીને ટ્રેનને રોકી દીધી.
ડિવિઝનલ ઓફિસ કંટ્રોલને જાણ કરી
થોડીવાર રાહ જોયા પછી તેમણે જોયું કે બધા સિંહો ધીમે ધીમે પાટા પરથી ખસી ગયા. સિંહોની કુલ સંખ્યા 10 હતી. સિંહોને ટ્રેક પરથી ખસી ગયા પછી લોકો પાયલોટ દ્વારા ટ્રેનને પીપાવાવ પોર્ટ સાઇડિંગ તરફ લઈ જવામાં આવી હતી. લોકો પાયલોટે આ અંગે ડિવિઝનલ ઓફિસ કંટ્રોલને જાણ કરી હતી.
લોકોપાયલોટને અપાઈ છે સ્પેશિયલ સૂચના
પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝન દ્વારા સિંહોને ટ્રેનની અડફેટે આવતા બચાવવા માટે વિવિધ પગલા લેવામાં આવ્યા છે. ડિવિઝનલ રેલવે મેનેજર રવીશ કુમારે જણાવ્યું હતું કે ડિવિઝન દ્વારા સ્પીડ કંટ્રોલ માટે લોકો પાયલોટને કડક સૂચના આપવામાં આવી છે. તેમને ઢસાથી પીપાવાવ, ગાધકડાથી વિજપડી, રાજુલા સિટીથી પીપાવાવ પોર્ટ અને રાજુલાથી મહુવા સેક્શન જેવા વનવિસ્તારોમાં ખાસ કાળજી રાખવા અને હોર્ન વગાડવા અને ઝડપ મર્યાદા નિયંત્રણમાં રાખવા સૂચનાઓ આપવામાં આવી છે, જેનું લોકો પાઇલોટ્સ દ્વારા પાલન કરવામાં આવી રહ્યું છે.સિંહો રેલવે ટ્રેકની નજીક હોવાની સ્થિતિ જાણવા મળે છે ત્યારે રેલવે પ્રશાસન દ્વારા સાવચેતીના આદેશો જારી કરવામાં આવે છે. રેલવે ટ્રેક નજીક સિંહોની હિલચાલ પર વન વિભાગ અને રેલવે પ્રશાસન દ્વારા બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે.


