- દૂર દૂરથી શ્રાદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા ચાલતા ધામા પહોંચે છે
- ચૈત્ર વદ 13ના રોજ મા શકિત અંતર્ધ્યાન થયા હોવાથી આ દિવસે અહીં લોકમેળો અને હવનનું આયોજન કરાય છે
- માતાના ચરણે શીશ ઝુકાવવા સમગ્ર રાજયમાંથી ઝાલા દરબારો ઉમટી પડે છે
ક્ષત્રિય કુળના ઝાલા વંશજોના આદ્યશકિત માં શકિતનું પાટડી તાલુકાના ધામામાં વિશાળ મંદીર આવેલુ છે. ધામાને શકિતધામ તરીકે પણ ઓળખાય છે. ચૈત્ર સુદ-13ના રોજ માં શકિત ધામામાં વર્ષો પહેલા અંતરધ્યાન થયા હતા. ત્યારે દર વર્ષે ચૈત્ર માસની વદ-13ના રોજ અહીં લોકમેળો ભરાય છે. અને માતાના ચરણે શીશ ઝુકાવવા સમગ્ર રાજયમાંથી ઝાલા દરબારો ઉમટી પડે છે. ઝાલાવાડમાં અગાઉ ક્ષત્રીય ઝાલા દરબારોનું રાજ હતુ. આથી જ આ પ્રદેશને ઝાલાવાડ તરીકે પણ ઓળખાય છે. તેમાં પણ ઝાલા કુળના વંશજોની આસ્થા સમાન માં શકિતનું ધામ એટલે ધામા ગામ પાટડી તાલુકાના છેવાડે આવેલુ ગામ છે. વર્ષો પહેલા માં શકિત ચૈત્ર માસની 13ના રોજ અંતરધ્યાન થયા હતા. ત્યારથી દર વર્ષે ધામામાં માતાજીની અંતરધ્યાન તીથી ઉજવવામાં આવે છે. આ દિવસે સમગ્ર રાજયના ઝાલા દરબારો માતાજીના દર્શન કરવા ધામા ઉમટી પડે છે. ચૈત્ર સુદ-13ના રોજ પ્રથમ આરતીને મુખ્ય આરતી પણ માનવામાં આવે છે. ત્યારે સોમવારે તેરસના રોજ આરતીમાં લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉપસ્થીત રહ્યુ હતુ. માતાજીના દ્વારે ચાલતા આવવાની પણ પરંપરા છે. પોતે રાખેલી માનતા માતાજી પુર્ણ કરે પછી ચૈત્ર માસની તેરસના દિવસે ભકતો તે માનતા પુરી કરે છે. જેમાં પગપાળા ચાલવા ઉપરાંત માતાજીનો ગરબો માથે લઈને આવવુ, આંખે પાટા બાંધીને આવવુ, ગળામાં નાળીયેર લગાવીને આવવુ, અલગ-અલગ પ્રકારનું વજન ઉંચકીને માતાજીની ટેક પુરી કરવામાં આવે છે. ધામામાં સોમવારના રોજ માં શકિતના અંતરધ્યાન તીથીની ઉજવણી પ્રસંગે ભવ્ય લોકમેળો પણ યોજાય છે. જેમાં મહીલાઓ પરંપરાગત પોષાક પહેરીને તથા પુરૂષો માથે સાફા બાંધીને મેળાને મહાલે છે.
એક રાતમાં 2300 ગામના તોરણ બાંધ્યા હતા
પાટણના રાજા કરણદેવને બાબરાભુતનો ખુબ જ ત્રાસ હતો. રાજા હરપાળદેવ અને શકિતમાતાએ પાટણના રાજાને બાબરા ભુતના ત્રાસથી બચાવી તેને વશ કર્યો હતો. ત્યારે રાજા કરણદેવે આપેલા વચન મુજબ હરપાળદેવ અને શક્તિ માતાએ એક રાતમાં 2300 ગામમાં તોરણ બાંધ્યા હતા. જેમાં પહેલુ તોરણ પાટડી ગામના ટોડલે અને છેલ્લુ તોરણ હળવદના દીઘડીયા ગામે દિ ઉગતા પહેલા બાંધ્યુ હતુ. આથી તેઓ 2300 ગામના ધણી પણ કહેવાયા હતા. શકિતમાતા વિક્રમ સંવત 1171ના ચૈત્ર વદ-13ના રોજ ધામામાં ધરતીમાં સમાઈ અંતરધ્યાન થયા હતા. ત્યારથી આ દિવસનું ઝાલા કુળના વંશજોમાં ભારે મહત્વ રહેલુ છે.


