- લાભ પાંચમના દિવસને લઈને ભીડ
- અંબાજીમાં યાત્રાળુઓનો ધસારો
- 6 લાખ ભાવિકોએ કર્યા માતાજીના દર્શન
અંબાજી મંદિરમાં લાભ પાંચમ પહેલા ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. મહત્વનું છે કે દિવાળીના તહેવારોના પગલે મોટી સંખ્યામાં માઈભક્તો હાલમાં માતાજીના આશિષ લેવા માટે અંબાજી ધામમાં પહોંચ્યા હતા.
હાલમાં ગુજરાત અને ગુજરાત બહારથી પણ લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ માતાજીના દર્શન માટે આવ્યા હતા. પાંચ દિવસના દિવાળી મહાપર્વને લઈને લાખોની જનમેદની ઉમટી પડી હતી. એક અંદાજ પ્રમાણે આ 4 દિવસની અંદર અંદાજિત 6 લાખ લોકોએ માતાજીના દર્શન કર્યા હતા. ખાસ કરીને આવતી કાલે લાભ પાંચમે શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરી પોતાની પેઢીના મુહૂર્ત કરશે. આ લોકોની મોટી સંખ્યાના પગલે યાત્રિકોના ધસારાના લીધે ટ્રાફિક જામના દૃશ્યો પણ સર્જાયા હતા. અનેક પગપાળા સહીત ભક્તો માથા પર ગરબી લઈને મંદિરે પહોંચતા દેખાયા હતા.
લાભ પાંચમનું શું છે મહત્વ?
લાભ પાંચમ કારતક સુદ પાંચમને શનિવાર તા. 18.11.2023 ના દિવસે છે. લાભ પાંચમ ને જ્ઞાન પંચમી. પાંડવ પાંચમી અને શ્રી સૌભાગ્ય પંચમી પણ કહેવામાં આવે છે. આ દિવસે વ્યાપારી લોકો દિપાવલી બાદ પોતાના વ્યાપારની શરૂઆત કરવી શુભ અને લાભ દાયક છે. વ્યાપારની શરૂઆત કરતા પહેલા સૌ પ્રથમ પોતાના વ્યાપાર ધંધાની જગ્યા ખોલી ગણપતી દાદાનું ધ્યાન દીવો કરવો અને પૂજન કરવું ગણપતિ દાદા ને ચાંદલો ચોખા કરવા ત્યાર બાદ પોતાના કુળદેવી અને પિતૃદેવો ને યાદ કરવા પ્રાર્થના કરવી આખુ વર્ષ વ્યાપાર સારો જાય અને સંવત 2080 નું વર્ષ નિર્વિઘ્ને પસાર થાય તેવી પ્રાર્થના કરવી ત્યાર બાદ વ્યાપાર ધંધાનો શુભારંભ કરવો.
લાભ પાંચમના દિવસે નવા વાહનની ખરીદી તથા લગ્ન પ્રસંગો જેવા શુભ પ્રસંગોના સામાનની ખરીદી શુભકાર્યો દસ્તાવેજ કરવા તથા જપ, હોમ, પૂજા પાઠ બધુ શુભ અને ઉત્તમ ગણાય છે. જૈન લોકો આ દિવસે જ્ઞાન પંચમી ઉજવે છે તથા જ્ઞાન તથા સરસ્વતી માતાજીનું આ દિવસે પૂજન કરવું શુભ છે. વિદ્યાર્થીઓએ આ દિવસે ખાસ માતા સરસ્વતીનું પૂજન કરવું જોઈએ એવું શાસ્ત્રોક્ત વિધાન છે. આ દિવસે ખાસ કરીને વેપારીઓ પોતપોતાની પેઢી અને ધંધાનું નવા વર્ષે મુહૂર્ત કરતા હોય છે તેના માટે શુભ ધંધો થાય અને આ વર્ષે સારી કમાણી થાય તે માટે ભક્તો આશિષ લેવા માટે મા ના ચરણે આવતા હોય છે.


