- સવારથી મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ઉમટ્યા ભક્તો
- નવરાત્રીના સાતમાં નોરતે દર્શનાર્થીઓ ઉમટ્યા
- નવરાત્રીના પાવન પર્વે દર્શનાર્થીઓનો પ્રવાહ અવિરત
નવરાત્રીની સમગ્ર દેશભરમાં ઉજવણી ચાલી રહી છે. ત્યારે વિવિધ શક્તિપીઠના સ્થાનો પર મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી રહી છે. ત્યારે નવરાત્રીના સાતમા નોરતે દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. જેમાં રાતથી જ ભક્તો દર્શન કરવા માટે પહોંચ્યા હતા.
પાવાગઢના ચાચર ચોકમાં દર્શનાર્થી સાથે પૂજારી અને મંદિર ટ્રસ્ટી ગરબે ઘૂમ્યા હતા. દર્શનાર્થી ઓને કોઇ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે જિલ્લા પ્રશાસન અને શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી.
મંદિરના છાસિયા તળાવ દ્વારે રાત્રિ થી જ પગપાળા આવતા ભક્તો મંગળા આરતી દર્શન માટે પહોંચી ગયા હતા. નવરાત્રિના પાવન પર્વે દર્શનાર્થીઓનો પ્રવાહ અવિરતપણે ચાલુ છે. દેવી કાલરાત્રિની પૂજા કરવાથી દરેક દુષ્ટતા અને કષ્ટોનો નાશ થાય છે. જીવનની દરેક સમસ્યાને એક ક્ષણમાં ઉકેલવાની શક્તિ મળે છે.
કાલરાત્રિની પૂજા માટે પાવાગઢ પર ભારે ભીડ જોવા મળી રહી છે. જેમાં ખાનગી વાહનો ડુંગર ઉપર લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેને લઈ એસ ટી નિગમ દ્વારા તળેટીમાંથી રૂટ ઉપર વધારાની એસ ટી બસો દોડાવવામાં આવી રહી છે. તેના કારણે ભારે ભીડ જોવા મળી રહી છે.

આજે મહાસપ્તમી 21મી ઓક્ટોબર 2023ના છે. આ દિવસે દેવી કાલરાત્રીની પૂજા કરવામાં આવે છે. મા કાલરાત્રીનું સ્વરૂપ ભલે ભયાનક હોય પરંતુ તે પોતાના ભક્તો માટે ખૂબ જ દયાળુ છે. સાતમને લઈ શક્તિપીઠ પાવાગઢમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. વહેલી સવારથી માઇ ભક્તોએ દર્શન માટે લાંબી લાઇનો લગાવી છે.