સ્ત્રી પુરુષ એક બીજાના પૂરક છે,સ્ત્રી પોષક શક્તિ છે, તો પુરુષ ઉત્પાદક શક્તિ છે.બને એકબીજાનું અર્ધાંગ છે જેમ શરીરનું એક અવયવ ખરાબ થાય તો બીજું આનુષંગિક અંગ સરખું કાર્ય કરી શકતું નથી. તેમ પુરુષનું અડધું અંગ સ્ત્રી રોગી હોય કે ના હોય તો પુરુષ પોતાના તમામ કાર્યો સરખી રીતે કરી શકતો નથી.સ્ત્રીના ગર્ભાશય સાથે જોડાયેલી ઓવરી ગ્રંથીઓની જોડીમાં અંદાજે ૪૦૦ જેટલા ઓવમ અપરિપકવ અવસ્થામાં હોય છે. જે કુદરતે નિશ્ચિત કરેલા સમયે એક પછી એક પરિપકવ થાય છે. ઓવરીનું ઉપરનું કવચ સખત, કડક, કઠણ થઈ જાય છે.
(આ સમયે સોનોગ્રાફી કરવામાં આવે તો ઓવરી ઉપર cyst છે એવું નિદાન પણ થાય કેમકે ચિકિત્સક વિગતવાર પૂછતા નથી હોતા કે માસિક સ્ત્રાવ આવવાની તારીખ નજીક છે ? જો સામેથી કોઈ સ્ત્રી કહે તો પણ મોટા ભાગે ધ્યાને નથી લેતા) ને પ્રથમ માસિક ધર્મ આવવાના સમય આસપાસ દર મહિને અંદાજે મહિનામાં એક ઓવમ ઓવરીની ત્વચા ને ભેદીને બહાર પડે છે. ઓવરીની ત્વચા ચીરીને ઓવમ્ બહાર પડે ત્યારે ઓવરીમાં કોઈ ઝખમ થતો નથી કે લોહી નીકળતું નથી.
સ્ત્રીના સર્જનિકાના સમય દરમ્યાન કે સ્ત્રીની ફળદ્રુપતાના સમય દરમ્યાન (૧૫ થી ૫૦ વર્ષ) ૩૫વર્ષના ગાળામાં મહિનામા એકના હિસાબે લગભગ ૪૨૦ વાર,નિયમિત રીતે આ કાર્ય થાય છે. આ ક્રિયા સ્વયં સંચાલિત છે,કોઈ અદભુત દિવ્ય શક્તિ આ કાર્ય કોઈની મદદ કે માર્ગદર્શન વિના કરે છે. ગર્ભાશયની અંદરની દીવાલને મેડિકલ ભાષામાં એંડોમેટ્રીયમ કહેવાય છે. એક નાજુક ઢીંગલી જેવી નિર્દોષ બાળા ૯ વર્ષ થી ૧૨ વર્ષ પૂરા કરે ત્યાં સુધીમાં,એક સર્વાંગ સંપૂર્ણ નારીનું ક્લેવર ધારણ કરી લે છે. અર્થાત કુદરતે એને સ્વયં એક સર્જનિકા બનાવી દીધી છે.
ઓવરીમાંથી સૌ પ્રથમ પરિપકવ થયેલા ઓવમ બહાર પડવાના થોડા સમય પૂર્વે એક ચમત્કારિક ક્રિયાના શ્રી ગણેશ મંડાઈ જાય છે.
તમને ખ્યાલ હશે કે ચકલીને ઈંડા મૂકવાનો સમય આવે તે પહેલાં એક એક તણખલું વીણી વીણીને પોતાનો માળો બનાવે છે.તેવી જ રીતે ગર્ભાશયની આંતરિક દીવાલ ની ત્વચા શરીરમાંથી એક એક બુંદ લોહી ખેચી એમાંથી એક જીણો તાર ખેંચી, એની ગૂંથણી કરી એંડોમેટ્રીયમની માંસલ ત્વચામાં એક ટચૂકડો માળો તૈયાર કરે છે.અર્થાત્ ઓવરીમાંથી બહાર પાડેલા ઓવમને ફળદ્રુપ થાય તો આવકારવા સજી ધજીને તૈયાર થાય છે. બાલિકા હજુ એના પ્રથમ માસિક ધર્મમા આવી નથી, આ ઉમરે પ્રથમ પરિપકવ થયેલા ઓવમને પુરુષનું શુક્રાણુ મળતું નથી, ફળદ્રુપ થતું નથી એટલે ગર્ભધારણ કરવાની તૈયારી રૂપે બંધાયેલો માળો ફરી પાછો બુંદ બુંદ લોહી રૂપે વિખરાય જાય છે.અને આ વિખરાયેલ લોહી યોની માર્ગમાંથી સ્ત્રવે છે જેને માસિક ધર્મનો સ્ત્રાવ કહેવાય છે.સામાન્ય રીતે દર મહિને આ ક્રિયા કુદરતી રીતે,કોઈની યે મદદ વિના કે કોઈના માર્ગદર્શન વિના ફળદ્રુપતા જીવંત રહે ત્યાં સુધી અવિરત ચાલુ રહે છે.
આ સમગ્ર ક્રિયા શરૂઆતથી અંત સુધી સ્વયં સંચાલિત હોવાના કારણે સ્ત્રીના શરીરમાંથી ક્યારે કેટલું લોહી એકઠું કરીને કેવો માળો ગુંથવો? અને ગર્ભાધાનના થાય તો કેટલું લોહી કેવી રીતે ધીમે ધીમે છૂટું કરવું એ પણ સ્ત્રીના શરીરની અદભુત આંતરિક રચના જ નક્કી કરે છે. ગર્ભાશય એ બાળકો પેદા કરવાનું જડ નિર્જીવ મશીન નથી, એ સ્વયં ચેતનાનો જીવંત ભંડાર છે, એ નારીનું પોતાનું અસ્તિત્વ છે, ઓળખ છે,દામ્પત્ય, માતૃત્વ, અને વાત્સલ્યની સ્ત્રી સહજ લાગણી ઓનું કેન્દ્ર છે. ગર્ભાશય ૩ ઇંચ લાંબુ ૨ ઇંચ પહોળું અને લગભગ ૧.૫ ઇંચ જાડુ હોય છે. જેનું ૮૦મીલી થી ૨૦૦મીલી જેટલું પ્રવાહી સમાય એટલું કદ હોય છે. ગર્ભાશય કાઢી નાખવાની વાત સાવ રમત થઈ ગઈ છે આજકાલ મોટાભાગના સ્ત્રી રોગ ચિકિત્સકો ૩૫ થી ૪૦ વર્ષની મહિલાઓને ડરાવી ધમકાવીને ગર્ભાશય કાઢી નાખવા મજબૂર કરે છે જે સદંતર વ્યાજબી નથી. સ્ત્રીને વધુ પડતું માસિક સ્ત્રાવ આવે ત્યારે તરત સ્ત્રી રોગ ચિકિત્સકની સલાહ લેવા જાય છે ત્યારે કોઈક હોર્મોન્સની દવા આપવામાં આવે છે પછી મોટા ભાગે માસિક સ્ત્રાવ વધુ ને વધુ વધતો જાય છે અથવા હિમોગ્લોબીન ઓછું થઈ જવાથી કંટાળીને સ્ત્રી ગર્ભાશય કઢાવી નાખવા તૈયાર થઈ જાય છે. ખરેખર, અત્યારના સમયમાં જેટલા ગર્ભાશય કાઢી નાખવામાં આવે છે એમાંના લગભગ ૫% નેજ ગર્ભાશય કાઢવાની સાચી જરૂર હોતી હશે બાકીના ૯૫% ગર્ભાશય માત્ર ડરના કારણે ફેંકી દેવાતા હશે. ગર્ભાશયની કોથળી કાઢવાની વાઢકાપની ક્રિયાને હિસ્ટરેકટોમી કહેવાય છે.એ વાઢકાપ પ્રક્રિયામાં નીચે મુજબના જોખમો રહેલા છે. બ્લડ કલોટ, રોગ સંક્રમણ, અતિશય રક્તસ્ત્રાવ,પેશાબની નળી અથવા ગુદામાર્ગને નુકશાન,અકાળે મેનોપોઝ,મોટા આંતરડામાં અવરોધ,અસંતુલિત હોર્મોન્સ થાય છે. ગર્ભાશય અને અંડાશય લોહીના પુરવઠાને વહેંચતી હોય છે તો ગર્ભાશય કાઢી નાખવામાં આવેતો અંડાશયને નકારાત્મક અસરો થાય છે જેથી માનસિક તણાવ વધુ આવે છે. વધુ આવતા અંકમાં જણાવીશું
ગર્ભાશયની ભીતરમાં એક નજર
