- સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ યથાવત રહેશેઃપ્રહલાદ મોદી
- સરકારની સ્પષ્ટતા છતાં દુકાનધારકો હડતાળ પર મક્કમ
- સરકારે કહ્યું 20 હજાર કમિશન મુદ્દે બેઠક થઇ છે
રાજ્યના સસ્તા અનાજની દુકાનોની સરકાર સાથે મહત્વ પૂર્ણ બેઠક મળી હતી. રેશનિંગ દુકાન સંચાલક એસોસિએશન સાથે સરકારની બેઠક મળી હતી. પુરવઠા સચિવની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં એસોસિએશનના હોદ્દેદારો કુંવરજી બાવળિયાને મળવા ગયા હતા. જે પછી એસોસિએશનના આગેવાન પ્રહલાદ મોદીએ જણાવ્યું કે, બેઠકમાં કોઈ નિર્ણય થયો નથી.
આ સાથે જ પ્રહલાદ મોદીએ જણાવ્યું કે, સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ યથાવત રહેશે. બેઠકમાં કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો નથી. સરકારની સ્પષ્ટતા છતાં દુકાનધારકો હડતાળ પર મક્કમ જોવા મળ્યા છે. બેઠક પૂર્વે જ સરકારે જણાવ્યું હતું કે, 20 હજાર કમિશન મુદ્દે બેઠક થઇ છે અને દુકાનધારકો કહે છે 300થી વધુ રેશનકાર્ડના મુદ્દાનું શું છે.
તેમજ અગાઉના નિર્ણયની વિસંગતતા દૂર કરવા ચર્ચા કરવામાં આવી છે. દુકાનદારો તરફથી એવી રજુઆત કરવામાં આવી છેકે, 20 હજાર કમિશનની વાત સ્વીકારાઇ નથી. જ્યારે રાજ્યના મંત્રી બાવળિયાએ જણાવ્યું કે, તમામ માગણીઓ પહેલેથી સ્વીકારાઇ છે. દિવાળી સમયે હડતાળ ન કરવા અનુરોધ કર્યો છે.
સામી દિવાળીએ લાખો રેશનકાર્ડધારકો પરેશાન થયા છે. જેમાં નવેમ્બર મહિનાનો અનાજનો જથ્થો પણ સરકાર દ્વારા જેતે સેન્ટરો પણ મોકલવામાં આવ્યો છે. તંત્ર અને દુકાનધારકોની ખેંચતાણ વચ્ચે ગરીબોનો મરો થવાની સ્થિતિ ઊભી થઈ છે. કારણકે દુકાનદારોએ સ્પષ્ટ કર્યું કે, માગો પૂર્ણ નહીં થાય ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવામાં આવશે.
રાજ્ય સરકારે કરી હતી જાહેરાત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં સરકાર માન્ય સસ્તા અનાજના દુકાનધારકોની સસ્ટેઈનેબિલિટી માટે ઐતિહાસિક અને સંવેદના સ્પર્શી નિર્ણય કર્યો છે. અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારે આ નિર્ણયની વિગતો આપતાં કહ્યું કે, રાજ્યમાં વાજબી ભાવની દુકાનો પૈકી જે દુકાનદાર કાયમી હોય, NFSA રેશનકાર્ડની સંખ્યા ૩૦૦થી ઓછી હોય અને તેની પાસે અન્ય કોઈ નિયમિત દુકાનનો ચાર્જ ન હોય, આવી દુકાનો પૈકી જેમની દુકાનોમાં કમિશનની રકમ રૂ. 20,000 થી ઓછી થતી હોય તેવી દુકાનોને પોષણક્ષમ આવક મળી રહે તે માટે ઘટતી રકમ રાજ્ય સરકાર દ્વારા આપવાનો નિર્ણય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા લેવામાં આવ્ચો છે.