- દિવાળી પહેલા આગના બનાવ
- એક જ દિવસમાં 16થી વધુ બનાવ
- ફાયર વિભાગના જવાનો સતર્ક
હાલ દિવાળીનો તહેવાર ચાલી રહ્યો છે અને લોકો પણ ખૂબ જ ખુશ રીતે હાલ દિવાળીના માહોલમાં રંગાઈ ગયા છે. રાજ્યભરમાં તો અત્યારથી જ ઘણી જગ્યાઓ પર ફટાકડા ફોડીને દિવાળીની ઉજવણી કરવાનું શરૂ કરી દેવાયું છે. જો કે તેના આડઅસર રૂપે ઘણી જગ્યાએ આગ લાગી હોવાના બનાવો પણ સામે આવ્યા હતા. લેટેસ્ટ જાણકારી અનુસાર અમદાવાદના ગોતામાં વંદેમાતરમ સ્કીમ આગળ રહેલા કચરાના ઢગમાં આગ લાગી હતી, જેને ફાયરના જવાનોએ કાબૂમાં લીધી હતી. દિવાળીના તહેવારના દિવસો હોઈ આજે રાજ્યમાં ઘણી જગ્યાએ આગ લાગવાનાં બનાવો બન્યા છે. સદનસીબે કોઈ મોટી જાનહાનિ થવા પામી નથી.
પાટણનાં સરસ્વતી તાલુકાનાં સરીયદ ગામમાં ફટાકડાનાં સ્ટોલમાં આગ લાગી હતી. ફટાકડાનાં સ્ટોલમાં આગ લાગતા અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આણંદનાં પેટલાદનાં રૂપિયાપુરા ગામની પ્રાથમિક શાળા પાસે આગ લાગી હતી. પાણીની ટાંકી નીચે ગોઠલેલા ઘાસચારામાં આગ લાગી હતી. પેટલાદ ફાયર વિભાગે ઘટનાં સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. અચાનક આગ લાગતા ઘાસચારો બળીને ખાખ થઈ ગયો હતો. તેમજ આગમાં એક ટ્રેક્ટર પણ બળીને ખાખ થઈ ગયું હતુ.
વલસાડની ઉમરગામ જીઆઈડીસી વિસ્તારમાં આવેલ આર.કે.પેકેજીંગ કંપનીમાં આગ લાગી હતી. ત્યારે આ બાબતે લોકો દ્વારા ફાયર ફાઈટર વિભાગને ફોન કરતા ફાયર ફાઈટર વિભાગે તાત્કાલીક ઘટનાં સ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો. ત્યારે આગ વધુ ન પ્રસરે તે માટે પણ તકેદારી લેવાઈ હતી. કંપનીમાં મોટા પાયે જ્વલંતશીલ જથ્થાનો પદાર્થ હતો.
ભાવનગર જિલ્લાના ગારિયાધારના ફટાકડા બજારમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. અહીં ફટાકડા બજારમાં અચાનક જ ફટાકડાઓનું વેચાણ કરતી લારીઓમાં આગ લાગવાની ઘટના બની હતી. જેના પગલે ફાયર બ્રિગેડની ટીમો પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગને મહામહેનતે કાબૂમાં લીધી હતી. બનાસકાંઠાનાં પાલનપુરમાં આવેલ કિર્તીસ્તંભનાં પ્રાંગણમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. આગ લાગતા લોકોએ આ બાબતે ફાયર વિભાગને જાણ કરતા ફાયરનાં કર્મચારીઓ ઘટનાં સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે. સદનસીબે જાનહાની ટળી હતી.
આમ એક જ દિવસમાં બપોરના 2 વાગ્યાથી લઈને રાત્રિ સુધીમાં કુલ 16 જેટલા આગના બનાવો નોંધાવા પામ્યા છે. જેમાંથી મોટા ભાગની ઘટનાઓ ફટાકડાના લીધે લાગી હોવાનું જાણવા મળ્યું છે. જેને પગલે ફાયરના જવાનો પણ હાલ દિવાળીનો તહેવાર હોવાથી સતર્ક છે. મોટી રાહતની વાત એ છે કે એક પણ બનાવમાં કોઈ પણ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.


